શું હવેથી માત્ર GSTR 2A માં દર્શાવે છે એટલીજ ક્રેડિટ મળી શકશે??? દરેક વેપારી, એકાઉન્ટન્ટ તથા ટેક્સ કન્સલ્ટન્ટ આ લેખ જરૂર વાંચે અને પોતાના ગ્રૂપ માં ફોરવર્ડ કરે
![](https://taxtoday.co.in/wp-content/uploads/2019/02/Feature-Graphics-1024x500.jpeg)
તા. 13.11.2019: જી.એસ.ટી. કાયદા તરીકે જરૂરી છે તે બાબતે કોઈ બેમત નથી. પણ જી.એસ.ટી. માં સરલીકરણ તથા કરચોરી ડામવા જે પ્રયત્નો થઈ રહ્યા છે, જે ફેરફારો કરવામાં આવી રહ્યા છે તે જી.એસ.ટી. કાયદા ની અમલવારી ને સરળ બનાવવા ને બદલે વધુ ને વધુ ગૂંચવડ ભરી બનાવી રહી છે. આ અંગે નું જ્વલંત ઉધહરણ છે ઈન્પુટ ક્રેડિટ લેવા માટે મૂકવામાં આવેલ 20% ની મર્યાદા. જી.એસી.ટી. નોટિફિકેશન 49/2019, તા: 09 ઓક્ટોબર 2019. દ્વારા જી.એસ.ટી. ના નિયમો માં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો માં સૌથી મહત્વ નો ફેરફાર જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેવા અંગે મૂકવામાં આવેલ મર્યાદા અંગે છે. આ નોટિફિકેશન દ્વારા જી.એસ.ટી. નિયમો માં નિયમ 36 માં પેટા નિયમ (4) ઉમેરવામાં આવ્યો છે. આ નોટિફિકેશન દ્વારા નીચેનો ખૂબ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.
ખરીદનાર કરદાતા ને પોતાના વેચનાર કરદાતા દ્વારા દર્શાવેલ બિલ ની રકમ ની ક્રેડિટ ઉપર વધારામાં માત્ર 20% ની ક્રેડિટ જ મળશે. આમ, સરળ શબ્દો માં સમજીએ તો વેચનાર વેપારી દ્વારા જેટલા બિલો ઓનલાઈન દર્શાવવામાં આવ્યા છે તેટલી રકમ ની ક્રેડિટ તો ખરીદનાર ને મળશે, પણ તેનાથી વધુ ક્રેડિટ એવા બિલો ની જે વેચનારો દ્વારા દર્શાવવા માં આવ્યા નથી, માત્ર 20% ની લિમિટ માં મળશે.
ઉદાહરણ તરીકે: કોઈ કરદાતા એ મહિના માં જે ખરીદી કરી છે તેનો જી.એસ.ટી. રૂ. 100 નો છે. પણ તેમના વિવિધ વેચનારો દ્વારા માત્ર રૂ. 50 ના જી.એસ.ટી. વાળા બિલો જ ઓનલાઈન દર્શાવ્યા છે. તો આવા ખરીદનાર ને માત્ર 50+10=60 રૂ ની ક્રેડિટ જ મળશે. જે બિલો દર્શાવ્યા નથી તેવી રકમ ની ક્રેડિટ તેમણે મળશે નહીં. જ્યારે આ બિલ દર્શાવવા માં આવે ત્યારે આ બિલ ની ક્રેડિટ મળશે.
આ નોટિફિકેશન બાદ તા. 11.11.2019 ના રોજ આ સુધારા બાબતે ખુલાસો આપતો સર્ક્યુલર 123, બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલર મુજબ નીચેના મહત્વ ના ખુલાસા કરવામાં આવ્યા છે.
- કરદાતા પોતાનું 3B રિટર્ન ભારે ત્યારે જેટલી ક્રેડિટ તેના GSTR 2A માં દર્શાવેલી હોય તેટલી ક્રેડિટ ઉપરાંત માત્ર 20% વધુ ક્રેડિટ લઈ શકાશે.
- આ 20% ની લિમિટ માત્ર એ પ્રકાર ના બિલો તથા તથા ડેબિટ નોટ માટે રહેશે જે GSTR 1 માં અપલોડ કરવા વેચનાર માટે જરૂરી હોય. RCM, ઇમ્પોર્ટ ઉપર ના IGST વગેરે માટે આ ફેરફાર કોઈ અસર કરશે નહીં.
- આ લિમિટ 09.10.2019 પછી ભરેલ તમામ રિટર્ન ને લાગુ પડશે. આમ, એપ્રિલ 2019 નું રિટર્ન પણ જો 09.10.2019 પછી ભરવામાં આવ્યું હોય તો આ 20% ની લિમિટ લાગુ પડશે.
- આ લિમિટ વેચનાર દીઠ નથી. પણ આ લિમિટ ટેક્સ પિરિયડ ની કુલ ક્રેડિટ માટે છે.
- GSTR 2A એ સતત અપડેટ થતું ફોર્મ છે. કરદાતા એ પોતે જે દિવસે રિટર્ન ભારે છે તે દિવસ ની 2A ની ક્રેડિટ ચેક કરી, તેટલી ક્રેડિટ અથવા તેનાથી 20% વધુ ક્રેડિટ લેવાની રહેશે. આમ, પ્રેક્ટિકલી હવે GSTR 3B ભરવાની મુદત તારીખ 1 થી 20 નહીં પરંતુ તારીખ 12 થી 20 ગણવાની રહેશે.
- જે બિલ અથવા ડેબિટ નોટ ની ઈન્પુટ ક્રેડિટ ઓનલાઈન દર્શાવતુ નથી માટે લઈ શકાય નથી તેના માટે એ બિલ અથવા ડેબિટ નોટ જે માહિનામાં દર્શાવવા માં આવે ત્યારે તેની ક્રેડિટ લેવાની રહેશે. પણ કોઈ પણ સંજોગો માં જો કોઈ ક્રેડિટ વર્ષ પૂરા થયા પછી ના સપ્ટેમ્બર મહિના ના રિટર્ન ની નિયત તારીખ સુધી ના દર્શાવવા માં આવે તો આવી ક્રેડિટ લઈ શકાશે નહીં.
- આ નિયમો વિરુદ્ધ જો કોઈ કરદાતા ક્રેડિટ લે તો તેમની ઉપર વ્યાજ ભરવાની જવાબદારી આવે.
ગુજરાતી માં જૂની કહેવત છે, “પાડા ના વાંકે પખાલી ને ડામ”. આ કહેવત આ નિયમ માં સચોટ રીતે લાગુ કરી શકાય. વેચનાર કરદાતા વેચાણ કરે, ખરીદનાર પાસેથી ટેક્સ ઉઘરાવે પણ પોતાના GSTR 1 માં ના દર્શાવે તો ભૂલ એ વેચનાર એ કરી ગણાય. પણ આ ભૂલ ની સજા ખરીદનાર ને આપવામાં આવે એ કુદરતી ન્યાય ના સિદ્ધાંતો થી વિપરીત છે. આ નિયમો હાલ લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નિયમ પ્રેક્ટિકલી જામિની સ્તરે લાગુ કરવા લગભગ અશક્ય છે. જો આ નિયમો નો જડતા થી અમલ કરવામાં આવે તો કરદાતાઑ એ ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડશે તે વાત નિશ્ચિત છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે