જી.એસ.ટી. માં કરદાતાઓને મળી મોટી રાહતો!! આ તક ચૂકવા જેવી નથી….

Spread the love
Reading Time: 4 minutes

By Bhavya Popat

તા. 20.07.2023

જી.એસ.ટી. કાઉન્સીલની 50 મી બેઠકમાં કરદાતા માટે અનેક રાહતોની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આપ સૌ વાંચકો જાણો છો કે જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગમાં લેવામાં આવેલ નિર્ણયો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર માટે સૂચનો સ્વરૂપે જ હોય છે. આ અંગે અમલવારી કરવી કે ના કરવી તે બાબતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે. તદ્દઉપરાંત એ બાબત પણ જાણવી ખૂબ જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલના નિર્ણયની અમલવારી કરવાની થાય તો પણ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખથી જ આ નિર્ણયની અમલવારી કરવામાં આવતી હોય છે. જી.એસ.ટી. કાઉન્સીલની 50 મી બેઠકમાં કરવામાં આવેલ સૂચનો અંગેના નોટિફિકેશન 17 જુલાઇ 2023 ના રોજ જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમસ (CBIC) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશન પૈકી મહત્વના નોટિફિકેશન અંગે આ લેખમાં માહિતી આપવામાં આવી છે.

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાઓ માટે જાહેર થઈ આ રાહતો (નોટિફિકેશન 22/2023, તા. 17.07.2023)

જી.એસ.ટી. કાઉન્સીલની 50 મી મિટિંગમાં કંપોઝીશન કરદાતાઓ માટે ભરવાના થતાં GSTR 4 માં ભરવાની થતી લેઇટ ફી માં રાહત આપવા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને અનુરૂપ નોટિફિકેશન 31 માર્ચ 2023 ના મોડી રાત્રે બહાર પાડવામાં આવ્યા હતા. નોટિફિકેશન 02/2023, તા. 31.03.2023 મુજબ કંપોઝીન કરદાતાઑને ભરવાના થતાં NIL GSTR 4 ફોર્મ માટેની લેઇટ ફી સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવી છે. જ્યારે આ સિવાયના GSTR 4 ભરવાની લેઇટ ફી મહત્તમ 500/- રૂપિયા કરી આપવામાં આવી છે. આ ફી માં CGST 250 + SGST 250 એમ ગણવાની રહેશે. આ રાહતોનો લાભ લેવા કરદાતા એ પોતાના GSTR 4 તારીખ 01 એપ્રિલ 2023 થી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવે આ મુદતમાં ફરી વધારો કરી કરદાતાઓને આ બાકી રિટર્ન ભરવા 31 ઓગસ્ટ સુધી તક આપવામાં આવી છે. આ રાહતોના કારણે અનેક કંપોઝીશન કરદાતાઓને ફાયદો મળશે. ખાસ કરીને Covid 19 દરમ્યાન ઘણા GSTR 4 ભરવાના બાકી રહી ગયા હોવાના સમાચાર મળી રહે છે.

રિટર્ન ના ભરવાના કારણે રદ્દ થયેલ નોંધણી દાખલો ફરી ચાલુ કરાવવા આપવામાં આવી તક!! (નોટિફિકેશન 23/2023, તા. 17.07.2023)

જી.એસ.ટી. હેઠળ કલમ 29 હેઠળ રિટર્ન ના ભરવાના કારણે જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ થયો હોય તેવા કરદાતા માટે મહત્વની રાહત જાહેર કરવામાં આવી છે. 31.12.2022 સુધી આ પ્રકારે રદ્દ થયેલ નોંધણી દાખલો કરદાતા ફરી પુનઃજીવિત કરી શકશે તે અંગેનું નોટિફિકેશન 03/2023, તા.31.03.2023 બહાર પાડી આ રાહતો આપવામાં આવી હતી. કરદાતા કે જેઓનો નોંધણી દાખલો રદ્દ થઈ ગયેલ છે અને તેઓ આ નોંધણી દાખલો પુનઃજીવિત કરવા સમયસર અરજી કરી શક્યા નથી તેઓ 30 જૂન 2023 સુધીમાં નોંધણી દાખલો પુનઃજીવિત કરવા અરજી કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. આ અરજી કરવાની મુદતમાં વધારો કરી તેને 31 ઓગસ્ટ કરી આપવામાં આવી છે. આ અરજી કરતાં પહેલા કરદાતાએ પોતાના નોંધણી નંબર રદ થયો છે ત્યાં સુધીના બાકી રિટર્ન લેઇટ ફી અને વ્યાજ સાથે ભરી આપવાના રહેશે. એવા કરદાતાઓ કે જેઓ એ અગાઉ રિવોકેશનની અરજી કે અપીલ કરેલ હોય અને તે સમયમર્યાદાના કારણે રદ્દ થયેલ હોય તેવા કરદાતાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. જી.એસ.ટી. નોંધણી દાખલો રદ થયાના કારણે તકલીફ ભોગવતા કરદાતાઓ માટે આ મોટા રાહતના સમાચાર છે. આ પ્રકારે નોંધણી દાખલો રદ્દ થયો હોય અને પોતાનો જી.એસ.ટી. નંબર ફરી ચાલુ કરાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ આ તકને છેલ્લી તક ગણી શકાય.

રિટર્નના ભરવાના કારણે અધિકારી દ્વારા એકતરફી પસાર કરવામાં આવેલ આદેશ પાછા ખેચવામાં આવશે (નોટિફિકેશન 24/2023)

જી.એસ.ટી. કાયદા હેઠળ કરદાતા દ્વારા રિટર્ન ભરવામાં ચૂક કરવામાં આવે તેવા સંજોગોમાં નોટિસ આપવામાં આવે છે. આ નોટિસમાં આપવામાં આવેલ સમયમર્યાદામાં કરદાતા દ્વારા જો રિટર્ન ભરવામાં ના આવે તો અધિકારી દ્વારા “બેસ્ટ એસેસમેંટ ઓર્ડર” પસાર કરવામાં આવતા હોય છે. કરદાતા દ્વારા આ આદેશ મળ્યાના 1 મહિનામાં રિટર્ન ભરી આપવામાં આવે તો આ પસાર કરવામાં આવેલ આકારણી આદેશ રદ્દ થઈ જતાં હોય છે. પરંતુ એવા ઘણા કિસ્સા છે જ્યાં આ પ્રકારે અધિકારી દ્વારા આદેશ પસાર કરવામાં આવ્યો હોવા છતાં કરદાતા દ્વારા રિટર્ન ભરવામાં આવેલ નથી. આવા કિસ્સામાં કરદાતા દ્વારા 30 જૂન 2023 સુધી રિટર્ન ભરી આપવામાં આવે તેવી છૂટ નોટિફિકેશન 6/2023, 31.03.2023 દ્વારા આપવામાં આવેલ હતી. આ 30 જૂન સુધીની મુદતમાં વધારો નોટિફિકેશન 24/2023, તા. 17.07.2023 થી હવે 31 ઓગસ્ટ 2023 કરી આપવામાં આવી છે. આમ, આ પ્રકારે આકારણી આદેશ પસાર થઈ ગયા હોય તેવા કિસ્સામાં કરદાતા દ્વારા વિના ચૂક કર્યે આકારણી રિટર્ન ભરી મોટી જવાબદારીમાંથી બચવું જરૂરી બની જાય છે.

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન સિવાયના કરદાતાઑ માટે વાર્ષિક રિટર્ન ભરવાની લેઇટ ફી માં આપવામાં આવી રાહત (નોટિફિકેશન 25/2023)

જી.એસ.ટી કાયદા હેઠળ 2 કરોડ ઉપરનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે પોતાનું વાર્ષિક રિટર્ન GSTR 9 માં ભરવું ફરજિયાત છે. કરદાતાઓના જૂના બાકી GSTR 9 એટ્લે કે વાર્ષિક રિટર્ન માટે લેઇટ ફી માં મોટી રાહતો આપવામાં આવી છે. નોટિફિકેશ 7/2023, તા. 31.3.2023 દ્વારા નાણાકીય વર્ષ 2017 18 થી માંડી નાણાકીય વર્ષ 2021 22 સુધીના કોઈ પણ બાકી GSTR 9 કરદાતાને ભરવાના બાકી હોય તો આ રિટર્ન માટેની મહત્તમ લેઇટ ફી 20000/- કરી આપવામાં આવી છે. મોટા કરદાતાઓ માટે આ પણ એક મોટી રાહત છે જ્યારે નાના કરદાતા માટે જૂના વાર્ષિક રિટર્ન ભરવામાં કોઈ વિશેષ લાભ આપવામાં આવ્યો નથી. જો કે કરદાતાઓએ આ જૂના રિટર્ન માટે આ નોટિફીકેશન નો ફાયદો લેવા પોતાના બાકી રિટર્ન 01 એપ્રિલ 2023 થી માંડી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેતા હતા. હવે આ નોટિફિકેશન 25/2023, તા. 17.07.2023 દ્વારા આ રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરી 31 ઓગસ્ટ કરી આપવામાં આવી છે.

જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરાવવા સમયે ભરવાના થતાં GSTR 10 ફોર્મની લેઇટ ફી માં મોટી રાહત: (નોટિફિકેશન 26/2023)

જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ સિવાયના કોઈ પણ કરદાતા પોતાનો જી.એસ.ટી. નંબર રદ્દ કરાવે અથવા તો જી.એસ.ટી. અધિકારી દ્વારા કરદાતાનો નોંધણી દાખલો રદ્દ કરી આપવામાં આવે ત્યારે કરદાતા દ્વારા પોતાના સ્ટોકની વિગતો આપતું ફોર્મ GSTR 10 માં ભરવાનું રહે છે. આ ફોર્મ ઘણા કરદાતાઓ ભરવાનું ચૂકી ગયા હતા. આ કારણે તેઓ 10000 જેવી માતબર લેઇટ ફી ભરવા જવાબદાર બની જતાં હતા. NIL ડેટા સાથેના આ ફોર્મ ભરવા ઉપર પણ 10000 જેવી લેઇટ ફી લાગુ પડતી હતી. આ અંગે નોટિફિકેશન 08/2023, તા. 31.03.2023 દ્વારા રાહતો આપી કરદાતાને આ બાકી ફોર્મ ભરવાની લેઇટ ફી મહત્તમ 1000/- કરી આપવામાં આવી છે. જો કે કરદાતાઓએ આ જૂના રિટર્ન માટે આ નોટિફીકેશનનો ફાયદો લેવા પોતાના બાકી રિટર્ન 01 એપ્રિલ 2023 થી માંડી 30 જૂન 2023 સુધીમાં ભરી આપવાના રહેતા હતા. હવે નોટિફિકેશન 26/2023, તા. 17.07.2023 દ્વારા આ રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરી 30 જૂન ના સ્થાને 31 ઓગસ્ટ સુધી કરી આપવામાં આવી છે.

કરદાતાઑને જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગના અનુસંધાને ખૂબ મોટી રાહતો આપવામાં આવેલ હતી. આ રાહતોનો લાભ મેળવવા કરદાતાઓ દ્વારા 30 જૂન 2023 સુધીમાં પોતાના રિટર્ન ભરી આપવાના કે અરજી કરી આપવાની રહેતી હતી.  આમ છતાં ઘણા મોટા પ્રમાણમા કરદાતાઓ આ લાભ લેવાનો ચૂકી ગયા હતા. આવા કરદાતાઓને ફરી તક આપવા જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા ભલામણ કરવામાં આવેલ હતી. આ ભલામણને અનુસરી કરદાતાઓ માટે ફરી એક તક આપવામાં આવેલ છે. હવે આવી ચૂક કરનાર કરદાતાઓ આ 31 ઓગસ્ટ 2023 સુધીની મુદતનો લાભ ચોક્કસ લે તે ખૂબ જરૂરી છે.

error: Content is protected !!