સ્ટેચ્યું ઓફ યુનિટી: વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ

એપ્રિલ 2025: ગુજરાતના એક સૌથી મહત્વના અને જાણીતા ફરવાના સ્થળ તરીકે સ્ટેચ્યું ઓફ યુનિટીને એટ્લે કે SOU ને ગણી શકાય. આ વર્ષે પરિવાર સાથે વેકેશનમાં SOU જવાનું નક્કી થયું. 2018 થી ખુલ્લુ મુકાયેલ સ્ટેચ્યું ઓફ યુનિટી ગુજરાતના સૌથી મહત્વના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થયેલ હોય આમ છતાં મારા જેવો પ્રવાસનો શોખીન આઠ વર્ષ સુધી SOU ની વિઝિટ કરી શક્યો ના હતો તેનો હમેશા વિચાર આવતો હતો. જ્યારે મારી દિકરીએ મને જણાવ્યુ કે તેના “બકેટ લિસ્ટ” માં સ્ટેચ્યું ઓફ યુનિટી છે ત્યારે તો ભાવતું હતું અને વૈધએ કહ્યું જેવી વાત થઈ. સામાન્ય રીતે હું પોતે પબ્લિક ટ્રાવેલ દ્વારા એટ્લે કે ટ્રેન, બસ કે પ્લેન દ્વારા ટ્રાવેલ કરવાનું પસંદ કરું છું પરંતુ આ વખતે સેલ્ફ ડ્રાઈવ જવાનું નક્કી કર્યું. સવારે 6 કલાકે શરૂ થઈ અમારી SOU ની યાત્રા. વચ્ચે બ્રેક લેતા અમે બપોરે 4 કલાકે પહોચી ગયા કેવડીયા. કેવડીયા એટ્લે સરદાર પટેલનું 182 મીટર લાંબુ સ્ટેચ્યું જ્યાં છે તેની બાજુનું ગામ. સ્ટેચ્યું ઓફ યુનિટી જ્યાં બન્યું છે તે ગામનું નામ સરદાર પટેલ સાહેબના સન્માન માટે આપવામાં આવ્યું છે “એકતાનગર”.
પહેલા દિવસે સવારથી ડ્રાઈવ કરી હોવાના કારણે અમે હોટેલમાં જ રહી આરામ કરવાનું પસંદ કર્યું. પણ હા અમે એ દિવસે નર્મદા આરતી કરી હોય તો સારું થાત તેવું મને ચોક્કસ લાગ્યું. એકતા નગરમાં અમે જોયા હોય તેવા સ્થળની વાત કરીએ:
- સ્ટેચ્યું ઓફ યુનિટી:
એકતા નગરમાં સૌથી મહત્વનુ જોવાનું સ્થળ છે SOU. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જાજરમાન 182 ફિટ ઊંચી પ્રતિમા. આ પ્રતિમાને બહારથી જોઈ કોઈ પણ અભિભૂત થઈ જાય તે ચોક્કસ છે. SOU માં પ્રવેશતા સાથે જ તમને ત્યાં બનાવવામાં આવેલ ઉત્તમ “લેંડ્સ સ્કેપ” ગમી જશે. આ ઉપરાંત ત્યાં પર્યટકો માટે આપવામાં આવે વ્યવસ્થા માટે પણ માન થશે તે ચોક્કસ છે. કોઈ વ્યક્તિ એન્ટ્રીથી પગપાળા પણ સ્ટેચ્યું સુધી જઇ શકે છે અને તેમણે તડકાથી બચાવવા સંપૂર્ણ પરિસર ડોમથી કવર કરવામાં આવ્યા છે. જોકે આ ચાલવાનું 1 કિલોમીટર જેટલું થઈ જાય છે હો. જો ચાલીને પગને વધુ કષ્ટ ના આપવો હોય તો તમારા માટે ત્યાં ઉપલબ્ધ છે નિશુલ્ક ગોલ્ફ કારની વ્યવસ્થા. સ્ટેચ્યુંની અંદર પહોચીએ કે તુરંત તમને અત્યાધુનિક “વેઇટિંગ એરિયા” જોવા મળશે. સંપૂર્ણ ભાગ એર કંડિશન છે અને ત્યાં સરદાર પટેલ સાહેબની અનેક મુર્તિ છે ત્યાં લોકો સેલ્ફિ અને ફોટા લઈ શકે છે. ત્યાં સરદાર પટેલની સ્મૃતિમાં એક નાનું ઓડિટોરિયમ બનાવવામાં આવેલ છે જે ભારતીય સ્વતંત્ર સંગ્રામ અને ત્યારબાદ આઝાદ ભારતમાં સરદાર સાહેબના અમુલ્ય કાર્યોની ઝાંખી કરાવે છે. જ્યારે આગળ સરદાર પટેલ આધારિત ગેમની પ્રવૃતિ પણ રાખવામા આવેલ છે. આ ઉપરાંત એક અન્ય નાનું ઓડિટોરિયમ છે જે સરદાર સરોવર ડેમના ઇતિહાસ વિષે માહિતી આપે છે. આ જ જગ્યા ઉપર કેવડીયા અને આસપાસના વિસ્તારના વિવિધ પક્ષીઓની માહિતી આપતી જગ્યા પણ છે અને આસપાસના વિસ્તારોના લોકોની અટક, રહેવાની સ્થિતિ વગેરેની માહિતી પણ સરસ રીતે રાખવામા આવેલ છે. ત્યારબાદ લીફ્ટ દ્વારા SOU ગેલેરીમાં જવાનું થાય છે. 182 મીટર ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમાની “વ્યૂઇંગ ગેલેરી” 153 મીટર ઊંચી આવેલ છે. આ 153 મીટર ઉપર ગેલેરીમાં ઊભા રહી તમે સરદાર સરોવર ડેમનો તથા નર્મદા નદીનો આહ્લાદક નજારો જોઈ શકો છો.
સ્ટેચ્યુંને જોવા માટે અલગ અલગ સ્લોટમાં ટિકિટ બુક કરવાની રહે છે. આ સ્લોટ 2 કલાકના રહેતા હોય છે. મારા વ્યક્તિગત મતે શક્ય હોય તો આ સ્લોટ પૈકી સાંજે 4 થી 6 નો સ્લોટ પસંદ કરવો સારો રહે. આ અંગેનું કારણે એ છે કે સાંજે 7.30 કલાકે સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે “સાઉન્ડ એન્ડ લાઇટ શો” રહેતો હોય છે. “ટેકનૉલોજિ” અને “હિસ્ટ્રી” નો સમન્વય એટ્લે આ શો. સરદાર પટેલની જીવની વિવિધ સાઉન્ડ એન્ડ લાઇટ દ્વારા અદ્ભુત રીતે રજૂ કરવામાં આવેલ છે. આ શો જોવાનું પણ ચૂકવા જેવુ નથી. આ શો જોવા માટે સ્ટેચ્યું ઓફ યુનિટીની બહારના ભાગમાં પણ બેન્ચ રાખવામા આવેલ છે. આ ઉપરાંત ત્યાંથી થોડા દૂર હેલિપેડ ગ્રાઊંડ ખાતે પણ આ શો માણી શકીએ તેવી બેઠક વ્યવસ્થા રાખવામા આવેલ છે. મને એવી માહિતી આપવામાં આવી હતી કે હેલિપેડ ગ્રાઊંડથી આ શો જોવાની વધુ મજા આવે છે એટ્લે અમે ત્યાં જઈ આ શો જોયો હતો.
સ્ટેચ્યું ઓફ યુનિટીનો સમય સવારે 08 કલાકથી સાંજે 06 કલાક સુધીનો હોય છે. એક મહત્વની બાબત જનાવવી જરૂરી છે સ્ટેચ્યું ઓફ યુનિટીની સામાન્ય ટિકિટ વયસ્ક માટે 530 અને બાળકો માટે 320 છે. પરંતુ આમાં એક એક્સ્પ્રેસ એન્ટ્રીનો વિકલ્પ પણ રહે છે. આ એક્સ્પ્રેસ એન્ટ્રી વડે તમે કોઈ લાઇનમાં ઊભા રહ્યા સિવાય આગળ વધી શકો છો. આ એક્સ્પ્રેસ્સ ટિકિટનો ભાવ વયસ્ક અને બાળકો બંને મતે 1030 રહેતો હોય છે. રજાઓના કે વેકેશનના દિવસો હોય ત્યારે આ એક્સ્પ્રેસ્સ ટિકિટ લેવામાં આવે તે સારું રહે, ચાલુ દિવસોમાં મારા મતે આ એક્સ્પ્રેસ ટિકિટ લેવાથી કોઈ ખાસ લાભ થતો હોતો નથી.
- સરદાર સરોવર ડેમ સાઉન્ડ એન્ડ લાઇટ શો
સ્ટેચ્યું ઓફ યુનિટી ઉપર થતો સાઉન્ડ એન્ડ લાઇટ શો જોઈ અમે આગળ વધ્યા સરદાર સરોવર ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા. અંદાજે 1.5 કિલોમીટર જેવુ ચાલી અમે સરદાર સરોવર ડેમ સાઉન્ડ એન્ડ લાઇટ શો જ્યાંથી જોઈ શકાય છે તે જગ્યાએ પહોચી ગયા. સરદાર સરોવર ડેમ ઉમર વિવિધ લાઇટ્સ સાથે નવા અને જૂના ગીતોને માણવાની અલગ મજા છે. આ શો પણ પર્યટકે માણવો જ જોઈએ.
આ શો સ્ટેચ્યું ઓફ યુનિટીનો સાઉન્ડ એન્ડ લાઇટ શો પૂરો થાય પછી શરૂ થાય છે. અંદાજે 8.15 એ શરૂ થાય છે અને 30 મિનિટ જેવો આ શો ચાલે છે. આ શો જોવા કોઈ ટિકિટ લેવાની રહેતી નથી. થોડા થાક અને આગળ પણ હજુ અન્ય સ્થળ જોવાના બાકી હોય અમે આ શો 15 મિનિટ જેટલો જ માણી શક્યા.
- ગ્લો ગાર્ડન:
એકતાનગરની આ પણ એક જોવા જેવું વિશિષ્ટ સ્થળ છે. વિશેષ પ્રકારની LED લાઇટ્સ દ્વારા આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડન પણ પર્યટકે ચોક્કસ માણવું જોઈએ. ગ્લો ગાર્ડનનો સમય આમ તો સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે પરંતુ અજવાળા દરમ્યાન આ ગાર્ડન જોવાની કોઈ ખાસ મજા નથી. આમ સૂર્યાસ્ત પછી જ આ ગાર્ડન માણવો જોઈએ. આ ગાર્ડન જોવા અંદાજે 30 મિનિટ જેવો સમય લાગે. આ ગ્લો ગાર્ડનની ટિકિટ વયસ્ક માટે 100 રૂ છે અને બાળક માટે 50 રૂની છે.
- વેલી ઓફ ફ્લાવર્સ
આ ગ્લો ગાર્ડનને પાસે જ વેલી ઓફ ફ્લાવર્સ આવેલ છે. આ વેલી ઓફ ફ્લાવર્સમાં ખૂબ સરસ રીતે વિવિધ પ્રકારના ફૂલો આપ જોઈ શકો છો. આ ગાર્ડનમાં દિવસ દરમ્યાન પ્રવાસીઓ આવતા હોય છે અને ફોટા પાડવા માટે પણ આ જગ્યા સારી છે.
સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ ગાર્ડન ખુલ્લો હોય છે. આ ગાર્ડન જોવામાં પણ 30 મિનિટ જેવો સમય લાગતો હોય છે. આ ગાર્ડનમાં જવાની કોઈ ટિકિટ નથી. અમે બપોરના સમયે આ ગાર્ડન ગયા હોય, ગરમી અને તડકાના કારણે આ ગાર્ડન જોઈએ એવો માણી શક્યા ના હતા.
- જંગલ સફારી:
મારા વ્યક્તિગત મતે એકતા નગરમાં સ્ટેચ્યું ઓફ યુનિટી પછી બીજું સૌથી આકર્ષક સ્થળ હોય તો તે જંગલ સફારીને ગણી શકાય. આ એક ઝૂ છે જેવા દેશ વિદેશના વિવિધ પ્રાણી અને પક્ષીઓ, સાપ વગેરે તમે માણી શકો છો. આ ઝૂમાં પક્ષીઓ માણવા તમારે પક્ષીઓના મોટા બનાવવામાં આવેલ પાંજરામાં જવાનું હોય છે જ્યાં તમે પક્ષીઓને ખૂબ નજીકથી જોઈ શકો છો. વિદેશી પક્ષીઓ માટે ખાસ ઠંડુ વાતાવરણ તેમને મળી રહે તે માટે પાણીના સતત છટકાવની વ્યવસ્થા પણ રાખેલ છે. આ ઝૂની વિશિષ્ટતા મને એ લાગી કે આ ઝૂમાં પ્રત્યેક પ્રાણી, પક્ષી, સાપ વગેરેને તેઓના અનુકૂળ વાતાવરણ આપવા પૂરતો પ્રયાસ કરવામાં આવેલ છે. પ્રવાસીઓ માટે ઝૂ માં ફરવા ગોલ્ફ કારની વ્યવસ્થા પણ છે.
આ જંગલ સફારીનો સમય સવારે 08 સાંજે 05 સુધીનો રહેતો હોય છે. સામાન્ય રીતે આ ઝૂ ફરવામાં ઓછામાં ઓછો 1.30 કલાકથી 2 કલાક જેવો સમય લાગતો હોય છે. આ જંગલ સફારીની ફી વયાસ્કો માટે 200 રૂ અને બાળકો માટે 120 રૂ નો છે. કોઈ ડિજિટલ કેમેરા, DSLR કેમેરા લઈ ને જવાનું થયું હોય તો તેના મતે અલગથી ફી ચૂકવવાની રહે છે. જો કે પ્રવાસીઓ મોબાઈલ દ્વારા આ ફોટોગ્રાફી કરી શકે છે જેની કોઈ ફી નથી ચૂકવવાની રહેતી. જંગલ સફારી એ એકતાનગરનું સૌથી મહત્વનુ આકર્ષણ હોય કોઈ પણ કારણે આ ચૂકવામાં ના આવે તે જરૂરી છે.
- નર્મદા આરતી
એકતા નગરએ પવિત્ર નર્મદા નદી ઉપર સ્થિત છે. અહિયાં આવીએ ત્યારે આ નર્મદા આરતીનો લાહવો લેવાનું ચૂકશો નહીં. રાત્રે 8 કલાકે થતી આ આરતી પણ અંદાજે 30 મિનિટ જેવુ ચાલે છે. અમે આ આરતીનો લહવો લીધો. ખરેખર વાતાવરણમાં પવિત્રતા પ્રવાસીને અનુભવ થશે તે વાત ચોક્કસ છે. આ આરતી સ્થળે એન્ટ્રી માટે કોઈ ટિકિટ નથી. આરતીના યજમાન બનવું હોય તો તેના માટે 1100/- ની રકમ આપવાની રહેતી હોય છે.
- એકતા ફૂડ કોર્ટ
એકતા ફૂડ કોર્ટએ અહિયાંનું ઓફિશિયલ “ફૂડ ઝોન” છે. આ ફૂડ ઝોનમાં વિવિધ બ્રાંડેડ ફૂડ ચેઇનના સ્ટોલ જોવા મળશે. આમાં, સબ વે, અમુલ ગ્વાલિયા જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. AC બેઠક વ્યવસ્થા વચ્ચે પ્રવાસીઓ ભોજનનો સ્વાદ માણી શકે છે. હા, પ્રમાણમા અહિયાં ફૂડ થોડું મોંઘું છે તેવો મારો મત છે. એકતા ફૂડકોર્ટ એ એકતા નગર પાર્કિંગના સામેના ભાગમાં આવેલ છે.
- એકતા મોલ
એકતા મોલ એ એકતા નગરનો આધિકારિક શોપિંગ મોલ છે જ્યાં તમને દેશના વિવિધ રાજ્યોની જાણીતી વસ્તુઓ ખરીદવાની તક મળે છે. સરદાર પટેલ સાહેબના મેમેંટોમાં દઈ શકાય તેવી વિવિધ વસ્તુઓ પણ અંહી મળે છે. આ મોલ સવારે અંદાજે 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લો રહેતો હોય છે. આ મોલ એકતા નગર પાર્કિંગના સામેના ભાગમાં આવેલ છે.
- સ્વામિનારાયણ ધામ પોઈચા
એકતા નગરથી અંદાજે 45 કિલોમીટર દૂર આવેલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિકસિત કરવામાં આવેલ પોઈચા ધામ પણ પોતાના ફરવાના સ્થળના લિસ્ટમાં રાખવું જોઈએ. આ જગ્યા મૂળતો એક મંદિર છે પણ આ મંદિર ખૂબ સુંદર રીતે બનાવવામાં આવેલ છે. આ મંદિરની આજુ બાજુ ધાર્મિક પ્રદર્શન પણ ખૂબ સરસ છે. આ મંદિરની સવાર સાંજની આરતી પણ પ્રખ્યાત છે. આ મંદિર અને તેની આસપાસની જગ્યા માણવા ત્યાં એક રાત્રિનો મુકામ કરવામાં આવે તો સારું રહે. જો કે અમારી પાસે આ અંગેનું જ્ઞાન ના હતું મતે અમે આ રાત્રિ રોકાણથી વંચિત રહ્યા હતા.
અમે અમારા પ્રવાસ દરમ્યાન ઉપરના સ્થળો જ માણી શક્યા હતા. આ સિવાય પણ ઘણા સ્થળો છે જે પ્રવાસીઓ માણી શકે છે.અમે જોયેલા ઉપરોક્ત સ્થળ ઉપરાંત એકતાનગરમાં હાઇ-સ્પીડ બોટ નો લાહવો લઈ શકાય છે જે શ્રેષ્ઠ ભારત ભવનથી SOU સુધી 15 મિનિટની સ્પીડ બોટ રાઈડ કરાવે છે. જેની ટિકિટ વયસ્ક અને બાળકો બન્ને માટે 531 રૂ છે અને જેનો સમય સવારે 11 થી 5 નો છે. આ ઉપરાંત એકતા ક્રૂઝ છે જે શ્રેષ્ઠ ભારત ભવનથી SOU સુધીનો પ્રવાસ ધીમી ગતિએ કરાવે છે અને નર્મદા નદી અને આસપાસના સુંદર નજારો જોવાની તક પ્રવાસીઓને આપે છે. આ ક્રૂઝનો સમય સવારે 9 થી 5 સુધીનો રહેતો હોય છે. આ ક્રૂઝમાં એક સમય 40 મિનિટનો રહેતો હોય છે અને આની ટિકિટ વયાસ્કો મતે 413 રૂ અને બાળકો માટે 207 રૂ છે. આ ઉપરાંત રાત્રિના આ ક્રૂઝ એ એકતા ડિનર ક્રૂઝ તરીકે ઓળખાય છે અને ડિનર સાથે રાત્રિના સમયે નર્મદા નદીનો સુંદર નજારો, SOU નો પણ આહ્લાદક નજારો, નર્મદા આરતી જોવાનો મોકો પણ મળતો હોય છે. રાત્રિના 8.15 થી 10.30 સુધી આ સેવાઓ ઉપલબ્ધ છે. 1.15 મિનિટની એક રાઈડમાં ડિનર એકતા નગરની 4* હોટેલ રામદા દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ એકતા ડિનર ક્રૂઝની વયાસ્કો માટેની ટિકિટ 1416 છે અને બાળકો મતે આ ટિકિટ 706 રહેતી હોય છે. આ ઉપરાંત ઝારવાણી ઇકો ટુરિઝમ સર્કિટ, મેઝ ગાર્ડન એટ્લે કે ભૂલ ભુલૈયા, પેટ્સ ઝોન કે જ્યાં પાળતું પ્રાણીઓ જોવા મળે છે, કેકટસ ગાર્ડન કે જ્યાં વિવિધ કેકટસની પ્રજાતિઑ જોઈ શકાય છે, મિયાવાકી ફોરેસ્ટ જ્યાં જંગલ જેવો માહોલ માણી શકાય છે તો આરોગ્ય વન જ્યાં વિવિધ ઔષધિય છોડ જોઈ અને જાણી શકાય છે, ડિનો ટ્રાયલ-બાળકો માટે ગમે તેવી જગ્યા છે તો વિશ્વ વન એ મોટેરાઓને શાંતિનો અહેસાસ કરાવતી જગ્યા છે તો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં બાળકોને ફૂડ એન્ડ ન્યુટ્રિશનની માહિતી આપવામાં આવે છે. બટર ફલાય ગાર્ડનમાં બટર ફ્લાય જોવા મળતા હોય છે. આમ, એકતા નગરમાં પ્રવાસીઓ માટે અનેક ફરવાના સ્થળો આવેલ છે.
ઉપર જણાવેલ ફરવાના સરસ સ્થળો તો છે જ પરંતુ એકતા નગરમાં રસ્તા ઉપર કરવામાં આવતી સામાન્ય ડ્રાઈવની પણ પોતાની મજા છે. સંપૂર્ણ નગરમાં ખૂબ સરસ રીતે પાથરવામાં આવેલ લાઇટ્સ જોવી પ્રવાસીઓને ચોક્કસ ગમે. આ નગર બનાવવાનો પ્લાનથી માંડીને ત્યાંની સ્વછતા જોઈ ખૂબ સંતોષ થાય. બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે હું આ જગ્યાને ઉત્તમ વિકલ્પ માનું છું.
SOU ટુર અંગે મારા સૂચન
મારા મતે SOU જવાનો પ્લાન કરવામાં આવે તો ઓછામાં ઓછા બે દિવસ અને સારી અને સંપૂર્ણ પણે આ સ્થળને ફરવું હોય તો ત્રણ દિવસનો પ્રવાસ પ્લાન કરવો જોઈએ. આ ત્રણ દિવસમાં સોમવાર કે રજાનો દિવસ ના આવે તે જોવું જરૂરી છે. બે થી અઢી દિવસમાં એકતા નગરના લગભગ તમામ સ્થળો વ્યવસ્થિત રીતે માણી શકાય છે. તો ત્રીજી રાત્રિ એ પોઈચા સ્વામિનારાયણ ધામ ખાતે કરવાનો વિકલ્પ સારો રહે. સાંજે પોઈચા પહોચી ત્યાંઉ પ્રદર્શન નિહાળી આરતીનો લાભ લઈ શકાય છે. આ ઉપરાંત સવારે વહેલી થતી આરતીનો લાભ લઈ આપ પોતાનો પ્રવાસ પૂર્ણ કરી શકો ચો.
“મોસ્ટ ઇમ્પોર્ટેંટ ફેક્ટ”:
દર સોમવારે સ્ટેચ્યું ઓફ યુનિટી અને તેની સાથે એકતા નગરના તમામ જોવા લાયક સ્થળો બંધ રહેતા હોય છે. ક્યારેક સોમવારે જો રજાનો દિવસ હોય તો પ્રવાસીને લાભ આપવા સોમવારે ચાલુ રહી તે પછીના દિવસે એટ્લે કે મંગલવારે રજા રાખવામા આવતી હોય છે. આ રજા ના દિવસે માત્ર એકતા નગરના જોવા લાયક સ્થળોજ નહીં, ઘણા રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ પણ બંધ રહેતા હોય છે.
બીજો મહત્વનો મુદ્દો એ ધ્યાને રાખશો કે સ્ટેચ્યું ઓફ યુનિટી કે મોટા ભાગના પર્યટન સ્થળ સુધી પહોચવા માટે સરકાર દ્વારા એર કંડિશનર બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મજાની વાત તો એ છે કે આ તમામ બસની સેવા સંપૂર્ણ પણે ફ્રી છે. આ ઉપરાંત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી 100 થી વધુ રીક્ષાઓ ત્યાં પર્યટકોની સેવા માટે રાખવામા આવેલ છે. આ રિક્ષાનું ભાડું ખૂબ સામાન્ય રહેતું હોય છે. જો સવારથી બપોર સુધી આ રિક્ષાને ભાડે રાખવામા આવે તો તેનું ભાડું 1000 અને જો સવારથી સાંજ આ રિક્ષા ભાડે રાખવામા આવે તો આ રિક્ષાનું ભાડું 2000/- રહેતું હોય છે. હા, પણ તમારી કાર, બસ વગેરે તો તમારે એકતાનગર ના પાર્કિંગમાં કે તમારી હોટેલમાં જ પાર્ક કરી દેવાની રહેશે.
સ્ટેચ્યું ઓફ યુનિટીની તથા એકતાનગરની મોટાભાગના પર્યટન સ્થળ જોવા માટેની ટિકિટ ઓનલાઈન https://www.soutickets.in/#/services-venue-list લિન્ક ઉપરથી મળી જાય છે. આ ઉપરાંત આ જ વેબસાઇટ ઉપરથી જે તે પ્રવાસન સ્થળના સમય અને અન્ય વિગતો મળી રહે છે. આ લેખમાં આપવામાં આવેલ સમય, ટિકિટની માહિતી ઉપરાંત પોતાનો પ્રવાસ ફાઇનલ કરતાં પહેલા આ વેબસાઇટ ઉપર સમય અને ટિકિટ ફરી ચેક કરી લેવા હિતાવહ છે.
SOU- કેવડીયા કેવી રીતે પહોચવું?
રેલ દ્વારા: એકતા નગર રેલ્વે સ્ટેશન સુધી અમદાબાદ અને વડોદરાથી નિયમિત રેલ્વેની સુવિધા ઉપલબ્ધ છે. EKNR એ Ekta Nagar Railway Station નો કોડ છે. રેલ્વેના સમય બાબતે irctc.com ની વેબસાઇટ જોઈ લેવા વિનંતી.
બસ-રોડ દ્વારા: એકતાનગર એ વડોદરાથી અંદાજે 90 કિલોમીટર દૂર આવેલ છે જ્યારે સુરતથી એકતા નગર અંદાજે 160 કિલોમીટર દૂર છે.
વિમાની સેવા દ્વારા: વડોદરા એરપોર્ટ એકતા નગરથી સૌથી નજીકનું એરપોર્ટ છે જે એકતા નગરથી 90 કીલોમીટર જેટલું દૂર આવેલ છે.
એકતાનગર ટુરની અમુક યાદગાર તસ્વીરો