જી.એસ.ટી. રિટર્ન ની મુદતમાં વધારો કરતાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા, કંપોઝીશન માટેની અરજીની તારીખ માં પણ કરવામાં આવ્યો વધારો: વાંચો આ નોટિફિકેશનોને સરળ ભાષામાં
![GST](https://taxtoday.co.in/wp-content/uploads/2019/10/IMG-20191011-WA0059.jpg)
By Bhavya Popat, Editor Tax Today
તા. 04.04.2020: Covid 19 ની મુશ્કેલ પરિસ્થિતીમાં જી.એસ.ટી. ના કરદાતાઓને રિટર્ન ભરવામાં, કંપોઝીશન ની અરજી કરવાની તારીખોમાં છૂટછાટ આપવા અંગે નાણાંમંત્રી દ્વારા પ્રેસ સમક્ષ તો જાહેરાત કરી દીધી હતી. પરંતુ આ અંગે ના નોટિફિકેશનની કરદાતાઓ તથા કરવ્યવસાયીઓ દ્વારા રાહ જોવાઈ રહી હતી. તારીખ 03 એપ્રિલના રોજ આ અંગે ના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. જાણો શું છે આ નોટિફિકેશનની વિગતો સરળ ભાષામાં…
નોટિફીકેશન 30/2020, તા. 03.04.2020:
- જે કરદાતા નાણાકીય વર્ષ 2020-21 માટે કંપોઝીશન માટે ની અરજી કરવાં માંગતા હોય તેઓ આ અરજી 30 જૂન 2020 સુધીમાં કરી શકશે.
- કંપોઝીશન ની અરજી કર્યા બાદ ભરવાનું થતું ફોર્મ ITC 03, 31 જુલાઇ 2020 સુધીમાં ભરી શકશે.
- નિયમ 36(4) હેઠળ ખરીદનાર વેપારીને પોતાના વેચનાર દ્વારા જી.એસ.ટી.આર. 1 માં દર્શાવેલ રકમ ના 110% ક્રેડિટ આપવાના નિયમમાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઇ તથા ઓગસ્ટ મહિના માટેની આ ગણતરી સાથે કરવાની રહેશે અને સપ્ટેમ્બર મહિનાના જી.એસ.ટી.આર. 3B રિટર્નમાં આ એડજસ્ટમેંટ કરી શકાશે.
નોટિફિકેશન 31/2020, તા: 04.04.2020
જી.એસ.ટી.આર. 3B ભરવા જવાબદાર કરદાતાઓ પોતાનું રિટર્ન તથા તેની સાથે ભરવા પાત્ર ટેક્સ મોડો ભરે તો સામાન્ય રીતે વાર્ષિક ધોરણે 18 % વ્યાજ લાગતું હોય છે. પરંતુ COVID 19 ની પરિસ્થિતી ને ધ્યાને રાખી વ્યાજમાં નીચે મુજબની રાહત આપવામાં આવેલ છે.
ક્રમ | કરદાતા નો પ્રકાર | વ્યાજ નો દર | ટેક્સ પિરિયડ | શરતો |
1 | પાછલા વર્ષમાં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા | રિટર્ન ભરવાની નિયત તારીખ થી 15 દિવસ સુધી કોઈ વ્યાજ નહીં લાગે. ત્યાર બાદ 9% લેખે વ્યાજ લાગશે. | ફેબ્રુઆરી,
માર્ચ, એપ્રિલ 2020 ના રિટર્ન માટે |
જો જી.એસ.ટી. આર 3B, 24 જૂન 2020 સુધીમાં ભરી આપવામાં આવે. |
2 | પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 1.5 કરોડ થી વધુ હોય અને 5 કરોડ સુધીનું હોય તેવા કરદાતા | કોઈ વ્યાજ લાગશે નહીં. | ફેબ્રુઆરી
માર્ચ એપ્રિલ 2020 ના રિટર્ન માટે |
ફેબ્રુઆરી તથા માર્ચ ના રિટર્ન 29 જૂન 2020 સુધીમાં ભરી આપવામાં આવે
એપ્રિલ નું રિટર્ન 30 જૂન 2020 સુધીમાં ભરી આપવામાં આવે. |
3 | પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 1.5 કરોડ સુધી નું હોય તો | કોઈ વ્યાજ લાગશે નહીં | ફેબ્રુઆરી
માર્ચ એપ્રિલ 2020 ના રિટર્ન માટે |
ફેબ્રુઆરી મહિના નું રિટર્ન 30 જૂન 2020 સુધીમાં, માર્ચ મહિના નું રિટર્ન 3 જુલાઇ 2020 સુધીમાં તથા એપ્રિલ મહિના નું રિટર્ન 6 જુલાઇ 2020 સુધીમાં ભરી આપવામાં આવે |
સંપાદક નોંધ: જો આ નિયત તારીખ સુધીમાં રિટર્ન ના ભરવામાં આવે તો આ રાહતકારક દરે વ્યાજ ની જોગવાઈનો લાભ મળી શકશે નહીં અને 18% ના પ્રવર્તમાન દર લેખે વ્યાજ ભરવાનું રહેશે.
નોટિફિકેશન 32/2020, તા. 03.04.2020
આ નોટિફિકેશન દ્વારા ફેબ્રુઆરી થી એપ્રિલ મહિના ના જી.એસ.ટી.આર 3B ની માટી ની લેઇટ ફી શરતો ને આધીન માફ કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
ક્રમ | કરદાતાનો પ્રકાર | ટેક્સ પિરિયડ | શરત |
1 | પાછલા વર્ષમાં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા | ફેબ્રુઆરી, માર્ચ તથા એપ્રિલ 2020 | 24 જૂન 2020 સુધીમાં રિટર્ન ભરી આપવામાં આવે. |
2 | પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 1.5 કરોડ થી વધુ હોય અને 5 કરોડ સુધીનું હોય તેવા કરદાતા | ફેબ્રુઆરી
માર્ચ એપ્રિલ 2020 ના રિટર્ન માટે |
ફેબ્રુઆરી તથા માર્ચ ના રિટર્ન 29 જૂન 2020 સુધીમાં ભરી આપવામાં આવે
એપ્રિલ નું રિટર્ન 30 જૂન 2020 સુધીમાં ભરી આપવામાં આવે. |
3 | પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 1.5 કરોડ સુધી નું હોય તો | ફેબ્રુઆરી
માર્ચ એપ્રિલ 2020 ના રિટર્ન માટે |
ફેબ્રુઆરી મહિના નું રિટર્ન 30 જૂન 2020 સુધીમાં, માર્ચ મહિના નું રિટર્ન 3 જુલાઇ 2020 સુધીમાં તથા એપ્રિલ મહિના નું રિટર્ન 6 જુલાઇ 2020 સુધીમાં ભરી આપવામાં આવે |
સંપાદક નોંધ: મિત્રો, આ તકે એક બાબત જાણવી જરૂરી છે કે આ નોટિફિકેશન નો અર્થ એવો થાય કે જો ઉપરોક્ત સુધારેલી તારીખો સુધીમાં જી.એસ.ટી.આર. 3B ભરવામાં ના આવે તો નિયત તારીખો થી એટલેકે ફેબ્રુઆરી 2020 ના રિટર્ન માટે 22 માર્ચ થી લેઇટ ફી લગાડવામાં આવશે.
નોટિફિકેશન 33/2020, તા. 03.04.2020
આ નોટિફિકેશન દ્વારા માર્ચ 2020, એપ્રિલ 2020 તથા મે 2020 ના ભરવાના થતાં જી.એસ.ટી.આર. 1, જો 30 જૂન 2020 સુધીમાં ભરી આપવામાં આવે તો આ રિટર્ન ભરવામાં લેઇટ ફી ની મુક્તિ આપવામાં આવશે.
સંપાદક નોંધ: આ જી.એસ.ટી.આર. 1 માટે ફેબ્રુઆરી મહિનાના ના રિટર્નમાં કોઈ મુક્તિ આપેલ નથી. આ અંગે નું કારણ એ છે કે 25 માર્ચથી લોકડાઉન કરવામાં આવેલ છે અને ફેબ્રુઆરી મહિનાના GSTR 1 ની મુદત 11 માર્ચ હતી. પણ આ નોટિફિકેશન દ્વારા રાહતકારક જોગવાઈ કરી મે 2020 ના GSTR 1 બાબતે સમય માં થોડી રાહત આપવામાં આવેલ છે. આવીજ રીતે જો આ વધારાના સમય સુધીમાં રિટર્ન ભરવામાંના આવે તો મૂળ તારીખો થી લેઇટ ફી લાગે તેવું મારૂ માનવું છે.
નોટિફિકેશન 34/2020, તા. 03.04.2020
આ નોટિફિકેશન એ કંપોઝીશન હેઠળ ના કરદાતાઓ માટે નું છે. કંપોઝીશન ની પરવાનગી ધરાવતા કરદાતાઓએ ભરવાનું થતું જાન્યુઆરી થી માર્ચ 2020 માટેનું CMP 08 (ટેક્સ ભરવા માટેનું ફોર્મ) હવે તેઓ 07 જુલાઇ સુધીમાં ભરી શકશે.
કંપોઝીશન કરદાતાઓએ વાર્ષિક ધોરણે ભરવાનું થતું એપ્રિલ 2019 થી માર્ચ 2020 માટેનું GSTR-4 હવે કરદાતાઑ 15 જુલાઇ 2020 સુધીમાં ભરી શકશે.
નોટિફિકેશન 35/2020, તા. 03.04.2020
જી.એસ.ટી. કાયદા હેઠળ કરવાની થતી કોઈ કાર્યવાહી જે તારીખ 20 માર્ચ થી 29 જૂન સુધી કરવાની થતી હતી અને આ કાર્યવાહી કરવાની બાકી હોય તો આ તમામ કાર્યવાહી માટેની મુદત 30 જૂન 2020 સુધી લંબવેલ છે તેવું માની લેવામાં આવશે. આ કાર્યવાહીઓમાં નોટિસ આપવાની કાર્યવાહી, કોઈ કાર્યવાહી પુર્ણ કરવાની તારીખ, કોઈ અરજી મંજૂર કરવાની તારીખ, અપીલ નો સમાવેશ થશે પરંતુ નીચેની કાર્યવાહી નો સમાવેશ થશે નહીં.
- ટાઈમ ઓફ સપ્લાય અંગે ના નિયમો
- કંપોઝીશન ની લિમિટ ક્રોસ થવાથી પરમીશન રદ અંગે ના નિયમો.
- મરજિયાત, કેસ્યુલ, નોન રેસિડંટ ટેકસેબલ વ્યક્તિ અંગે ના નિયમો.
- ટેક્સ ઇંવોઇસ અંગે ના નિયમો તથા એવા નિયમો આઉટવર્ડ સપ્લાય ના રિટર્ન ના નિયમો
- લેઇટ ફી અંગે ના નિયમો (ઉપર જણાવેલ રાહતો સિવાય)
- વ્યાજ અંગે ના નિયમો (ઉપર જણાવેલ રાહતો સિવાય)
- ધરપકડ કરવાં અંગે ના નિયમો,
- ભાગીદારી ના કિસ્સામાં ભાગીદાર ની ટેક્સ ભરવાની જવાબદારી ના નિયમો.
- દંડ ના નિયમો
- માલ ની જપ્તીના નિયમો
- TDS, TCS તથા ઈન્પુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર સિવાય રિટર્ન અંગે ના નિયમો. (ઉપર જણાવેલ રાહતો સિવાય)
- ઇ વે બિલ ના નિયમો
જ્યારે ઇ વે બિલ નો સમય 20 માર્ચ 2020 થી 15 એપ્રિલ 2020 સુધીમાં પૂર્ણ થતો હોય તો આ પ્રકાર ના ઇ વે બિલ ની મુદત 30 એપ્રિલ સુધી વધારેલ છે તેવું માની લેવામાં આવશે.
સંપાદક નોંધ: આમ, કોઈ વેપારીએ 20 માર્ચના રોજ ઇ વે બિલ બનાવેલ છે પણ તેનો માલ 25 એપ્રિલના રોજ ડિસપેચ થાય છે તેવા સંજોગોમાં તેના ઇ વે બિલ ની મુદત ચાલુ છે તેમ માની લેવામાં આવશે.
નોટિફિકેશન 36/2020, તા. 03.04.2020
આ નોટિફિકેશન મે 2020 ના GSTR 3B બાબત નું છે. પાછલા વર્ષમાં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ એ મે 2020 નું GSTR 3B રિટર્ન 27 જૂન 2020 સુધીમાં ભરવાનું રહેશે.
5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા ગુજરાત, દમણ તથા દીવ સહિતના પાર્ટ A રાજ્યો કરદાતાઓએ મે 2020 ના GSTR 3B તારીખ 12 જુલાઇ સુધીમાં ભરવાના રહેશે.
5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા પાર્ટ B રાજ્યોના કરદાતાઓએ મે 2020 ના GSTR 3B તારીખ 14 જુલાઇ 2020 સુધીમાં ભરવાના રહેશે.
(ડિસ્ક્લેમર: ઉપરોક્ત લેખ તૈયાર કરવામાં પૂરતી કાળજી લેવામાં આવેલ છે. પરંતુ કોઈ કરદાતાઓએ પોતાના અભિપ્રાય બાંધતા પહેલા પોતાના CA, એડવોકેટ અથવા ટેક્સ પ્રેકટિશનર નો સંપર્ક કરવો હિતાવહ છે. લેખક કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં. )