જી.એસ.ટી. હેઠળ શું છે SEZ?, શું ફાયદાઓ છે SEZ ના એકમોને? વાંચો ગુજરાતીમાં આ સરળ લેખ

Spread the love
Reading Time: 4 minutes

સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ)ને સપ્લાય, By, અલ્કેશ જાની 

  1. SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને પૂરો પાડવામાં આવતા પુરવઠો એટલે કે સપ્લાયને સમજતા પહેલા આપણે આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું છે તેના વિશે પણ થોડું જાણવું જોઈએ. ભારત સરકારે નિકાસને વેગ આપવા  માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ, 2005 અમલમાં લાવ્યા જેમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરેલા ક્ષેત્રમાં ઉદ્યોગની સ્થાપના કરે છે તેમને વિશેષ લાભ આપવામાં આવે છે.
  2. જ્યારે ડેવલોપર એસ.ઈ.ઝેડ. ક્ષેત્રનું નિર્માણ કરે છે અને કોઈ ઉદ્યોગસાહસિક તેમાં યુનિટ એટલે કે એકમ સ્થાપવા માગે છે તો તેમણે અધિકાર ક્ષેત્રના ડેવલોપમેન્ટ અધિકારીને અરજી કરવાની રહેશે. અરજીની સાથે લાગતા વળગતા ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજ જેમાં ઉત્પાદન કરતા હોય તો ઉત્પાદનની  પ્રક્રિયા, તેમાં ઉપયોગમાં લેવામાં આવે તેવી કાચી સામગ્રી અને સેવા વગેરે સાથે ની વિગતો આપવાની રહેશે, ત્યારબાદ બોર્ડ ઓફ એપ્રુવલ (Board of Approval)  તેની સમીક્ષા કરી અને અધિકૃત કામગીરીને મંજૂરી આપશે જેને (LOA) ‘લેટર ઓફ એપ્રુવલ’ કહે છે. જોકે, અધિકૃત કામગીરી માટે  મંજુરીમાં શરતો અને નિયંત્રણ પણ લાગુ પડતા હોય છે. એસ.ઈ.ઝેડ.  યુનિટ ડ્યુટી ભર્યા વગર આયાત કરી શકે છે અને સ્થાનિક બજારમાંથી ખરીદી પણ કરી શકે છે. એસ.ઈ.ઝેડની વ્યાખ્યા મુજબ ભારતની સીમાઓ પણ એસ.ઈ.ઝેડ. ક્ષેત્ર સિવાયની, જેને ડોમેસ્ટિક ટેરિફ એરીયા (Domestic Tariff Area (DTA))  કહે છે.
  3. એસ.ઈ.ઝેડ. એક્ટ 2005 હેઠળ અન્ય કાયદાની જેમ વ્યાખ્યાઓ આપવામાં આવી છે, જેમાં જો કોઈ વ્યક્તિ એસ.ઈ.ઝેડ યુનિટને સપ્લાય કરે છે તો તેને નિકાસ કરી છે તેમ માનવામાં આવશે. વધુમાં એસ.ઈ.ઝેડ એક્ટની કલમ 51 મુજબ એસ.ઈ.ઝેડ કાયદાને અન્ય કાયદાથી ઉપરવટની અસર (overriding effect) આપવામાં આવી છે, એટલે કે જો અન્ય કાયદામાં કોઈ વ્યાખ્યા/ જોગવાઇ આપી હોય અને એ જ વ્યાખ્યા/ જોગવાઇ એસ.ઈ.ઝેડ એક્ટમાં પણ આપી હોય તો એસ.ઈ.ઝેડ.ની વ્યાખ્યા/ જોગવાઇ સર્વોપરિ માનવામાં આવશે.
  4. એસ.ઈ.ઝેડનો કાયદો 2005માં ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 246 હેઠળ લાવવામાં આવ્યો જે ભારત સંઘની સૂચીમાં છે. હવે જ્યારે જીએસટી કાયદો લાવવાની વાત આવી ત્યારે “one nation one tax” માટે બંધારણમાં સુધારા નંબર 101 થી સુધારા કર્યા, જેમાં માલ અને સેવા પર વેરો નાખવા માટે બંધારણમાં અનુચ્છેદ નંબર 246A ઉમેરવામાં આવ્યો. આ જોગવાઈની શરૂઆત “Notwithstanding” થી કરવામાં આવી એટલે કે “અનુચ્છેદ નંબર 246 માં હોવા તેમ છતાં…” તેથી એસ.ઈ.ઝેડની ઉપરવટની અસરને અસર વિનાનું કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એસ.ઈ.ઝેડ એક્ટની કલમ 51ની ઉપરવટની અસરની જોગવાઈ જી.એસ.ટી. કાયદાને લાગુ નહીં પડે આના માટે કાં તો એસ.ઈ.ઝેડ. કાયદામાં અથવા તો જી.એસ.ટી. કાયદામાં સુધારો કરવો પડે.
  5. આઇ.જી.એસ.ટી.ની કલમ (7) મુજબ એસ.ઈ.ઝેડ.ને અથવા એસ.ઈ.ઝેડ દ્વારા પુરો પાડવામાં આવતો પુરવઠાને આંતર રાજ્ય (inter-state) પુરવઠો માનવામાં આવે છે. જ્યારે આઇ.જી.એસ.ટી.ની કલમ 8 સ્પષ્ટ કહે છે કે એસ.ઈ.ઝેડને અથવા તેના દ્વારા પૂરો પાડવામાં આવતા પુરવઠાને રાજ્ય અંતર્ગત (intra-state) માનવામાં આવશે નહીં.
  6. સી.જી.એસ.ટી. એક્ટ ની કલમ 25(1)ના પરંતુક મુજબ જે વ્યક્તિનું યુનિટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં હોય તેણે અલગથી રજિસ્ટ્રેશન લેવું પડશે અને તેને અલગ વ્યક્તિ તરીકે માનવામાં આવશે. તેથી જો કોઈ વ્યક્તિ એસ.ઈ.ઝેડ. યુનિટને પૂરવઠો પૂરો પાડવામાં આવે છે, પછી ભલે તે એક જ રાજ્યમાં હોય તો પણ તેને આંતર રાજ્ય (inter-state) પૂરવઠો પૂરો પાડવામાં આવ્યો છે તેમ માનવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગુજરાતનો સપ્લાયર ગુજરાતમાં સ્થિત એસ.ઈ.ઝેડ યુનિટને પુરવઠો પૂરો પાડે છે તો, તેને આંતરરાજ્ય પુરવઠો માનવામાં આવશે.
  7. એસ.ઈ.ઝેડ યુનિટને આપેલા વિશેષ દરજ્જો અને લાભને કોઈ હાનિ ન પહોંચે તે માટે આઇ.જી.એસ.ટી.ની કલમ 16 હેઠળ તેને શૂન્ય દરનો પુરવઠો માનવામાં આવે છે. શૂન્ય દરના પુરવઠાની વ્યાખ્યામાં નિકાસ અને એસ.ઈ.ઝેડ યુનિટને પુરો પાડવામાં આવતો પુરવઠાનો સમાવેશ થાય છે. નિકાસની વ્યાખ્યા આઇ.જી.એસ.ટી.ની કલમ (2)(5)માં આપવામાં આવી છે, તે મુજબ ‘માલને ભારત પ્રદેશથી બહારના પ્રદેશ..’. એસ.ઈ.ઝેડ. યુનિટને પણ નિકાસની સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે એટલે કે તે પણ શૂન્ય દરનો પુરવઠો ગણાય. જો કોઈ વ્યક્તિ એસ.ઈ.ઝેડ. યુનિટને પુરવઠો પુરો પાડે છે તો તેને નિકાસના પુરવઠાના જે લાભ મળે છે તે લાભ મળશે. નિકાસની જેમ જ એસ.ઈ.ઝેડ.ને પૂરો પાડવામાં આવતો પુરવઠાને એલ.યુ.ટી./ બોન્ડ હેઠળ, જેમાં વેરો ભર્યા વગર પુરવઠો પુરો પાડી શકાય છે અથવા તો વેરો ભરીને પણ  પુરવઠો પુરો  પાડી શકાય છે. નિકાસના પુરવઠાને જેમ વેરાનું  રિફંડ મળે છે તેમ એસ.ઈ.ઝેડ.ને પૂરો પાડવામાં આવતો પુરવઠાને પણ મળશે. અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે એસ.ઈ.ઝેડને પુરો પાડવામાં આવતો પુરવઠો શૂન્ય દરનો છે પણ નિકાસ નથી, કારણ કે તે ભારતની બહાર ના પ્રદેશમાં પુરો પાડવામાં આવતો નથી.
  8. નિકાસના કિસ્સામાં વ્યક્તિએ શીપીંગ બિલ ફાઇલ કરવું પડે છે જ્યારે એસ.ઈ.ઝેડ. ના કિસ્સામાં બિલ-ઓફ-એક્સપોર્ટ (bill of export) ફાઈલ કરવાનું હોય છે. બિલ-ઓફ-એક્સપોર્ટ સપ્લાયર અથવા એસ.ઈ.ઝેડ, યુનિટ બંનેમાંથી કોઇ પણ ફાઇલ કરી શકે છે, પણ મોટા ભાગે એસ.ઈ.ઝેડ. યુનિટ સપ્લાયર વતી ફાઈલ કરે છે અને સપ્લાયરે આપેલા ઇન્વોઇસ ઉપર અધિકૃત કરેલા અધિકારી તે ખરાઇ કરે છે કે માલ અથવા સેવા જે એસ.ઈ.ઝેડ. યુનિટને પૂરી પાડવામાં આવી છે તે મળી છે અને તે અધિકૃત કામગીરી માટે છે. રિફંડ ક્લેમ ફાઈલ કરતી વખતે અન્ય દસ્તાવેજોની સાથે ખરાઇ કરેલું ઇન્વોઇસ પણ એક મહત્વનું દસ્તાવેજ છે, જેના વગર રિફંડ અટકી શકે છે.
  9. એસ.ઈ.ઝેડ યુનિટ ને બે રીતે પુરવઠો પુરો પાડી શકાય

(i)      એલ.યુ.ટી./ બોન્ડ હેઠળ વેરો ભર્યા વગર, જેમાં નિયમ 46 મુજબ ઇન્વોઇસ ના માથાળે “SUPPLY TO SEZ UNIT OR SEZ DEVELOPER FOR AUTHORISED OPERATIONS UNDER BOND OR LETTER OF UNDERTAKING WITHOUT PAYMENT OF INTEGRATED TAX” એવું લખવું પડશે.  સંચિત એટલે કે એકત્રિત થયેલી આઈ.ટી.સી. માટે રિફંડ ક્લેમ ફાઇલ કરી શકાય છે.

(ii)      વેરો ભરીને, જેમાં નિયમ 46 મુજબ ઇન્વોઇસ ના માથાળે “SUPPLY TO SEZ UNIT OR SEZ DEVELOPER FOR AUTHORISED OPERATIONS ON PAYMENT OF INTEGRATED TAX” એવું લખવું પડશે. ભરેલા વેરા માટે રિફંડ ક્લેમ ફાઇલ કરી શકાય છે.

રિફંડ ફાઇલ કરવાની રીત અને સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો માટે સર્ક્યુલર નંબર 125/2019 ને ધ્યાને લો.

ધ્યાન રાખો કે રિફંડ એક સંવેદનશીલ પ્રક્રિયા છે, રિફંડ ક્લેમ ફાઇલ કરતા પહેલા, જો શક્ય હોય તો, તમારી નજીકના નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

(લેખક ટેક્સ એક્સપર્ટ છે. તેઓના જી.એસ.ટી. ઉપરના બ્લોગ ખૂબ મોટા પ્રમાણમા વાંચવામાં આવે છે)

1 thought on “જી.એસ.ટી. હેઠળ શું છે SEZ?, શું ફાયદાઓ છે SEZ ના એકમોને? વાંચો ગુજરાતીમાં આ સરળ લેખ

  1. શ્રીમાન,
    તમારા કોમેન્ટ અને સૂચનો માટે આભારી છું.
    લેખની લંબાઈને ધ્યાનમાં લેતા, કેટલાક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા ન હતા. જો કે, હવે પછીના લેખમાં તેને આવરી લેવામાં આવશે અને ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
    ફરી એક વાર હું લેખ માટે તમારો કિંમતી સમય આપવા બદલ આભાર માનું છું.

Comments are closed.

error: Content is protected !!