સુપ્રીમ કોર્ટનો કરદાતાઓને મોટો ઝટકો!! 9000 થી વધુ નોટિસોને અમાન્ય ઠેરવતા વિવિધ હાઇકોર્ટના આદેશમાં કરવામાં આવ્યો ખૂબ મહત્વપૂર્ણ સુધારો

Spread the love
Reading Time: 4 minutes

સુપ્રીમ કોર્ટના આ આદેશથી 90,000/- કરદાતા થશે પ્રભાવિત. કરચોરીની સભાવના ધ્યાને લઈ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા “પ્રેક્ટિકલ” નિર્ણય!!

તા. 10.05.2022

માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા 04 મે 2022 ના રોજ એક મહત્વનો ચુકાદો આપી, દેશભરની 90000 જેટલા કરદાતાઓને આપવામાં આવેલ ઇન્કમટેક્સની નોટિસ અમાન્ય ઠરાવતા બચાવી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે 01 એપ્રિલ 2021 થી ઇન્કમ ટેક્સ હેઠળ ફેર આકારણી કરવાની સમયમર્યાદા તથા પદ્ધતિમાં અમુલ પરીવર્તન આવ્યું છે. આ નવી પદ્ધતિ મુજબ ઇન્કમ ટેક્સ અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટિસ યોગ્ય નથી તે અંગે અનેક રિટ પિટિશન વિવિધ હાઇકોર્ટમાં કરદાતાઓ દ્વારા કરવામાં આવી હતી. માનનીય અલ્હાબાદ હાઇકોર્ટ, ગુજરાત હાઇકોર્ટ, મુંબઈ હાઇકોર્ટ, દિલ્હી હાઇકોર્ટ, કલકત્તા હાઇકોર્ટ, મદ્રાસ હાઇકોર્ટ દ્વારા કરદાતાની તરફેણમાં આદેશ પસાર કરવામાં આવેલ હતા. આ આદેશમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે નવી પદ્ધતિ મુજબ 01 એપ્રિલ 2021 અને ત્યારબાદ નવી જોગવાઇઓનું પાલન આ નોટિસોમાં કરવામાં ના આવેલ હોય, આ નોટિસો યોગ્ય ગણી શકાય નહીં. કોઈ પરિપત્ર કે સર્ક્યુલર કાયદાની મૂળભૂત જોગવાઈથી ઉપરવટ જઇ શકે નહીં. આ કારણે “Covid 19” ના કારણે જૂની પદ્ધતિ મુજબ અધિકારી દ્વારા નોટિસ આપવાનો પરિપત્ર યોગ્ય નથી તેમ ઠરાવવામાં આવ્યું હતું. આ સામે અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા માનનીય સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ M R Shah તથા જસ્ટિસ B. V. Nagarathana દ્વારા આ અપીલ ઉપર ચુકાદો આપવામાં આવ્યો છે. આ અપીલ સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા આ વિષય ઉપર વિવિધ હાઇકોર્ટના ચુકાદાને પણ સાથે સાંકળી લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશના મહત્વના મુદ્દા:

  • વિવિધ હાઇકોર્ટ દ્વારા આ નોટિસના મુદ્દે લગભગ એક સમાન આદેશ કરવામાં આવ્યો છે.
  • હાઇકોર્ટ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની નોટિસ કાયદા બહારની ગણી આ નોટિસોને અવૈધ ઠરાવવામાં આવી છે.
  • સુપ્રીમ કોર્ટ સામે હાલ અલહાબાદ હાઇકોર્ટના ચુકાદા બાબતે જ અપીલ થયેલ છે પરંતુ વિદ્વાન એડિશનલ સોલિસિટર જનરલ એન. વેંકટરમણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા અન્ય હાઇકોર્ટના આદેશને પણ પડકારવાની તૈયારીઓ કરી રહ્યા છે.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા આ આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓનો આ આદેશ આ વિષય ઉપરની તમામ રિટ પિટિશનને લાગુ પડશે.
  • ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ (રેવન્યુ) દ્વારા 9000 જેવી રિટ પિટિશન સામે અલગ અલગ અપીલ ફાઇલ કરવાની જરૂર નથી. આમ, “Old Vs New” ના મુદ્દા ઉપર કોઈ પણ હાઇકોર્ટમાં થયેલ રિટ પિટિશનમાં કરદાતાની જીત થઈ હોય અને રેવન્યુ દ્વારા જે તે આદેશને પડકારવામાં નહીં આવે તો પણ સર્વોચ્ચ ન્યાયાલયનો આ આદેશ તમામ નોટિસો ઉપર લાગુ પડશે.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા આ આદેશમાં “ફાઇનન્સ બિલ 2021” દ્વારા સુધારવામાં આવેલ ફેર આકારણીની જોગવાઈનો ખૂબ બારીકાઈથી અર્થઘટન કરવામાં આવ્યો છે.
  • આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા “રીલક્સેશન એક્ટ 2000” ની કલમ 3 નો પણ બારીકાઈથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ જૂની પદ્ધતિ મુજબ કરદાતાની ફેર આકારણી માટેની નોટિસ ઇસસ્યું કરવાની તારીખમાં 30 જૂન 2021 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
  • 01 એપ્રિલ 2021 થી ફેર આકારણી અંગેની નવી જોગવાઇઓ લાગુ થઈ ગઈ હોવા છતાં “રિલેક્સેશન એક્ટ 2020” ની કલમ 3 હેઠળ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ અંદાજે 90000 (નેવું હજાર) જેવી નોટિસો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કરદાતાઓને જૂની પદ્ધતિ મુજબ 01 એપ્રિલથી 30 જૂન 2021 વચ્ચે પાઠવવામાં આવી હતી. આ પૈકી 9000 જેવી નોટિસો હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ તમામ નોટિસોમાં મહદ્દઅંશે વિવિધ હાઇકોર્ટ દ્વારા કરદાતાની તરફેણમાં આદેશ કરવામાં આવ્યો છે.
  • જૂની ફેર આકારણી દરમ્યાન થતાં “લીટીગેશન” ને નિવારવા અને આ પદ્ધતિમાં સરળતા આવે તે હેતુથી ફેર આકારણીની જોગવાઈ 01 એપ્રિલ 2021 થી દાખલ કરવામાં આવી છે.
  • કર સંચાલન સરળ તથા વધુ જવાબદાર બનાવવા આ મહત્વનો ફેરફાર લાવવામાં આવ્યો છે તેવું કહી શકાય.
  • અગાઉ ફેર આકારણીની નોટિસ બજાવ્યા બાદ કરદાતાને ફેર આકારણીની જાણ કરવામાં આવતી હતી. જ્યારે આ નવી પદ્ધતિમાં કરદાતાને ફેર આકારણી નોટિસ આપ્યા પહેલા અધિકારીએ યોગ્ય તપાસ કરી કરદાતાને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવાની રહે છે.
  • આ સમગ્ર નવી ફેર આકારણી પ્રક્રિયાનો હેતુ કરદાતાને રાહત આપવાનો હોય વિવિધ હાઇકોર્ટ દ્વારા આ બાબતે લોક ઉપયોગિતાને અને સુધારાના હેતુને ધ્યાને રાખી કરદાતાની તરફેણમાં આદેશ કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટના આ આદેશ સાથે અમો (સુપ્રીમ કોર્ટ) સંપૂર્ણ પણે સહમત છીએ.
  • પરંતુ અમુક કિસ્સાઓમાં સરકારી તિજોરીને મોટું નુકસાન જવાની સંભાવના રહેલી છે જેનાથી આ ટેકનિકલ ક્ષતિના કારણે આ ફેર આકારણીની જોગવાઈનો હેતુ જ માર્યો જવાની સંભાવના છે.
  • ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના અધિકારીઓ, જે તે રિલેકશેશન નોટિફિકેશન અમલમાં હોવાથી એ માન્યતા ધરાવતા હોય તે સામાન્ય છે કે તેઓ વધારેલી સમય મર્યાદા દરમ્યાન તેઓ જૂની પદ્ધતિ મુજબ નોટિસ ઇસસ્યું કરી શકે છે.
  • હાઇકોર્ટ દ્વારા આ બાબત સમજી અધિકારીઓને નવી પદ્ધતિ મુજબ અનુસરી ફેરફાર કરવા આદેશ કરવાની જરૂર હતી.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટના આ આદેશોમાં નીચે મુજબનો સુધારો કરી રહી છે:
    • કરદાતાઓને 01.04.2021 બાદ આપવામાં આવેલ કલમ 148 હેઠળની નોટિસ એ 148A હેઠળ આપવામાં આવેલ નોટિસ માની લેવામાં આવશે.
    • અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટના આ આદેશના 30 દિવસની અંદર ફેર આકારણી અંગે તેઓ પાસેની વિગતો કરદાતાને આપવાની રહેશે.
    • અધિકારીએ તપાસ કરવાની જોગવાઈ આ એક વખત પૂરતી જતી કરવામાં આવશે.
    • કરદાતાએ તેઓને મળેલ નોટિસનો બે અઠવાડીયામાં જવાબ આપવાનો રહેશે.
    • કરદાતા પાસેથી મળેલી માહિતી પરથી આકારણી અધિકારી દ્વારા ઇન્કમ ટેક્સ કાયદાની સુધારેલી કલમ 148A(d) હેઠળ આદેશ કરવાનો રહેશે.
    • આ સિવાય કરદાતા પાસે સમયમર્યાદા અંગેનો બચાવ તથા આકારણી અધિકારીઑના અન્ય હક્ક અબાધિત રહેશે.
    • વિવિધ હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલ રીટ પિટિશનના કરદાતા તરફેણના આદેશમાં આ સુધારો થયેલ ગણાશે, પછી ભલે જે તે કેસ સામે ડિપાર્ટમેંટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવેલ ના હોય.
    • આ આદેશ પસાર કરવા સમયે એ બાબત પણ નોંધવી જોઈએ કે સરકાર વતી ઉપસ્થિત એડિશનલ સોલિસિટર જનરલ (ASG-સરકારી વકીલ) તથા કરદાતા વતી ઉપસ્થિત સિનિયર વકીલો આ બાબતે સહમત છે.
    • આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આર્ટીકલ 142 ની સત્તા વાપરીને કરવામાં આવેલ છે અને સમગ્ર દેશની તમામ હાઇકોર્ટના આદેશને ઉપરવટ ગણાશે અને સમગ્ર ભારતમાં લાગુ ગણાશે.

સુપ્રીમ કોર્ટના આ આદેશથી 90000 જેટલા કરદાતાઓ તથા 9000 જેટલા કરદાતાઓ કે જેઓએ વિવિધ હાઇકોર્ટમાં રિટ ફાઇલ કરી તેમાં સફળતા મેળવી હતી તે હવે ઉપયોગી બનશે નહીં. અધિકારી દ્વારા ફરી આપવામાં આવતી નોટિસનો યોગ્ય વિગતો સાથે કરદાતા દ્વારા સમયસર પ્રતિઉત્તર આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. અધિકારીઓ દ્વારા પણ “બ્લેનકેટ રીઓપેનિંગ” કરી કરદાતાઓને પરેશાન ના કરતાં કરદાતાઓની વિગતો ધ્યાને લઈ વિગતવાર આદેશ પસાર કરવામાં આવે તે જરૂરી છે.

આ લેખને ફૂલછાબમાં વાંચવા નીચેની PDF પર ક્લિક કરો

Epaper Vyapar Bhoomi Dt.9-5-2022

error: Content is protected !!