શું તમે જી.એસ.ટી. નંબર ધરાવો છો??? તો આ બાબતો જાણવી તમારા માટે છે ખૂબ જરૂરી……

GST
Spread the love
Reading Time: 4 minutes

 

 

 

હેમંગ શાહ, ટેક્સ એડવોકેટ, જુનાગઢ

 

જી.એસ.ટી. લાગુ થયાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એક ટેક્સ એડવોકેટ તરીકે મારો અનુભવ રહ્યો છે કે વેપારીઓ જી.એસ.ટી. કાયદા અંગે સામાન્ય નિયમોની જાણકારી હોતી નથી. આ જાણકારી ના અભાવે ક્યારેક દંડ ભોગવવો પડતો હોય છે. આ લેખમાં સામાન્ય વેપારી માટે ધ્યાને રાખવાના નિયમોની જાણકારી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ દરેક વેપારી નીચેની બાબતો ધ્યાને રાખે તે જરૂરી છે:

  • ધંધાનું મુખ્ય સ્થળ, શાખા કે ગોડાઉન ઉપર ધંધાના નામના બોર્ડમાં GST નંબર લખવો ફરજિયાત છે. જો આપના ધંધા ના સ્થળે બોર્ડ ના લગાવેલ હોય તો જીએસટી નંબર સાથે નું બોર્ડ તુરંતજ લગાવી લેવું હિતાવહ છે.

 

  • ઉચ્ચકવેરાનો વિકલ્પ સ્વીકારનારે ધંધાના બોર્ડમાં “કોમ્પોઝિશન ટેક્ષેબલ પર્સન” (Composition Taxable Person) લખવું ફરજીયાત છે. જો કંપોઝીશન ડિલરે બોર્ડમાં આ ના લખેલ હોય તો તુરતજ લખાવી લે તે જરૂરી છે.

 

  • ઉચ્ચક વેરા નો વિકલ્પ સ્વીકારનારે બીલ ઓફ સપ્લાયમાં “કોમ્પોઝિશન ટેક્ષેબલ પર્સન, નોટ એલીજીબલ ટુ કલેક્ટ ટેક્સ ઓન સપ્લાય” (CompositionTaxablePerson, not eligible to collect tax on supplies) છપાવવું ફરજિયાત છે.

 

  • ધંધા ના સ્થળ ઉપર ત્રણ પાનાનું જીએસટી નંબરનું સર્ટિફિકેટ રાખવું અને દર્શાવવું ફરજિયાત છે.

 

  • આપના ધંધાની જેટલી શાખા, ગોડાઉન , ઓફિસ, કે અન્ય સ્થળ હોય તેની જાણ જીએસટી પોર્ટલ ઉપર કરવી ફરજિયાત છે. જો ના કરાવેલ હોય તો તે અંગે જાણ કરી આપવી હિતાવહ છે.

 

  • આપના ચાલુ બઁક ખાતામાં ફેરફાર હોય ત્યારે તેની વિગત આપી નવા ખાતાની નોંધ જી.એસ.ટી. માં કરાવવી જરૂરી છે.

 

  • ભાગીદારીમાં ફેરફાર, ધંધા ના સ્થળ કે અન્ય કોઈ ફેરફાર હોય તો તેની જાણ વિગતો સાથે ફેરફારની તારીખથી 15 દિવસમાં ફેરફારની જાણ જી.એસ.ટી. પોર્ટલ ઉપર કરવી જરૂરી છે.

 

  • કંપોઝીશન સિવાયના વેપારીઓ માટે એ જાણવું જરૂરી છે કે માલ વેચનાર સમયસર ટેક્ષ કે રિટર્ન નહી ભરે અને GSTR 2A માં આપની ખરીદી નહીં દર્શાવતી હોય, તો આપને ટેક્સ ક્રેડિટ નહી મળે. જેથી જે વેપારી પાસેથી ખરીદી કરો તે વેપારી જેન્યુઇન છે કે નહી? અને સમયસર રિટર્ન ભરે છે કે નહી? તે વિગતો ચકાસી ને પછીજ ખરીદી કરવી હિતાવહ છે.

 

  • આપના ચલણ ભરાય જાય ઍટલે તુરતજ આપના ટેક્સ પ્રેકટિશનરને ઈમેલથી કે રૂબરૂ ચલણની નકલ મોકલી આપવી જેથી રિટર્ન સમયસર રજુ કરી શકાય. ઘણીવાર એવું જાણવા મળતું હોય છે કે ટેક્સ ભરાઇ ગયો હોવા છતાં ચલણ ટેક્સ પ્રેકટિશનરને પહોચડવામાંના આવ્યું હોય અને વેપારીએ લેઇટ ફી ભરવી પડી હોય.

 

  • આપના ઈમેલ કે મોબાઇલ નંબર માં ફેરફાર હોય તો તુરતજ જાણ કરશો. જી.એસ.ટી., ઇન્કમ ટેક્સ રિટર્ન વી. ની નોટિસ વગેરે ઇ મેઈલ તથા SMS દ્વારા આવતા હોવાથી દિવસમાં ઓછામાં ઓછું 1 વાર ચેક કરવું જરૂરી છે. કોઈ જી.એસ.ટી. કે અન્ય ટેક્સ અંગેના ઇ મેઈલ કે SMS આવે અને ના સમજાય તો ટેક્સ પ્રેકટિશનરોનો ત્વરિત સંપર્ક કરવો ખૂબ જરૂરી છે.

 

  • હીસાબી વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ના વર્ષની ટેક્સ-ક્રેડિટ રિટર્ન માં દર્શાવવાની બાકી રહી ગઈ હોય તો મોડમાં મોડુ સપ્ટેમ્બરના 2020ના રિટર્નની છેલ્લી તારીખ (20 ઑક્ટોબર) સુધીમાં ક્લેમ કરી લેશો. જો આ સમય સુધીમાં ક્રેડિટ ક્લેમ ના કરવામાં આવે તો આ ક્રેડિટ મળી શકે નહીં. મારા અંગત મત મુજબ ઘણીવાર વેપારી ખરીદીના ટેક્સ ઇંવોઇસ ની સંભાળ રાખતા નથી. મિત્રો, ટેક્સ ઇંવોઇસનું મૂલ્ય રૂપિયાની નોટ જેવુ છે. જો નોટ સમયસરના વટાવવામાં આવે તો “ડીમોનેટાઈઝ” થઈ જાય છે. તેવી રીતે સમયસર ટેક્સ ઇંવોઇસની ક્રેડિટ ના લેવામાં આવે તો આ બિલની ક્રેડિટ મળી શકતી નથી.

 

  • હજુ ઘણા વેપારીઓના ટેક્સ ઇન્વોઇસ માં પ્લેસ ઓફ સપ્લાયના કે સ્ટેટ કોડના કોલમ જ નથી. જેથી તેઓએ નવી ટેક્સ ઇન્વોઇસ બુક નીયમ અનુસારની છપાવી લેવી જોઇએ.

 

  • ઘણા વેપારીઓ હજુ માલની સાથે ડિલિવરી ચલન મોકલે છે. પરંતુ આ નવા કાયદામાં માત્ર નીચેના કિસ્સામાં જ ડિલિવરી ચલણનો ઉપયોગ કરી શકાય છે…(એ) જ્યારે જોબવર્ક માટે માલ મોકલતો હોય ત્યારે, (બી) જ્યારે માલ કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જતો હોય કે ત્યાંથી પરત લવાતો હોય ત્યારે, (સી) પોતાની જ એક જગ્યાએથી પોતાની જ બીજી જગ્યાએ, એટલે કે અન્ય જગ્યાના ગોડાઉનેથી માલ ફેક્ટરી એ લવાતો હોય કે ફેક્ટરી એથી અન્ય જગ્યાના ગોડાઉને માલ લઇ જવામાં આવતો હોય ત્યારે. ઉપરના કિસ્સા સિવાય જ્યારે માલની હેરફેર થતી હોય ત્યારે, વાહન સાથે ટેક્ષ ઇન્વોઇસ અથવા બિલ ઓફ સપ્લાય પૈકી જે લાગુ પડતુ હોય તે હોવું ફરજિયાત છે. ઉપર જણાવેલ નીયમોના ભંગ બદલ આપ દંડ ભરવા પણ જવાબદાર થઈ શકો છો. જેની ખાસ નોંધ લેશો.

 

  • હાલ ટ્રાન્સપોર્ટ ના પેમેન્ટ, વકીલની ફી જેવા ખર્ચ ઉપર ઉપરાંત કપાસ, કાજુ જેવી ખરીદીઓ ઉપર RCM (રિવર્સ ચાર્જ મિકેનીઝમ) મુજબ વેરો ભરવાની જવાબદારી આવે છે. RCM અંગેની પોતાની જવાબદારી સમજી કરદાતાએ ભરવી જરૂરી છે. આ જવાબદારી જો આકારણી હેઠળ ભરવાપાત્ર નીકળે તો ટેક્સ ઉપરાંત વ્યાજ તથા દંડ પણ લાગી શકે છે.

 

  • કરદાતાએ એ પણ જાણવું જરૂરી છે કે ધંધાના ચોપડા તથા હિસાબી સાહિત્યો ધંધાની જગ્યા ઉપર રાખવા જરૂરી છે.

 

  • હવે જીએસટીમાં પણ આધાર કાર્ડને ઓર્થેન્ટિકૅટ કરવાનાં જે થાય છે. તે માટે આપના ઇમેઇલ આઇડી અને મોબાઈલ નંબર આપના આધાર કાર્ડના ડેટામાં પણ હોય, તો જ જીએસટી ના પોર્ટલ માં તે ઓર્થેન્ટિકૅટ થઈ શકે છે. જેથી આપના મોબાઈલ નંબર અને ઇમેઇલ આઇડી નો આપના આધાર કાર્ડ માં ઉમેરો કરાવી લેવા પણ ખાસ જરૂરી છે.

જી.એસ.ટી. અધિકારીઓ ઘણા ગામમાં વેપારીઓની સ્થળ તપાસ કરી રહ્યા છે તેવા અહેવાલો છે. આ પ્રકારની સ્થળ તપાસ થાય અને ઉપર મુજબ જો ધ્યાન રાખવામા ના આવે તો વેપારીઓ ઉપર દંડકીય કાર્યવાહી થઈ શકે છે.

(લેખક જુનાગઢના જાણીતા ટેક્સ એડવોકેટ છે. તેઓ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો. ના ભુતપૂર્વ ઉપ પ્રમુખ રહી ચૂક્યા છે.)

14 thoughts on “શું તમે જી.એસ.ટી. નંબર ધરાવો છો??? તો આ બાબતો જાણવી તમારા માટે છે ખૂબ જરૂરી……

  1. Thanks for your guidance. Maximum dealers/traders/manufacturers are not knowing every thing.

  2. ખુબજ સરસ લેખ છે.
    ઘણું જાણવા જેવું છે.
    Good work Sir.

Comments are closed.

error: Content is protected !!