જી.એસ.ટી. તપાસ દરમ્યાન કરદાતાને હેરાન ન કરે અધિકારી: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes [speaker]

Important Judgements with Tax Today

મે. ભૂમિ એસોશીએટસ વી. ભારત સરકાર તથા અન્યો 

ગુજરાત હાઇકોર્ટ-રિટ પિટિશન નંબર 3196/2021

ઓર્ડર તારીખ: 18.02.2021 (અંતરીમ આદેશ તારીખ 16.02.2021)


કેસના તથ્યો:

  • જી.એસ.ટી. હેઠળ તપાસની કામગીરીમાં કરદાતાઓને ખૂબ માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
  • કરદાતાને ધાક-ધમકી, દબાણ કરવામાં આવ્યું હતું.
  • આ ત્રાસ એ હદ સુધી હતો કે કરદાતાએ આત્મ હત્યા કરવા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
  • આ પ્રકારની ફરિયાદો ઘણા કેસમાં કોર્ટ પાસે પહોચી હતી.
  • આ ત્રાસ ન કરવામાં આવે તેવી દાદ આ રિટ પિટિશનમાં માંગવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટનો અંતરીમ આદેશ: (આદેશ તારીખ 15.02.2021)

આ કેસની ગંભીરતાની નોંધ લઈ કોર્ટ દ્વારા આ કેસનું અર્જન્ટ હિયરિંગ રાખવામા આવ્યું.

આ કેસના સામાવાળા ભારત સરકાર, ADG, સિનિયર ઇંટેલિજન્સ ઓફિસર, ગુજરાત સરકાર વી. ના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી હાજર રહેવા ફરમાવવામાં આવ્યું.

16 ફેબ્રુઆરીએ આ અધિકારીઓ જોડાયા પરંતુ ખૂબ મોડા જોડાયા હતા.

સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) કમિશ્નર-સેન્ટરલ ટેક્સ તથા કમિશ્નર સ્ટેટ ટેક્સને નીચે મુજબ ગાઈડલાઇન્સ બહાર પાડવા સૂચના આપવામાં આવે છે.

  • કોઈ પણ સંજોગોમાં કલમ 67 હેઠળ ની તપાસની કામગીરીમાં કોઈ પણ કેશ, ચેક, ઇ પેમેન્ટ કરાવવાનું રહેશે નહીં. 
  • કરદાતા સ્વેચ્છિક રીતે પણ જો DRC 03 ફાઇલ કરવા માંગતા હોય તો પણ તે DRC-03 તપાસના બીજે દિવસે ભરવા જણાવવામાં આવે. 
  • તપાસ દરમ્યાન કરદાતા ઉપર કરવામાં આવેલ ત્રાસ બાબતે ફરિયાદ કરવા સગવડ શરૂ કરવામાં આવે. 
  • કરદાતા દ્વારા ફરિયાદ કરવામાં આવે અને જો ડિપાર્ટમેંટના અધિકારી દ્વારા ત્રાસ કરવામાં આવ્યાનું ફલિત થાય તો તે અધિકારી વિરુદ્ધ કડક ખાતાકીય પગલાં ભરવામાં આવે. 

સરકારી વકીલ હોસ્પિટલમાં હોય, આ કેસને 18 ફેબ્રુઆરીએ ફરી સુનાવણી માટે રાખેલ હતો.

ગુજરાત હાઇકોર્ટનો 18.02.2021 નો આદેશ: 

  • આ કેસના સમવાળા-અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા, આ અધિકારીઓ પૈકી, ડો. સતિશ ધવલે, ADG દ્વારા લીડ લેવામાં આવી હતી.
  • ડો. સતિશ ધવલે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિટ પિટિશનમાં થયેલ ત્રાસ અંગેની ફરિયાદો અંગે યોગ્ય તપાસ શરૂ કરી આપવામાં આવી છે.
  • અધિકારીઓ વતી સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 16 ફેબ્રુઆરીએ અંતરીમ આદેશમાં જણાવવામાં આવેલ ગાઈડલાઇન્સ બહાર પાડવાની સત્તા CBIC ની છે. CBIC આ કેસમાં પક્ષકાર નથી. આ પ્રકારે ગાઈડલાઇન્સ બહાર પાડવા તેમની સાથે ચર્ચા કરવી જરૂરી બને છે.
  • CBIC ને તમામ રિટ પિટિશનર પક્ષકાર બનાવે તેવી સૂચના હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ છે.
  • સરકારી વકીલશ્રીએ CBIC વતી નોટિસનો સમય જતો કરવા સહમતી દર્શાવેલ છે.
  • CBIC ને કારણદર્શક નોટિસ આપી આ સાથે પુછવામાં આવે છે કે શા માટે 16 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલ નિર્દેશો સર્ક્યુલર/ઇન્સ્ટ્રક્શન દ્વારા બહાર પાડવામાં ન આવે?
  • ડો. સતિશ ધવલે દ્વારા ખાત્રી આપવામાં આવી છે કે હવે પછી આ પ્રકારે ખોટા ત્રાસ-દબાણ અંગે આ પ્રકારની ફરિયાદો નહીં આવે અને જે ફરિયાદો મળી છે તેની ઉપર યોગ્ય તપાસ કરવામાં આવશે.
  • કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે સામાન્ય રીતે અધિકારીઑને હાજર રહેવા જણાવતા નથી પરંતુ જે પ્રમાણે આ કેસોમાં જે પ્રમાણે ફરિયાદો મળી છે તેના કારણે ઓફિસરોને હાજર રહેવા જણાવવામાં આવ્યું.
  • અમે અધિકારીઓનું “મોરલ ડાઉન” કરવા માંગતા નથી પરંતુ એ ચોક્કસ છે કે અધિકારીએ કાયદામાં રહીને આ કામ કરવું જોઈએ.
  • અધિકારીઑ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 67 હેઠળની કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહી હાથ ધરવી જોઈએ.
  • અમારો આદેશ તમામ અધિકારીઑ માટે સ્પષ્ટ છે.
  • આ કેસની હવે પછીની સુનાવણી 23 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

(સંપાદક નોંધ: આ કેસ સંપૂર્ણ રીતે પૂરો થયો નથી. છતાં કેસની ગંભીરતા જોતાં આ કેસ આજે લેવામાં આવ્યો છે. તપાસની કાર્યવાહીમાં કરદાતા સાથે ક્યારેક ખૂબ અમનનીય વર્તન થાય છે. આ પ્રકારે કોઈ અધિકારી વર્તન ન કરી શકે તે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.)

 

 

error: Content is protected !!