2 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં ચૂકવવા આવેલ હોય તો કોર્ટ-સબ રજીસટ્રાર કરે ઇન્કમ ટેકસને જાણ: સુપ્રીમ કોર્ટ

2 લાખ કે તેથી ઉપર રોકડ ચુકવણી અંગે સુપ્રીમ કોર્ટનો ખૂબ મહત્વનો ચુકાદો: માત્ર કોર્ટ જ નહીં સબ રજીસ્ટ્રાર માટે પણ આ વિગતો ઇન્કમ ટેક્સને આપવી જરૂરી!!
તા. 25.04.2025: સુપ્રીમ કોર્ટ દ્વારા એક સિવિલ કેસની સુનાવણી કરતાં સમયે એક ખૂબ મહત્વનો ચુકાદો આપતા ઠરાવવામાં આવેલ છે કે કોઈ કેસમાં પક્ષકારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હોય કે તેઓ દ્વારા 2 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં ચૂકવવામાં આવી છે, તો તેવા કેસોની વિગતો જે તે કોર્ટ દ્વારા ક્ષેત્રાધિકાર ધરાવતા ઇન્કમ ટેક્સ ઓફિસને કરવી જરૂરી બનશે. કોર્ટ દ્વારા આ વિગતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને મોકલવામાં આવેલ હોય ત્યારે ડિપાર્ટમેંટ દ્વારા કાયદા અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત સબ રજીસ્ટ્રાર કે જેઓ સ્થાવર મિલ્કતની નોંધણીની કામગીરી કરે છે તેમની પાસે દસ્તાવેજની નોંધણી કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવે અને આ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુની રકમ રોકડમાં ચૂકવવામાં આવેલ હોય ત્યારે સબ રજીસ્ટ્રાર દ્વારા પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને જાણ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા એ પણ તાકીદ કરવામાં આવેલ છે કે કોઈ સર્વે અને સર્ચની કામગીરીમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે કોઈ એવી વિગત મળે જેમાં સ્થાવર મિલકત પેટે 2 લાખ કે તેથી વધુ રકમની ચુકવણી રોકડમાં કરવામાં આવેલ હોય અને સબ રજીસ્ટ્રાર દ્વારા આ વિગત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આપવામાં આવેલ ના હોય ત્યારે આ બાબતની જાણ રાજ્ય ના ચીફ સેક્રેટરીને કરવાની રહેશે જેઓ દ્વારા આ અધિકારી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટની આ માર્ગદર્શિકાની જાણ તમામ કોર્ટ અને સબ રજીસ્ટ્રારને કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની જે. બી. પારડીવાલા તથા આર. મહાદેવનની ખંડપીઠના આ ચુકાદાની અસર ખૂબ દૂરોગામી રહેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે