જી.એસ.ટી. હેઠળ એપ્રિલ મહિનામાં આ કર્યો કરવાનું ચૂકશો નહીં!!

-By Bhavya Popat
તા. 16.04.2025
જી.એસ.ટી. હેઠળ એપ્રિલ મહિનો ખૂબ મહત્વનો રહેતો હોય છે. ખાસ કરીને કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે તથા આ પરવાનગી રદ કરી 01 એપ્રિલથી નોર્મલ કરદાતા તરીકે ટેક્સ ભરવાની જવાબદારી સ્વીકારવામાં આવી હોય તેવા કરદાતા માટે આ મહિનો વિશેષ મહત્વ ધરાવતો હોય છે. આ ઉપરાંત કોઈ કરદાતા જેઓ અગાઉ કંપોઝીશનની પરવાનગી ધરાવતા હતા અને તેઓ 01 એપ્રિલથી કંપોઝીશનમાંથી નોર્મલ કરદાતા તરીકે ટેક્સ ભરવાનો વિકલ્પ સ્વીકારે છે તેઓ માટે પણ એપ્રિલમાં સ્ટોક ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા ITC 01 ફોર્મ 30 એપ્રિલ સુધી ભરવું ફરજિયાત છે. આ ઉપરાંત ગત વર્ષનું ટર્નઓવર નિયત મર્યાદાથી ઓછું હોય કોઈ કરદાતા જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરાવવા અરજી કરવા માંગતા હોય તો પણ 30 એપ્રિલ સુધીમાં આ અરજી કરવી જરૂરી છે. આ લેખમાં એપ્રિલમાં કરવાના થતાં મહત્વના કર્યો વિષે માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરવાની મુદત છે 30 એપ્રિલ 2022:
જ્યારે કોઈ કરદાતા પોતાનું ટર્નઓવર જી.એસ.ટી. હેઠળની મર્યાદાથી ઓછું થાય અથવાતો તેઓનો ધંધો 31 માર્ચ ૨૦૨૫ થી બંધ કરવામાં આવ્યો હોય ત્યારે જી.એસ.ટી. નોંધણી નંબર રદ્દ કરાવવાની અરજી ૩૦ એપ્રિલ ૨૦૨૫ પહેલા કરવાની રહે છે. જી.એસ.ટી. પોર્ટલ ઉપર હાલ જે પદ્ધતિ કાર્યરત છે તે મુજબ ૩૧ માર્ચ ૨૦૨૫ થી નોંધણી દાખલો રદ્દ કરવાનો થતો હોય તેઓએ મોડમાં મોડી 30 એપ્રિલ સુધીમાં નોંધણી દાખલો રદ્દની અરજી કરી આપવાની રહે છે. એ બાબત નોંધવી ખૂબ જરૂરી છે કે ૩૦ એપ્રિલ ૨૦૨૫ કે બાદ નોંધણી રદ કરવાની અરજી કરવામાં આવે તો જી.એસ.ટી. પોર્ટલ 31 માર્ચ ૨૦૨૫ ની તારીખ પસંદ કરવાનો વિકલ્પ કરદાતાને આપશે નહીં. આમ, જી.એસ.ટી. નંબર રદ કરાવવા માંગતા હોય તેવા કરદાતાએ આ નોંધણી દાખલો રદ્દ કરવાની અરજી 30 એપ્રિલ સુધીમાં કરી આપવી અત્યંત જરૂરી છે. હા, આ અરજી કરતાં પહેલા નોંધણી રદ્દની અરજી કરવા સમયે સ્ટોક ઉપર ભરવાના થતાં ટેક્સ બાબતે જાણકારી મેળવી લેવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જી.એસ.ટી. કાયદાની કલમ ૨૯(૫) હેઠળ નોંધણી દાખલો રદ કરવા સમયે કરદાતા પસર રહેલ સ્ટોક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવે છે.
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા 30 એપ્રિલ સુધીમાં ભરવામાં આવે ITC 01 ફોર્મ
કંપોઝીશનમાંથી બહાર નીકળવાનો વિકલ્પ જ્યારે ૦૧ એપ્રિલ ૨૦૨૫ થી સ્વીકારવામાં આવ્યો હોય ત્યારે 31 માર્ચના રોજ સ્ટોકમાં રહેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કરદાતાએ ITC 01 ફોર્મ જે તારીખથી કરદાતા કંપોઝીશન માંથી રેગ્યુલરમાં તબદીલ થયેલ હોય તે તારીખથી ૩૦ દિવસમાં ભરવાનું થતું હોય છે. ૦૧ એપ્રિલથી રેગ્યુલર ધોરણે ટેક્સ ભરવા જવાબદાર કરદાતા માટે ITC ૦૧ ફોર્મ 30 એપ્રિલ સુધીમાં ભરવામાં ના આવે તો કરદાતાને પોતાના સ્ટોક ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. એક ટેક્સ પ્રોફેશનલ તરીકે ક્યારેક એવું ધ્યાને આવતું હોય છે કે આ જોગવાઈની અજાણતાને કારણે આ ફોર્મ સમયસર ભરવામાં આવતું નથી. આ કારણે ઘણીવાર કરદાતાને મોટુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. આમ, આ ફોર્મ સમયસર 30 એપ્રિલ સુધીમાં ભરવું ખૂબ જરૂરી છે.
ઇ ઇંવોઇસ અંગેની જવાબદારી ચેક કરી લેવી છે જરૂરી:
કોઈ પણ કરદાતાનું ટર્નઓવર ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ૦૫ કરોડથી વધુ થયું હોય તો 01 એપ્રિલ ૨૦૨૫ થી તેઓ ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બની જશે. ઇ ઇંવોઇસ માટે જવાબદાર કરદાતા આ જોગવાઈનું પાલન ના કરે તો વેચનાર વેપારી દંડકીયા જોગવાઈ માટે જવાબદાર બની જાય છે. આ ઉપરાંત ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે પણ પ્રશ્ન ઉપસ્થિત થતાં હોય છે. આ બાબતે કરદાતાએ પોતાની જવાબદારી ચકાસી લેવી જરૂરી છે. જો કે એક બાબત નોંધવી જરૂરી છે કે માત્ર B૨C એટ્લે કે ગ્રાહકોને આપવામાં આવતા બિલ બનાવવામાં ઇ ઇંવોઇસ બનાવવાથી મુક્તિ આપવામાં આવેલ છે.
ટ્રાન્સપોર્ટ ધંધાર્થી દ્વારા આપવામાં આવેલ ડિકલેરેશન બાબતે જરૂરી સુધારા કરવા બાબતે
ટ્રાન્સપોર્ટ ધંધાર્થી ઉપર સામાન્ય રીતે રિવર્સ ચાર્જ મિકેનીઝમ લેખે જી.એસ.ટી. ભરવા જવાબદાર થતાં હોય છે. પરંતુ જ્યારે ટ્રાન્સપોર્ટર પોતે ફોરવર્ડ ચાર્જ ભરવા અંગે ડિકલેરેશન આપે ત્યારે તેઓ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા હક્કદાર બની જાય છે. આ અંગે પોતાના વેચનાર કે સેવા પ્રદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા પાત્ર થાય તે અંગે જાણ કરી બિલમાં તથા એકાઉન્ટમાં જરૂરી સુધારા કરી લેવા જરૂરી છે.
હોટેલ-રેસ્ટોરંટ દ્વારા લાગુ પડતાં ૧૮% ટેક્સ બાબતે જરૂરી સુધારા કરવા જરૂરી:
સામાન્ય રીતે રેસ્ટોરંટ ઉપર ૫% ના દરે જી.એસ.ટી. લાગુ પડે છે. આ પ્રકારે ૫% જી.એસ.ટી. ભરતા કરદાતાઓને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળતી હોતી નથી. ૦૧ એપ્રિલ ૨૦૨૫ થી કરવામાં આવેલ મહત્વના ફેરફારો મુજબ કોઈ હોટેલનો ભાગ હોય એવી રેસ્ટોરન્ટ કે જેમાં પાછલા વર્ષમાં રૂમનું ભાડું ૭૫૦૦ થી વધુ હોય ત્યારે રેસ્ટોરન્ટ ઉપર લાગુ થતો જી.એસ.ટી. નો દર ૫% ના બદલે ૧૮% થઈ જતો હોય છે. આ પ્રકારે ૧૮% ભરવા જવાબદાર રેસ્ટોરન્ટ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ મળવા હક્કદાર બની જાય છે. આ અંગે પોતાના વેચનાર કે સેવા પ્રદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા પાત્ર થાય તે અંગે જાણ કરી બિલમાં તથા એકાઉન્ટમાં જરૂરી સુધારા કરી લેવા જરૂરી છે.
નિયમિત ભરવાના થતાં માસિક/ત્રિમાસિક GSTR 1 તથા GSTR 3બી:
કંપોઝીશન સિવાયના કરદાતાઑ માટે એપ્રિલ મહિનામાં પોતાના ત્રિમાસિક અથવા માસિક GSTR 1 ભરવાના રહેતા હોય છે. માસિક ધોરણે ભરવાના થતાં GSTR 1 ભરવાની નિયત તારીખ 11 એપ્રિલ છે જ્યારે ત્રિમાસિક GSTR 1 ભરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ છે. આ ઉપરાંત કંપોઝીશન સિવાયના કરદાતાઓએ ભરવાના થતાં GSTR 3B ની નિયત તારીખ 5 કરોડ સુધીના ટર્નઓવર માટે 22 એપ્રિલ છે જ્યારે 5 કરોડ કે તેથી વધુના ટર્નઓવર માટે 20 એપ્રિલ છે.
એપ્રિલ મહિનામાં ગત વર્ષની આઉટપુટ તથા ઈન્પુટ અંગેની વિગતો પોર્ટલ ઉપર ચેક કરી લેવી છે જરૂરી!
જી.એસ.ટી. હેઠળ ગત વર્ષ એટ્લે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં વેચાણ ઉપર ભરવાની થતી આઉટપુટ જવાબદારીમાં GSTR 1 તથા GSTR 3B માં કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે GSTR 2B તથા 3B વચ્ચે કોઈ તફાવત હોય તો તેની અસર એપ્રિલ મહિનામાં માર્ચ ૨૦૨૫ ના રિટર્નમાં અસર આપી દેવી અત્યંત જરૂરી છે. જો આ અસર માર્ચ મહિનાના રિટર્નમાં ના આપવામાં આવે તો ત્યાર બાદના નાણાકીય વર્ષમાં આપવામાં આવે તો કરદાતા તથા તેમના એકાઉન્ટન્ટ અને ટેક્સ પ્રોફેશનલ્સ માટે આ અંગેની વિગતો વાર્ષિક રિટર્નમાં ભરવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. આ મુશ્કેલીથી બચવા એપ્રિલ મહિનામાં જે માર્ચનું રિટર્ન ભરવામાં આવે તે વધુ તકેદારી રાખી ભરવામાં આવે તે જરૂરી છે.
સામાન્ય રીતે એવું માનવમાં આવતું હોય છે કે ટેક્સ પ્રોફેશનલ્સ માટે માર્ચ મહિનો સૌથી મુશ્કેલ રહેતો હોય છે. જ્યારે હવે ટેક્સ પ્રોફેશનલ્સ માટે એપ્રિલ, જુલાઇ, ઓક્ટોબર જેવા મહિનાઓ વધુ મુશ્કેલ રહેતા હોય છે. જી.એસ.ટી. હોય કે ઇન્કમ ટેક્સ હાલ ટેક્સ પ્રોફેશનલસે અને કરદાતા બન્નેએ સિસ્ટમ પ્રમાણે ચાલવાનું રહેતું હોય છે. કરદાતા કે ટેક્સ પ્રોફેશનલ્સ સિસ્ટમ ઉપર આપવામાં આવેલ સમયમર્યાદા ચૂકે તો ઘણીવાર ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે. ટેક્સ પ્રોફેશનલ્સ સાથે કરદાતા પણ આ અંગે પોતાની જવાબદારી સમજે એ ખૂબ જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 16.04.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે.)