જી.એસ.ટી. 53 મી કાઉન્સીલ મિટિંગમાં કરવામાં આવ્યા મહત્વપૂર્ણ સૂચનો

2
Spread the love
Reading Time: 2 minutes

કરદાતાઓ માટે અનેક રાહતની કરવામાં આવી જાહેરાત

તા. 22.06.2024: જી.એસ.ટી કાઉન્સીલની 53 મી મિટિંગ દિલ્હી ખાતે નાણાંમંત્રી નિર્મલા સિથારમણની અધ્યક્ષતામાં મળી હતી. આ મિટિંગમાં મોટાભાગના રાજ્યો તથા કેન્દ્ર શાશીત પ્રદેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં નીચેના નિર્ણય લેવામાં આવ્યા છે.

  • જી.એસ.ટી. હેઠળ કલમ 73 (ફ્રોડ સિવાય ના કેસોમાં ) હેઠળની નોટિસ જ્યારે નાણાકીય વર્ષ 2017-18, 2018-19 તથા 2019-20 ના કેસોમાં આપવામાં આવેલ હશે અને કરદાતા 31.03.2025 સુધીમાં નોટિસ મુજબનો વેરો ભરી આપશે તો તે નોટિસ અન્વયે લગાડવામાં આવેલ વ્યાજ તથા દંડ માફ કરી આપવામાં આવશે. કરદાતાઑ માટે આ ખૂબ મોટી જાહેરાત ગણી શકાય.
  • નાણાકીય વર્ષ 2017-2018 થી 2020-21 સુધીના કોઈ પણ બિલ કે ડેબિટ નોટ જી.એસ.ટી. કાયદા હેઠળ 16(4) હેઠળની મર્યાદા લંબાવી 30.11.2021 ગણવાની રહેશે. આ રાહત પણ કરદાતા માટે ખૂબ મોટી ગણી શકાય.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા અપીલ માં જવા માટે નાણાકીય મર્યાદા નક્કી કરવામાં આવી. આ મુજબ અપેલેટ ટ્રીબુનલ માટે 20 લાખ, હાઇકોર્ટ માટે 1 કરોડ અને સુપ્રીમ કોર્ટ માટે 2 કરોડની મર્યાદા જોઈ ડિપાર્ટમેંટ દ્વારા અપીલ કરવાની રહેશે. આથી નાની મર્યાદાના ડિમાન્ડ સામે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ અપીલ કરી શકશે નહીં. અત્રે એ જાણવું જરૂરી છે કે કરદાતા કોઈ પણ મર્યાદા વગર આ અપીલ કરી શકે છે.
  • પ્રથમ અપીલ માટેની પ્રિ ડિપોઝિટમાં 20 કરોડ CGST અને  20 કરોડ SGST કરવામાં આવી છે. આ મર્યાદા અગાઉ 25 કરોડ CGST અને 25 કરોડ SGST ની હતી. અપેલેટ ટ્રિબ્યુનલ પ્રિ ડિપોઝિટમાં મહત્તમ મર્યાદા પણ ઉપર મુજબ 20 કરોડની કરવામાં આવી અને પ્રિ ડિપોઝીટ 10% જ કરી આપવામાં આવી. અગાઉ આ મર્યાદા 50 કરોડની હતી. અગાઉ ભરેલ પ્રિ ડિપોઝિટ બાબતે નહીં લાગુ પડે આ મર્યાદા.
  • જી.એસ.ટી. ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માટે ઍક તારીખ જાહેર કરવામાં આવશે જે તારીખથી અપીલની મર્યાદા ગણવાની રહેશે.
  • કંપોઝીશન કરદાતા માટે GSTR 4 ની મર્યાદા માં 30 એપ્રિલથી વધારો કરી 30 જૂન કરવા ભલામણ કરવામાં આવી. આ સુધારો નાણાં વેપારી માટે ખૂબ મહત્વનો અને જરૂરી હતો.
  • જી.એસ.ટી. કેશ લેજરમાં જે રકમ જમા હશે તે રકમ ઉપર વ્યાજ લાગુ પડશે નહીં.
  • GSTR 01-A નામનું નવું ફોર્મ લાગુ કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ દરમ્યાન જ GSTR 01 માં કોઈ ફેરફાર કરવાનો થતો હોય તેવા કિસ્સામાં GSTR 01-A માં આ સુધારો લાગુ પડશે.
  • આધાર બેઇઝ બાયોમેટ્રિક પ્રમાણે નોંધણી દાખલાની પદ્ધતિ તબક્કાવાર સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
  • 20000/- થી નીચે પ્રતિ વ્યક્તિ, પ્રતિ મહિને ભાડું હોય તેવી હોસ્ટેલ શૈક્ષણિક સંસ્થાથી બહાર હોય તો પણ મુક્તિ આપવા ભલામણ કરવામાં આવી છે. આ બાબતે 90 દિવસ સુધી રહેવું જરૂરી છે. શૈક્ષણિક સંસ્થામાં રહેલ હોસ્ટલ ઉપર તો કરમુક્તિ લાગુ છે જ આ બાબતે નાણાંમંત્રી દ્વારા કરવામાં આવ્યો ખુલાસો. હોટેલને આ બાબતે કોઇ લાભ લાગુ પડશે નહીં તેવો પ્રેસ કોન્ફરન્સમાં નાણાંમંત્રી દ્વારા કરવામાં આવ્યો ખુલાસો.
  • 01.04.2025 થી “એન્ટિ પ્રોફિટરિંગ” ની જોગવાઈ થઈ જશે બંધ. જો કે જૂના કેસો ચાલુ જ રહેશે. જી.એસ.ટી. ટ્રિબ્યુનલ કાર્યરત થશે ત્યારે જી.એસ.ટી. ટ્રિબ્યુનલ પાસે આ કેસો થશે શિફ્ટ.

આ સમયે એ બાબત પણ યાદ રાખવી જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા આપવામાં આવેલ સૂચનો કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવે ત્યારે આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવતા હોય છે. જ્યારે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવે ત્યારે જ આ તમામ રાહતો અમલી બનશે. નાણાંમંત્રી દ્વારા એ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે ઘણા એવા મુદ્દા જે આ મિટિંગમાં લેવામાં આવ્યા નથી તેના માટે ઓગસ્ટ મહિનામાંજ આગામી ટેક્સ કાઉન્સીલની મિટિંગ થાય તેવી તૈયારી કરવામાં આવશે. પાછલી ઘણી જી.એસ.ટી. કાઉન્સીલ મિટિંગ પૈકી કરદાતાને સૌથી વધુ રાહતો આપનારી મિટિંગ માની એક મિટિંગ આ ગણી શકાય તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

2 thoughts on “જી.એસ.ટી. 53 મી કાઉન્સીલ મિટિંગમાં કરવામાં આવ્યા મહત્વપૂર્ણ સૂચનો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!