જી.એસ.ટી. હેઠળ સસ્પેન્શન અંગે બહાર પાડવામાં આવી માર્ગદર્શિકા… જાણો સરળ ભાષામાં શું છે આ માર્ગદર્શિકામાં…

Spread the love
Reading Time: 2 minutes

તા. 13.02.21: જી.એસ.ટી. માં મોટા પ્રમાણમા થતી કરચોરી રોકવા, જી.એસ.ટી. કાયદા-નિયમોમાં મહત્વના ફેરફારો કરી ડિસેમ્બર 2020 થી જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ કરવા અંગેની નવી જોગવાઈ લાવવામાં આવી છે. આ નિયમો હેઠળ કરદાતાનો નોંધણી દાખલો સસ્પેન્ડ કરવા નોટિસ આપવા અંગેનું ફોર્મ REG 31 હજુ જી.એસ.ટી. પોર્ટલ ઉપર કાર્યરત કરી શકાયું નથી. આ સસ્પેનશન અંગે અધિકારીઑ તથા કરદાતાઓ માટે એક માર્ગદર્શિકા CBIC ની પોલિસી વિંગ દ્વારા 11 ફેબ્રુઆરી 2021 ના રોજ સર્ક્યુલર 145 દ્વારા બહાર પાડવામાં આવી છે. આ સર્ક્યુલર મુજબ નીચેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

  • જ્યારે REG 31 પોર્ટલ ઉપર ઉપલબ્ધ થશે ત્યારે આ નોટિસ કરદાતાના ઇ મેઇલ ઉપર આપવામાં આવશે.
  • જ્યાં સુધી ફોર્મ REG 31 પોર્ટલ ઉપર કાર્યરત કરવામાં ન આવે ત્યાં સુધી સસ્પેનશન અંગેની નોટિસ REG 17 માં કરદાતાના જી.એસ.ટી. પોર્ટલના “ડેશબોર્ડ” ઉપર જોવા મળશે. આ નોટિસ “વ્યૂ નોટિસ એન્ડ ઓર્ડર” હેઠળ પણ જોવા મળશે.
  • કરદાતા કે જેઓને આ સસપેન્શનની નોટિસ મળેલ છે તેઓએ જ્યુરિસડીકશન ઓફિસરને નોટિસ મળ્યેથી 30 દિનમાં REG 18 માં જવાબ (ઓનલાઈન) આપવાનો રહેશે. આ જવાબમાં નોટિસમાં દર્શાવેલ તફાવત-તૃતીઓનો ખુલાસો આ જવાબમાં આપવાનો રહેશે અને શા માટે જી.એસ.ટી. નંબર રદ્દ ન કરવામાં આવે તે અંગેન કારણ આપવાના રહેશે.
  • કરદાતાઑ કે જેમને નોટિસ જી.એસ.ટી. રિટર્ન ફાઇલ કરવાના બાકી હોય તે માટે આવેલ હોય તો તેઓએ પોતાના બાકી રિટર્ન ભરી આપવા જોઈએ અને ત્યાર બાદ આ અરજી કરવાની રહેશે.
  • સિસ્ટમ જનરેટેડ નોટિસની વિગતો સેન્ટરલ/સ્ટેટ ઓફિસરને મોકલવામાં આવશે. આ નોટિસ તેઓ પોતાના ડેશબોર્ડમાં જોઈ શકશે.
  • કરદાતા જ્યારે આ નોટિસનો જવાબ આપે અથવા તો 30 દિવસમાં કોઈ જવાબ ના આપે ત્યારે ઓટોમેટિક અધિકારીના ડેશબોર્ડમાં “સુઓ મોટો કેંસલેશન પેન્ડિંગ” માં દર્શાવવામાં આવશે.
  • અધિકારી ત્યારબાદ કેસના ગુણદોષ જોઈ “કેન્સલેશન પ્રોસિડિંગ ડ્રોપ” કરવાના અથવા નોંધણી દાખલો રદ કરવાનો નિર્ણય કરશે.
  • અધિકારીના નિર્ણય પ્રમાણે “એક્ટિવ” કે “કેન્સલડ સુઓ મોટો” નું સ્ટેટ્સ અપડેટ થઈ જશે.
  • જ્યાં સુધી ફોર્મ REG 31 ની વ્યવસ્થા પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવે ત્યાં સુધી કોઈ અધિકારી દ્વારા REG 17 દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોસિડિંગ ડ્રોપ કરવા માંગતા હોય તો કરદાતાને જવાબ દેવાની સલાહ આપવાની રહેશે.
  • અધિકારી કરદાતાના જવાબથી સંતુષ્ટ થાય ત્યારે REG-20 માં રિવોકેશન આદેશ પસાર કરશે.
  • રિવોકેશન કરી આપ્યા બાદ પણ અધિકારી કરદાતાની વિગતવાર ચકાસણી કરી શકશે.
  • આ વિગતવાર ચકાસણી કર્યા બાદ જો અધિકારીને નોંધણી દાખલો રદ્દ કરવા પાત્ર જણાય તો અધિકારી ફરી REG 17 વડે નોંધણી સસ્પેન્ડ કરી રદ્દ કરવાની કાર્યવાહી કરવાની રહેશે.

CBIC દ્વારા બહાર પાડવામાં આવેલ આ માર્ગદર્શિકા કરદાતાઑ તથા અધિકારીઓ બંને માટે જાણવી જરૂરી છે. કરચોરી ડામવા બદલવામાં આવેલ આ નિયમો સામાન્ય કરદાતા માટે મુશ્કેલી ઊભી કરે તેવી દહેશત ટેક્સ પ્રોફેશ્ન્લસ વ્યક્ત કરી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!