જી.એસ.ટી. માં કરદાતાઓને મળી મોટી રાહતો!!

Spread the love
Reading Time: 3 minutes

By Bhavya Popat

તા. 11/04/2023

જી.એસ.ટી. કાઉન્સીલની 49 મી બેઠકમાં કરદાતા માટે અનેક રાહતોની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આપ સૌ વાંચકો જાણો છો કે જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગમાં લેવામાં આવેલ નિર્ણયો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર માટે સૂચનો સ્વરૂપે જ હોય છે. આ અંગે અમલવારી કરવી કે ના કરવી તે બાબતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે. તદ્દઉપરાંત એ બાબત પણ જાણવી ખૂબ જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલના નિર્ણયની અમલવારી કરવાની થાય તો પણ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખથી જ આ નિર્ણયની અમલવારી કરવામાં આવતી હોય છે. જી.એસ.ટી. કાઉન્સીલની 49 મી બેઠકમાં કરવામાં આવેલ સૂચનો અંગેના નોટિફિકેશન 31 માર્ચ 2023 ના રોજ જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમસ (CBIC) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશન પૈકી મહત્વના નોટિફિકેશન અંગે આ લેખમાં માહિતી આપવામાં આવી છે.

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાઓ માટે જાહેર થઈ આ રાહતો

જી.એસ.ટી. કાઉન્સીલની 49 મી મિટિંગમાં કંપોઝીશન કરદાતાઓ માટે ભરવાના થતાં GSTR 4 માં ભરવાની થતી લેઇટ ફી માં રાહત આપવા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને અનુરૂપ નોટિફિકેશન 31 માર્ચ 2023 ના મોડી રાત્રે બહાર પાડવામાં આવ્યા છે. નોટિફિકેશન 02/2023, તા. 31.03.2023 મુજબ કંપોઝીન કરદાતાઑને ભરવાના થતાં NIL GSTR 4 ફોર્મ માટેની લેઇટ ફી સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવી છે. જ્યારે આ સિવાયના GSTR 4 ભરવાની લેઇટ ફી મહત્તમ 500/- રૂપિયા કરી આપવામાં આવી છે. આ ફી માં CGST 250 + SGST 250 એમ ગણવાની રહેશે. આ રાહતોનો લાભ લેવા કરદાતા એ પોતાના GSTR 4 તારીખ 01 એપ્રિલ 2023 થી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેશે. આ રાહતોના કારણે અનેક કંપોઝીશન કરદાતાઓને ફાયદો મળશે. ખાસ કરીને Covid 19 દરમ્યાન ઘણા GSTR 4 ભરવાના બાકી રહી ગયા હોવાના સમાચાર મળી રહે છે.

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન સિવાયના કરદાતાઑ માટે વાર્ષિક રિટર્ન ભરવાની લેઇટ ફી માં આપવામાં આવી રાહત

જી.એસ.ટી કાયદા હેઠળ 2 કરોડ ઉપરનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે પોતાનું વાર્ષિક રિટર્ન GSTR 9 માં ભરવું ફરજિયાત છે. આ રિટર્ન મોડુ ભરવામાં આવે તો તેના ઉપર ખૂબ મોટી લેઇટ ફી લાગુ પડતી હતી. આ લેઇટ ફી માં નાણાકીય વર્ષ 2022 23 ના વાર્ષિક રિટર્નથી નીચે મુજબનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ટર્નઓવર              લેઇટ ફી
5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ રોજના 50 રૂપિયા તથા મહત્તમ પોતાના ટર્નઓવરના 0.04% લેઇટ ફી 
5 કરોડ ઉપર પરંતુ 20 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ     રોજના 100 રૂપિયા તથા મહત્તમ પોતાના ટર્નઓવરના 0.04% લેઇટ ફી
20 કરોડથી ઉપરનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ  રોજના 200 રૂપિયા તથા મહત્તમ પોતાના ટર્નઓવરના 0.25%

(આ કરદાતાઓ માટે કોઈ રાહતો આપવામાં આવી નથી)

આ ઉપરાંત કરદાતાઓના જૂના બાકી GSTR 9 એટ્લે કે વાર્ષિક રિટર્ન માટે પણ લેઇટ ફી માં મોટી રાહતો આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2017 18 થી માંડી નાણાકીય વર્ષ 2021 22 સુધીના કોઈ પણ બાકી GSTR 9 કરદાતાને ભરવાના બાકી હોય તો આ રિટર્ન માટેની મહત્તમ લેઇટ ફી 20000/- કરી આપવામાં આવી છે. મોટા કરદાતાઓ માટે આ પણ એક મોટી રાહત છે જ્યારે નાના કરદાતા માટે જૂના વાર્ષિક રિટર્ન ભરવામાં કોઈ વિશેષ લાભ આપવામાં આવ્યો નથી. જો કે કરદાતાઓએ આ જૂના રિટર્ન માટે આ નોટિફીકેશન નો ફાયદો લેવા પોતાના બાકી રિટર્ન 01 એપ્રિલ 2023 થી માંડી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેશે.

જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરાવવા સમયે ભરવાના થતાં GSTR 10 ફોર્મની લેઇટ ફી માં મોટી રાહત:

જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ સિવાયના કોઈ પણ કરદાતા પોતાનો જી.એસ.ટી. નંબર રદ્દ કરાવે અથવા તો જી.એસ.ટી. અધિકારી દ્વારા કરદાતાનો નોંધણી દાખલો રદ્દ કરી આપવામાં આવે ત્યારે કરદાતા દ્વારા પોતાના સ્ટોકની વિગતો આપતું ફોર્મ GSTR 10 માં ભરવાનું રહે છે. આ ફોર્મ ઘણા કરદાતાઓ ભરવાનું ચૂકી ગયા હતા. આ કારણે તેઓ 10000 જેવી માતબર લેઇટ ફી ભરવા જવાબદાર બની જતાં હતા. NIL ડેટા સાથેના આ ફોર્મ ભરવા ઉપર પણ 10000 જેવી લેઇટ ફી લાગુ પડતી હતી. આ અંગે રાહતો આપી કરદાતાને આ બાકી ફોર્મ ભરવાની લેઇટ ફી મહત્તમ 1000/- કરી આપવામાં આવી છે. જો કે કરદાતાઓએ આ જૂના રિટર્ન માટે આ નોટિફીકેશન નો ફાયદો લેવા પોતાના બાકી રિટર્ન 01 એપ્રિલ 2023 થી માંડી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેશે.   

રિટર્ન ના ભરવાના કારણે રદ્દ થયેલ નોંધણી દાખલો ફરી ચાલુ કરાવવા આપવામાં આવી તક!!

જી.એસ.ટી. હેઠળ કલમ 29 હેઠળ રિટર્ન ના ભરવાના કારણે જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ થયો હોય તેવા કરદાતા માટે મહત્વની રાહત જાહેર કરવામાં આવી છે. 31.12.2022 સુધી આ પ્રકારે રદ્દ થયેલ નોંધણી દાખલો કરદાતા ફરી પુનઃજીવિત કરી શકશે તે અંગેનું નોટિફિકેશન 03/2023, તા.31.03.2023 બહાર પાડી આ રાહતો આપવામાં આવી છે. કરદાતા કે જેઓનો નોંધણી દાખલો રદ્દ થઈ ગયેલ છે અને તેઓ આ નોંધણી દાખલો પુનઃજીવિત કરવા સમયસર અરજી કરી શક્યા નથી તેઓ હવે 30 જૂન 2023 સુધીમાં નોંધણી દાખલો પુનઃજીવિત કરવા અરજી કરી શકશે. આ અરજી કરતાં પહેલા કરદાતાએ પોતાના નોંધણી નંબર રદ થયો છે ત્યાં સુધીના બાકી રિટર્ન લેઇટ ફી અને વ્યાજ સાથે ભરી આપવાના રહેશે. એવા કરદાતાઓ કે જેઓ એ અગાઉ રિવોકેશનની અરજી કે અપીલ કરેલ હોય અને તે સમયમર્યાદાના કારણે રદ્દ થયેલ હોય તેવા કરદાતાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. જી.એસ.ટી. નોંધણી દાખલો રદ થયાના કારણે તકલીફ ભોગવતા કરદાતાઓ માટે આ મોટા રાહતના સમાચાર છે.

કરદાતાઓને આપવામાં આવેલ આ રાહતોનો લાભ લઈ કરદાતા પોતે ભૂતકાળમાં કરેલ ચૂકને સુધારી શકશે અને જી.એસ.ટી. હેઠળ ફરી નિયમિત કરદાતા બની શકે તે માટેની ઉત્તમ તક આપવામાં આવેલ છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 10 એપ્રિલ 2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!