જી.એસ.ટી. માં આવી રહ્યો છે મોટો ફેરફાર….માત્ર B2C વ્યવહારો કરતાં વેપારીઓએ કંપોઝીશન સ્કીમનો વિકલ્પ સ્વીકરવો રહે છે ફાયદાકારક…

Spread the love
Reading Time: 2 minutes

ઈન્પુટ ટેક્સ ક્રેડિટને લગતા નવા નિયમના કારણે અનેક વેપારીઓને પડી શકે છે મુશ્કેલી. કંપોઝીશન સ્કીમમાં થોડી આર્થિક નુકસાની હોય તો પણ સરવાળે ફાયદો રહેતો હોય છે.

તા. 04.03.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા અંગેના નિયમો સતત કડક બનાવવામાં આવી રહ્યા છે. આ નિયમોનું પાલન કરવું નાના વેપારીઓ માટે ખૂબ મુશ્કેલ રહેતું હોય છે. બજેટ 2021 માં નાણાં મંત્રી દ્વારા જે નવી જોગવાઈ સૂચિત કરવામાં આવી છે તે જોગવાઈ મુજબ વેચનાર વેપારી દ્વારા જ્યાં સુધી ખરીદનાર વેપારીને કરેલ વેચાણની વિગતો તેમના વેચાણ રિટર્નમાં ના દર્શાવવામાં આવેલ હોય ત્યાં સુધી કરદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં. આમ, વેચનાર દ્વારા પોતાની ખરીદી દર્શાવેલ છે કે નહીં તે સતત જોતાં રહેવાની જવાબદારી વેપારીઓ ઉપર આવી જાય છે. કોઈ સારા-નરસા બનાવના કારણે, શરતચૂકથી કોઈ વેચનાર વેપારી જો સમયસર પોતાનું અન્ય વેપારીને કરેલ વેચાણ દર્શાવવામાં ભૂલ કરે તો ખરીદનારને તે ભૂલનો ભોગ બનવું પડશે તે બાબત ચોક્કસ છે.

આ કારણોસર માત્ર ગ્રાહકોને વેચાણ કરતાં કરદાતા કે જેને જી.એસ.ટી. ની પરિભાષામાં B2C વ્યવહારો ગણવામાં આવે છે તેવા વેપારીઓ માટે કંપોઝીશન એક ઉત્તમ વિકલ્પ રહે છે. આ અંગે વાત કરતાં જાણીતા CA ચિંતન પોપટ, જણાવે છે કે નાના વેપારીઓ પાસે પોતાની ખરીદી સતત ચેક કરવા માટે સમય કે આવડત સામાન્ય રીતે હોતી નથી. તેઓ પોતાના ધંધા માટે ફૂલ ટાઈમ એકાઉન્ટન્ટ પણ રાખતા હોતા નથી. આવા સંજોગોમાં પોતે કરેલ ખરીદી પૈકી ક્યાં વેપારીએ વેચાણ દર્શાવેલ છે અને ક્યાં વેપારીએ નથી દર્શાવ્યું એ સતત જોતાં રહેવું શક્ય નથી. જો વેચનાર દ્વારા કોઈ વેચાણ દર્શાવવાનું રહી ગયું હોય આની જવાબદારી ખરીદનાર ઉપર આવી જતી હોય છે અને ક્યારેક નાની ભૂલના કારણે નાના વેપારીઓ પર અસહ્ય બોજ આવી પડતો હોય છે. કંપોઝીશન સ્કીમ આ મુશ્કેલીનો સરળ ઉપાય છે. આમ, જાણકારો માની રહ્યા છે કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટના નિયમોમાં જે ફેરફારો આવી રહ્યા છે તે નાના વેપારીઓ માટે ખૂબ મુશ્કેલ સાબિત થઈ શકે છે. આવા સમયે ટેક્સ ભરવામાં કંપોઝીશન સ્કીમ હેઠળ થોડો બોજ વધતો હોય તો પણ જો કંપોઝીશન અંગેની શરતો પૂર્ણ કરી શકતા હોય તો આ વિકલ્પ વેપારીઓ માટે વધુ સારો રહે તે ચોક્કસ છે. વેપારી જો નાણાકીય વર્ષ 2021-22 ના વર્ષ માટે કંપોઝીશનનો વિકલ્પ પસંદ કરવાં માંગતા હોય તો તેઓએ 31 માર્ચ સુધી અરજી કરી દેવી ફરજિયાત હોય છે. આ અંગે વેપારીએ પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને મળી યોગ્ય પ્લાનિગ કરવું જરૂરી બની જાય છે.  ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

1 thought on “જી.એસ.ટી. માં આવી રહ્યો છે મોટો ફેરફાર….માત્ર B2C વ્યવહારો કરતાં વેપારીઓએ કંપોઝીશન સ્કીમનો વિકલ્પ સ્વીકરવો રહે છે ફાયદાકારક…

  1. traders not going to raise their voice against this provision……..
    thee will pay for the same……

    hence, you are right sir…..

Comments are closed.

error: Content is protected !!