જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરવાનો આદેશ રદ્દ ઠરાવતી અલ્હાબાદ હાઇકોર્ટ:

Spread the love
Reading Time: 3 minutes

કેસના પક્ષકારો: અન્સારી કન્સ્ટ્રક્શન વી. એડી કમિશ્નર તથા અન્ય

કોર્ટ: અલ્હાબાદ હાઇકોર્ટ

કેસ નંબર: 626/2020

કેસના તથ્યો:

  • કરદાતા બાંધકામને લગતી સેવાઓ પૂરી પડતાં હતા. તેઓ માલિકી ધોરણે ધંધો કરતાં હતા અને જી.એસ.ટી. નંબર ધરાવતા હતા
  • 21.11.2019 ના રોજ અરજ્કર્તાને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી જેમાં અધિકારી દ્વારા પુછવામાં આવ્યું હતું કે 6 મહિનાથી રિટર્ન ન ભરવાના કારણે તેમનો નંબર શું કરવા રદ્દ ના કરવામાં આવે?
  • 30.11.2019 ના રોજ કરદાતા સામે જી.એસ.ટી.ની કલમ 29(2)(5) ની સત્તાનો ઉપયોગ કરી  એક તરફી આદેશ પસાર કરવામાં આવ્યો હતો અને તેમનો નોંધણી દાખલો રદ્દ કરી નાખવામાં આવ્યો હતો.
  • અરજ્કર્તાએ નોંધણી દાખલા રદ્દના આદેશ સામે 19.12.2019 ના રોજ રિવોકેશનની અરજી ફાઇલ કરી હતી.
  • આ અરજી ફાઇલ કરવા સમયે અરજ્કર્તા દ્વારા તમામ રિટર્ન ટેક્સ, વ્યાજ તથા લેઇટ ફી સાથે ભરી આપવામાં આવ્યો હતો.
  •  કરદાતાની રિવોકેશન અરજી સામે અધિકારી તેમને 29.12.2019 ના રોજ શો કોઝ નોટિસ આપવામાં આવેલ હતી.
  • આ શો કોઝ નોટિસમાં બાકી વિગતોની સ્પષ્ટ માહિતી આપવામાં આવેલ ના હતી અને 03.01.2020 ના રોજ રૂબરૂ ઉપસ્થિત થવા આદેશ કર્યો હતો.
  • આ તારીખે અરજ્કર્તા ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યુ હતું કે તેઓ દ્વારા ભરવાના થતાં તમામ રિટર્ન, ટેક્સ, વ્યાજ અને લેઇટ ફી ભરપાઈ કરી આપવામાં આવ્યા છે.
  • આમ, છતાં અધિકારી જવાબ સ્વીકાર્ય વગર 30.01.2020 ના રોજ રિવોકેશન અરજી રદ્દ કરી નાખવામાં આવી હતી. રિવોકેશન અરજી રદ્દ કરવાના કારણમાં જણાવવામાં આવ્યું હતું કે કરદાતાએ વ્યાજ ભર્યા અંગે નું ચલણ કે DRC-03 રજૂ કરેલ નથી.
  • કરદાતા દ્વારા આ આદેશ સામે અપીલ અધિકારી સમક્ષ પ્રથમ અપીલ  દાખલ કરવામાં આવી હતી. અપીલ અધિકારીને ફરી કરદાતા દ્વારા તમામ સાહિત્ય ઉપલબ્ધ કરવવામાં આવ્યું હતું.
  • અપીલ અધિકારીએ પણ ઘટક અધિકારીનો આદેશ માન્ય ઠરાવ્યો હતો અને કરદાતાની અપીલ તા. 06.07.2020 ના રોજ ઘટક કચેરીની રજૂઆત ધ્યાને રાખી નામંજૂર કરવામાં આવી હતી.

કરદાતા તરફે દલીલો:

  • અરજ્કર્તા દ્વારા જે ટેક્સની ચુકવણી કરવામાં આવી હતી તેની તમામ વિગતો જી.એસ.ટી. પોર્ટલ ઉપર ઉપલબ્ધ હતી.
  • આ તમામ વિગતો અધિકારી પોતાની રીતે પણ જોઈ-તપાસી શકતા હતા.

જી.એસ.ટી. ડિપાર્ટમેંટ વતી દલીલ:

  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ વતી એ સ્વીકારવામાં આવ્યું હતું કે નવેમ્બર 2019 સુધી જી.એસ.ટી. ના તમામ રિટર્ન ભરવામાં આવ્યા છે અને રિટર્ન મુજબનો ટેક્સ, વ્યાજ તથા લેઇટ ફી પણ ભરવામાં અવલે છે.
  • અરજ્કર્તા પાસેથી કોઈ રકમ લેણી નથી તે અંગેની સૂચના ઘટક કચેરી દ્વારા આપવામાં આવી છે.

કોર્ટનો આદેશ: 

  • આ પ્રકારના કેસો જી.એસ.ટી. ડિપાર્ટમેંટના સંવેદનહિન વર્તણુંકનું ઉદાહરણ પૂરું પાડે છે.
  • જી.એસ.ટી. કાયદાની કલમ 29(2)(C) હેઠળ જો છ મહિનાથી વધુના રિટર્ન બાકી હોય તો નોંધણી રદ કરવાની સત્તા આપે છે.
  • જી.એસ.ટી. કાયદાની કલમ 30 હેઠળ તથા નિયમ 23 હેઠળ કરદાતા રિવોકેશનની અરજી દાખલ કરી શકે છે.
  • જી.એસ.ટી. નિયમોના નિયમ 23 હેઠળ કરદાતા ઉપર રિવોકેશન માટે રિટર્ન ભરી રિટર્ન મુજબ ટેક્સ, વ્યાજ, દંડ તથા લેઇટ ફી ભરવાની જવાબદારી મૂકવામાં આવી છે. આ સિવાય કોઈ અન્ય જવાબદારી કરદાતા ઉપર મૂકવામાં આવી નથી.
  • રિવોકેશનની અરજીમાં જ્યારે એવું જણાવવામાં આવ્યું હોય કે રિટર્ન, ટેક્સ, વ્યાજ, દંડ અને લેઇટ ફી ભરપાઈ કરી આપવામાં આવી છે ત્યારે અધિકારીએ એ બાબતની ખાત્રિ પોતાની પાસે ઉપલબ્ધ સગવડ દ્વારા કરી લેવી જરૂરી છે.
  • આ બાબતે ચકાસણી કરવામાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ગંભીર રીતે અસફળ રહ્યું છે.
  • શો કોઝ નોટિસ આપવાની પદ્ધતિ બાબતે પણ કોર્ટ સંપૂર્ણપણે પોતાની અસ્વીકૃતિ દર્શાવે છે.
  • “ક્વાસી જ્યુડિશિયલ” કામગીરી બજાવવા વાળા અધિકારીઓને કાયદાની યોગ્ય તાલીમ આપવામાં આવતી નથી અને મોટા રાજસ્વ વાળા કેસો સોપવામાં આવે છે જે યોગ્ય નથી.
  • આશી. કમિશ્નર દ્વારા 30.01.2020 ના રોજ પસાર કરવામાં આવેલ આદેશ મનસ્વી આદેશ ગણાય.
  • અપીલ અધિકારી દ્વારા પણ આ પ્રકારે મનસ્વી આદેશ કરવામાં આવ્યો છે તેની નોંધ લેતા કોર્ટ દુ:ખ અનુભવે છે.
  • કોર્ટ દ્વારા એ બાબતની પણ નોંધ લેવામાં આવે છે કે કેવી રીતે અરજ્કર્તાનો કોઈ ટેક્સ બાકી નથી તે અંગેની સૂચના અપીલ અધિકારીને અપીલ દરમ્યાન આપવામાં આવતી નથી જે આ કોર્ટને આપવામાં આવી છે.
  • આ પ્રકારની ગંભીર ચૂક થવાથી અરજ્કર્તાને એક પછી એક સત્તાધિકારીનો સંપર્ક કરી ખોટી તકલીફ સહન કરવી પડી છે અને આર્થિક નુકસાની સહન કરવી પડી છે.
  • જ્યારે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારાજ સ્વીકારવામાં આવ્યું છે કે અરજ્કર્તાનો કોઈ રિટર્ન કે ટેક્સ બાકી નથી ત્યારે આ 30.11.2019 નો નોંધણી નંબર રદ્દ નો આદેશ તથા 06.07. 2020 નો અપીલ આદેશ રદ્દ કરવામાં આવે છે.
  • અરજકર્તાને કરવામાં આવેલ હેરાનગતિ બદલ આ કેસના સમવાળા નંબર 2 ને 10000 રૂ ખર્ચ પેટે અરજ્કર્તાને ચૂકવવા આદેશ કરવામાં આવે છે.

(લેખકની નોંધ: આ કેસ નંબર રદ્દ તથા રિવોકેશન ના કિસ્સાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. કોર્ટ દ્વારા કરદાતાની તરફે ચુકાદો આપવામાં આવ્યો છે પરંતુ આ કેસોની હકીકત ઉપરથી એ પણ શીખ લેવી જરૂરી છે કે જ્યારે રિટર્ન, ટેક્સ, વ્યાજ, દંડ તથા લેઇટ ફી ભરી આપવામાં આવી હોય તો શો કોઝ નોટિસના જવાબ માં અથવા તો રિવોકેશન એપ્લિકેશન સાથે આ રિટર્ન તથા ચલણની નકલ PDF સ્વરૂપે જોડી દેવી જોઈએ)

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!