GST કાયદામાં અધિકારીશ્રીની વેપારી અને અન્ય વ્યક્તિઓ પાસેથી દસ્તાવેજો કે માહિતી માંગવાના અધિકારો – કાનૂની માર્ગદર્શન

0
Spread the love
Reading Time: 6 minutes

 

 

 

– એડવોકેટ ડો. અક્ષત વ્યાસ

Dt. 23.06.2025: મિત્રો, GST કાયદો અમલમાં આવ્યાને આજેય લગભગ આઠ વર્ષ પૂરાં થવા જઈ સહ્યા છે, છતાં ઘણી બધી બાબતોને લઈને વેપારીઓમાં સ્પષ્ટતા કરવામાં શાસન નિષ્ફળ રહ્યું છે. આજની તારીખે ન તો ન્યાયપંચ (ટ્રિબ્યુનલ) કાર્યરત છે, ન તો કરદાતાઓ માટે જાહેર કરાયેલું સીટીઝન ચાર્ટર અમલમાં આવ્યું છે. તેના કારણે અનેક કરદાતા ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને મોટાભાગના કરદાતા તો પોતાના મૂળભૂત અધિકારોથી પણ અજાણ છે.

આવા સંજોગોમાં જ્યાં વ્યવસ્થાની ભવ્ય વાતો થઈ રહી છે ત્યાં વ્યવસ્થાના સાચા અમલ માટે અધિકારીઓના જ્ઞાન, નિષ્ઠા અને કાયદાકીય સમજ જરૂરી બને છે. મોટાભાગના અધિકારીઓ પોતાનું કામ કાયદાના પાલન કરે છે અને કર્મનિષ્ઠ રહે છે. પણ દુઃખની વાત છે કે અમુક અધિકારીશ્રીઓ વેપારીઓના ડરનો દુરુપયોગ કરે છે અને પોતાના હિત માટે અધિકારોથી વધારે સત્તાનો ઉપયોગ કરે છે. આથી વેપારીઓ પોતાના હક્ક અંગે સજાગ રહે એ અત્યંત આવશ્યક છે.

GST કાયદામાં અધિકારીશ્રીઓની સત્તા વિષયક ચર્ચા નવી નથી. અનેક વેપારી સંગઠનો દ્વારા વધુ સત્તા આપવા વિરોધમાં રજૂઆતો પણ કરવામાં આવી છે. જ્યારે આ કાયદાને “ડિજિટલ ભારતનો પ્રથમ વ્યવસાયિક કાયદો” ગણવામાં આવે છે ત્યારે તેમાં માનવીય વ્યવહારનાં મર્યાદિત અભિગમો સામે પડકાર ઊભો થાય છે. અનેક વખત એવું માનવામાં આવે છે કે અધિકારીશ્રી જ્યારે ઇચ્છે ત્યારે જે વેપારીઓ તેઓને મળે તે વેપારીઓને નોટિશ આપી શકે છે અને તેઓ પાસે જે જોઈતા હોય તેવા દસ્તાવેજો કે માહિતી મંગાવી શકે છે. હાલમાં એવું પણ જોવાયું છે કે અમુક અધિકારીશ્રીઓ મન થાય ત્યારે મન થાય તે કરદાતાને email, phone, કે casually પત્ર લખી અમુક કાગળિયાઓ, અમુક હિસાબી સાહિત્ય અને અમુક વિગતો માંગે છે પરંતુ તે સાચું નથી કારણ કે હકીકતમાં કાયદો અધિકારીઓને એવો અનિયંત્રિત અધિકાર આપતો નથી.

હકીકત એ છે કે GST કાયદા હેઠળ અધિકારીશ્રીઓને માત્ર ચોક્કસ ધારા હેઠળ અને ચોક્કસ પરિસ્થિતિઓમાં જ વેપારીઓ પાસેથી દસ્તાવેજો કે માહિતી માંગવાનો અધિકાર છે. જે અધિકારીશ્રીઓ કાયદેસરની રીતસરમ વગર દસ્તાવેજો માંગે છે તે કાયદાનો દુરુપયોગ કરે છે. આવા અધિકારીઓની નીતિ પર શંકા જાય તો તેમાં કઈ ખોટું નથી આવા કિસ્સામાં ઈમેઈલ બાદ જ્યારે અધિકારીશ્રીઓ કરદાતાઓને ફોન કરે છે ત્યારે હદ વટાવી જાય છે કારણ કે અધિકારીશ્રીઓ એ સતાથી પર જઈ માંગેલ વિગતો આપવી દરેક વેપારી માટે આવા દસ્તાવેજો મોકલવો સ્વીકાર્ય હોતું નથી.

આજકાલ દેશમાં અને ગુજરાતમાં, ખાસ કરીને જામનગર સહિતના વિસ્તારોમાં, આવા બનાવો ઝડપથી વધી રહ્યા છે જ્યાં વેપારીઓને કોઈ પણ કારણો દર્શાવ્યા વિના, કાયદાની કોઈ પણ કલમ ટાંક્યા વિના ઈમેઈલ કે પત્ર પાઠવી દસ્તાવેજો માંગવામાં આવે છે. આવા પત્રોમાં કોઈ DIN (Document Identification Number) હોતા નથી અને તેમા કોઈ અધિકારીશ્રીની સહી પણ હોતિ નથી. આવા ઈમેઈલનો જવાબ ન આપતાં વેપારીઓને પછી ફોન કરીને ધમકી આપવામાં આવે છે કે “જો દસ્તાવેજો ન આપો તો રેડ પડશે, સમન્સ મળશે…”

આવો માત્ર કાયદાનો નહીં પણ વ્યવસ્થાનો પણ દુરુપયોગ છે. આવા અધિકારીશ્રીઓ કાયદાનું પાલન કરતાં બીજા અનેક અધિકારીઓને પણ બદનામ કરે છે. પરિણામે કેટલાક વેપારીઓ સારા અધિકારીઓના પત્રો પણ અવગણવા માંડે છે – જેનાથી કાયદેસર પ્રક્રિયા મોડી પડે છે અને વેપારીએ પણ એકતરફી કાર્યવાહીનો ભોગ બનવો પડે છે.

આ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટના મહત્વના ચુકાદા D.K. Enterprise vs State of Gujarat (SCA No. 13238 of 2022, Judgment Dt. 16.09.2022) માં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે “Return scrutiny માટે ASMT-10 ફોર્મ આપવું ફરજિયાત છે. ફક્ત ઈમેઈલ દ્વારા દસ્તાવેજો માગવું એ કાયદેસર નથી.” તે જ રીતે, Shree Ganesh Sales vs Union of India (2021 (46) G.S.T.L. 36 (M.P.), Judgment Dt. 18.01.2021) માં મધ્યપ્રદેશ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “જે પત્રો કે ઇમેઈલમાં DIN નંબર અને અધિકારીની સહી ન હોય તે માન્ય નથી.”

આ સંદર્ભે હવે આપણે જોઈએ કે GST કાયદાની કઈ કઈ ધારા હેઠળ અધિકારીશ્રીઓ દસ્તાવેજો અથવા માહિતી માંગવાની સત્તા ધરાવે છે:

GST કાયદામાં અધિકારીશ્રીઓ દસ્તાવેજો કયા સંજોગોમાં માંગી શકે છે?

  • Section 61 – Return scrutiny: પત્રકની છટણી માટે અધિકારીશ્રીએ ASMT-10 નોટિસ આપી શકે છે. આ નોટિસ વિના કાયદેસર દસ્તાવેજો માંગવાનું અયોગ્ય છે. D.K. Enterprise vs State of Gujarat (SCA No. 13238 of 2022) કેસમાં આ વાત પર મહત્વ આપવામાં આવ્યું છે. આ કેસમાં નામદાર કોર્ટ દ્વારા પેરેગ્રાફ 14 માં કહેવામા આવ્યું છે તે પ્રમાણે “ફોર્મ ASMT-10 વિના કરદાતાની સ્ક્રુટની પ્રક્રિયા શરૂ કરવી એ કાયદાના બંધારણના વિરુદ્ધ છે. વિભાગને આવી પ્રથા તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે.”
  • Section 65 – Audit: જ્યારે ડિપાર્ટમેન્ટલ ઓડિટ માટે ADT-01 આપવામાં આવે ત્યારે અધિકારી દસ્તાવેજો માંગવાની સત્તા ધરાવે છે. A.P. Refinery Pvt. Ltd. vs Union of India, 2022 (56) G.S.T.L. 337 (P&H) ના કેસમાં 11 માં પારા માં કહ્યા મુજબ “કોઈ કાર્યવાહી વિના ફરીથી દસ્તાવેજો માગવી એ હેરાનગતી સમાન છે. વિભાગને આ પ્રકારની નીતિ પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવે છે.”
  • Section 66 – Special Audit: જ્યારે કોઈ કેસમાં કમ્પ્લેક્સિટી હોય ત્યારે કમિશ્નરની મંજૂરીથી CA/CMA દ્વારા ઓડિટ થાય છે અને ત્યારબાદ જ દસ્તાવેજો માંગવામાં આવે છે. અહી પણ નોટિશમાં કલમ નંબર અને કારણ જણાવાયેલ હોવું ફરજિયાત છે. ઇનો મતલબ છે કે કલમ કે કારણ વગરની નોટિશ આ કલમ હેઠળની ન હોય શકે.
  • Section 67 – Inspection/Search/Seizure: અહી “Reason to Believe” હોવો ફરજિયાત છે અને સંયુક્ત કમિશ્નર અથવા તેનાથી ઉંચા અધિકારી દ્વારા લેખિત મંજૂરી મળે ત્યારે જ આ કલમ હેઠળ કોઈ અધિકારીશ્રી કાયદેસર રીતે દસ્તાવેજો માંગે છે. Shiv Enterprises vs State of U.P. (2021 (49) G.S.T.L. 39 (All.)) ના કેસમાં પેરેગ્રાફ 09 માં જણાવ્યા મુજબ “Joint Commissioner ની લેખિત મંજૂરી વિના સર્ચ કરવું એ Section 67 ના નિયમોને ભંગે છે. આવી કાર્યવાહી રદ કરવી જોઈએ.” તેવી જ રીતે R.S. Infra-Transmission Ltd. vs State of U.P. (2023 (75) G.S.T.L. 73) ના કેસમાં એવું બન્યું હતું કે અધિકારીશ્રી દ્વારા સંયુક્ત કમિશ્નરશ્રીની પરવાનગી વગર કરદાતાને ત્યાં તપાસ (રેડ)ની કાર્યવાહી કરવામાં આવી હતી અને અમુક દસ્તાવેજો જપ્ત કરવામાં આવેલ હતા તેવા સમયે અદાલતે કાયદાનું અર્થઘટન કરીને પેરેગ્રાફ 13 માં જણાવ્યુ કે “અધિકારીશ્રીએ જે કાર્ય કર્યો તે તેમના અધિકાર ક્ષેત્રની બહારના છે અને આથી તપાસને લીધે લીધેલા પગલાં તમામ અમાન્ય જાહેર કરવામાં આવે છે.” બંને કેસોમાં કરદાતાને ત્યાં તપાસ કઈ સંજોગોમાં થાય તે બાબત સ્પષ્ટ થાય છે. અને તપાસ પણ કોઈ અધિકારી પોતાના અહંકારને સંતોષવા માટે કરી શકતા નથી તેના માટે તેઓ પાસે સંયુક્ત કમિશ્નરશ્રીની મંજૂરી હોવી જરૂરી નથી તેઓએ કોઈ વેપારીને ત્યાં તપાસમાં જતાં પહેલા પૂરતા કારણો આપવા પડે તેમ છે ગુજરાત હાઈકોર્ટે Modern Traders vs State of Gujarat (SCA No. 11569 of 2022) ના પરાગ્રાફ 10 માં જણાવ્યુ હતું તેમ “પૂરતી પ્રાથમિક તપાસ વિના, માત્ર અનામ ઈમેઈલના આધારે તપાસ કરવી એ કાયદેસર નથી. આવા પગલાં કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા.”
  • Section 70 – Summons: તપાસ માટે સમન્સ ફક્ત ત્યારે જ ઇસ્યુ થઈ શકે જ્યારે તેનું કારણ સ્પષ્ટ રીતે નોંધવામાં આવે. P.R. Mani Electronics vs UOI, 2020 (38) G.S.T.L. 3 (Mad.) ના કેસમાં પેરેગ્રાફ 17 માં જણાવ્યા મુજબ સમન્સ general inquiry માટે નથી – તે તપાસના વિશિષ્ટ તથ્યો માટે જ અપાય.
  • Sections 73 & 74 – Tax Recovery: DRC-01A (pre-SCN) અથવા DRC-01 (SCN) જાહેર કર્યા પછી જ દસ્તાવેજોની માંગણી કાયદેસર ગણાય.
  • Section 54 – Refund Processing: જ્યારે કરદાતા રિફંડની અરજી કરે છે ત્યારે તે અરજીના સંદર્ભમાં પુષ્ટિ માટે અધિકારી દસ્તાવેજો માગી શકે છે.
  • GST Registration: નવા રજીસ્ટ્રેશન કે ફેરફાર દરમિયાન દસ્તાવેજોની માગણી ફોર્મમાં આપવામાં આવેલી વિગતોના પૂરાવા માટે મર્યાદિત હોય છે.

આ સિવાયના સંજોગોમાં જો અધિકારીશ્રી કોઈપણ દસ્તાવેજો માંગે છે, તો તે માગણી કાયદેસર નથી. કરદાતાઓ એ પત્રને અવગણી શકે છે, અથવા લિખિતમાં સવિનય જણાવી શકે છે કે “આ માગણી કાયદા હેઠળ માન્ય નથી.”

આપણે અહીં એક જોરદાર મુદ્દો ભૂલવા ન જોઈએ કે CBIC Circular No. 122/41/2019 – GST અનુસાર “Document Identification Number (DIN) વગર કોઈપણ પ્રકારની સરકારી પત્રવ્યવહાર માન્ય ગણાતી નથી.” અને જો DIN વગરના પત્ર/ઈમેઈલ મળ્યા હોય તો, તેને લીધે વેપારીએ કોઈ દસ્તાવેજો મોકલવાની ફરજ નથી. તાજેતરમાં તારીખ 09 જૂન 2025 ના રોજ CBIC દ્વારા પોતાની સૂચનાઓથી ફરી પ્રતિપાદિત કરેલ છે GST કાયદાના પાલન માટે બનાવાયેલ વેબસાઇટ પર જે દસ્તાવેજો બનાવવામાં આવે છે તેના ઉપર યુનિક રેફરન્સ નંબર હોય છે અને તેથી તેમાં DIN ની જરૂર નથી હોતી પરંતુ જે દસ્તાવેજો GST વેબસાઇટ પર નથી બનાવતા અથવા તેના પર અપલોડ નથી થતાં તેના ઉપર DIN હોવો ફરજિયાત છે આવા સંજોગોમાં હાલ જે પ્રકારના ઈમેલ આવે છે તેની ચકાસણી કરવામાં આવે તો તેના ઉપર કોઈ DIN નથી હોતા અને તેથી તેના જવાબો આપવા ફરજિયાત નથી. આવા સંદર્ભે Shree Ganesh Sales vs UOI (2021 (46) G.S.T.L. 36) ના કેસને જોવો જરયુરી છે જ્યાં પરાગ્રાફ 10 માં જણાવ્યુ છે તે મુજબ “DIN વગરના પત્રો/ઈમેઈલ્સ કાયદેસર ગણાતા નથી. વિભાગે આવા પત્રવ્યવહાર તાત્કાલિક બંધ કરવો જોઈએ.”

હાલ, GST ના અનેક અધિકારીઓને વય મર્યાદામાં જુવાન છે અને આથી તેઓ આંખ બંધ કરીને કોર્ટના ચુકાદાઓ સાપેક્ષ ઉપરી અધિકારીશ્રીઓની સૂચનાઓને મહત્વ આપે છે અને આથી તેઓને M/s. Gujarat Gas Financial Corporation vs State of Gujarat (SCA No. 12811 of 2004, Gujarat HC) નો ચુકાદો જરૂરથી જાનાવવાનો થાય જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવ્યુ હતું કે “Assessing Officer કે appellate authority જો Tribunal અથવા High Court ના બંધનકારી ચુકાદાઓનું પાલન નથી કરતા તો તેઓ પોતાની પરિસ્થિતિ અને જોખમ પર કાયદા સાથે ધોકાધડી કરે છે. આવું કરવા બદલ તેઓ ક્યારેક કોર્ટની અવમાનનાની કાર્યવાહી હેઠળ આવી શકે છે.” આમ ઉચ્ચ અધિકારીઓની સૂચના કાયદા સાપેક્ષ ન હોય તો અધિકારીશ્રીઓ સવિનયી તેનું ઉલંઘન કરી શકે છે અને તેવું કરીને તેઓ કાયદાના શાશનને જ માન આપશે.

અંતે, વેપારીઓએ વિચાર કરવો જોઈએ કે આવા પત્રોનો જવાબ આપવા કરતાં પહેલા તેઓને કાયદા મુજબ કોઈ ફરજ છે કે નહીં. જો કોઈ અધિકારી પત્ર આપી દસ્તાવેજો માંગે અને તમારું જવાબ ન આપે તો ફોન દ્વારા ધમકી આપે કે “search/ summon આવશે”, તો આવી કામગીરી સામે તમે જુમાવ કરી શકો છો. આ માટે રાજ્યના GST કમિશ્નર કે Vigilance વિભાગમાં લેખિત ફરિયાદ કરી શકાય છે. જો જરૂરી હોય તો હાઈકોર્ટમાં પણ writ દાખલ કરી શકાય છે.

નિષ્કર્ષરૂપે જણાવવાનું કે, GST કાયદો એ વેપારીઓને દંડવા માટે નહીં, પણ ન્યાય અને પારદર્શકતાનું માધ્યમ છે. અધિકારીઓએ પોતાનું કામ કાયદાની મર્યાદામાં રહીને કરવું જોઈએ અને કરદાતાઓએ પણ પોતાના હક્ક વિશે જાણવું જોઈએ.

આ લેખનો હેતુ કોઈપણ અધિકારીશ્રીઓની બદનામી કરવો નથી અનેક અધિકારીશ્રીઓ સારા અને કાયદાનું પાલન કરવા વાળા છે અને જેનું દર્પણ કરદાતાઓની સંખ્યામાં થતો વધારાની સાથે સાથે દેશની આવકમાં થતો વધારો છે પરંતુ અમુક જૂજ અધિકારીશ્રીઓ એવા છે જેઓને એ વાત સમજાવી જરૂરી છે કે કે કાયદો દરેકની રક્ષા કરે છે – માત્ર સત્તાવાળાની નહીં, પણ સત્યવાળાની પણ.

(લેખક જામનગર ખાતે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ જાણીતા લેખક છે. તેઓ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ સેક્રેટરી રહી ચૂક્યા છે અને અને ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સના નેશનલ એકસીક્યુટિવ કમિટીના સભ્ય છે)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!