જી.એસ.ટી. હેઠળ GSTR 1 રિટર્ન મોડા ફાઇલ કરનાર ઉપર થઈ શકે છે કાર્યવાહી

તમામ વેપારીઓને GSTR 1 સમયસર ભરવા જોઇન્ટ કમિશ્નર ધર્મજિત યાજ્ઞિકની તાકીદ:
તા. 24.04.2025, ઉના: હાલ રાજ્યમાં GSTR 1 અને GSTR 3B રિટર્ન મોડા ભરતા વેપારીઓની વિગતોની ચકાસણી થઈ રહી હોવાના અહેવાલ છે. આ ચકાસણીમાં ગીર સોમનાથ જિલ્લાના વેપારીઓ દ્વારા GSTR 1 ભરવામાં વિલંબ કરતાં હોવાનું જણાય આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સ્તરે સમયસર GSTR 1 ભરવાની જે સરેરાશ છે તેના કરતાં ગીર સોમનાથ જિલ્લાના વેપારીઓમાં GSTR સમયસર ભરવાની ટકાવારી ઓછી રહેલ છે. GSTR 1 સમયસર ભરવા અગાઉ પણ વેપારીઓને ઘટક કચેરીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ અંગે એક ખાસ બેઠક જોઇન્ટ કમિશ્નર સ્ટેટ ટેક્સ ધર્મજિત યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને વેરાવળ સ્ટેટ જી.એસ.ટી. ઓફિસ ખાતે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી કમિશ્નર શ્રી ગઢવી, આસિસ્ટન્ટ કમિશ્નર શ્રી ડામોર અને વેરાવળ ખાતેના રાજ્ય જી.એસ.ટી. અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગીર સોમનાથ બાર એસોસીએશનના સભ્યો સાથે કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા રિટર્ન ભરવામાં થતા વિલંબ બાબતોના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આ મુશ્કેલી દૂર કરવાં જરૂરી તમામ પગલાં અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જોઇન્ટ કમિશ્નર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે વેપારીઓ દ્વારા GSTR 1 સમયસર ભરવામાં નહીં આવે તેવા વેપારીઓ ઉપર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સતત GSTR 1 મોડા ભરતા વેપારીઓની ખરીદ, વેચાણ, સ્ટોક, ટર્નઓવર ની ચકાસણી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા હાથ ધરવામાં આવી શકે છે. ગીર સોમનાથ ટેક્સ બાર ના પ્રમુખ શ્રી સંજયભાઈ તન્ના દ્વારા પણ વેપારીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે વેપારીઓ અને એકાઉન્ટન્ટ આ બાબત ગંભીરતા થી લે અને પોતાના રિટર્ન સમયસર ભરે. આમ ના કરવામાં આવે તો ભવિષ્યમાં બેંક ટાંચ જેવા પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે જી.એસ.ટી. હેઠળ વેચનાર વેપારીએ વેચાણ ની વિગતો દર્શાવતું ફોર્મ GSTR ૧ પછીના મહિનાના ૧૧ તારીખ સુધીમાં અથવા ત્રિમાસિક રિટર્ન ના કિસ્સામાં જે તે ત્રિમાસ પૂર્ણ થયાના પછીના મહિનાની ૧૩ તારીખ સુધીમાં ભરવાનું થતું હોય છે. આ પત્રક ભરવામાં ગીર સોમનાથ જિલ્લાના વેપારીઓ દ્વારા થતાં વિલંબની નોંધ રાજ્ય જી.એસ.ટી. કચેરીની અમદાવાદ ખાતેની વડી કચેરી દ્વારા ખાસ લેવામાં આવેલ છે. આવનારા દિવસોમાં મોડા રિટર્ન ભરનાર વેપારીઓ ઉપર કડક કાર્યવાહી થઈ શકે તે શક્યતા પણ નકારી શકાતી નથી.