Know Cash for No Cash…ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોકડ વ્યવહારોના નિયમો જાણો અને દંડથી બચો!!

Spread the love
Reading Time: 4 minutes

By Bhavya Popat

09.10.2023

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક વ્યવહારો રોકડમાં કરવા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પ્રકારે રોકડ વ્યવહારો ઉપર પ્રતિબંધ લાગુ કરવાનો મુખ્ય હેતુ લોકોને કળા નાણાંની હેરફેરથી બચાવવાનો રહેલો છે. ક્યારેક જાણી જોઈને તો ક્યારેક અજાણતા આ પ્રકારના વ્યવહારો વ્યક્તિ દ્વારા થઈ જતાં હોય છે જેની ગંભીર કિંમત ચૂકવવી પડતી હોય છે. આ પ્રકારના વર્જિત વ્યવહારો વિષે આ લેખમાં માહિતી આપવામાં આવેલ છે. આ પ્રકારના વ્યવહારોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય.

  1. ધંધાકીય એકમ માટે પ્રતિબંધિત રોકડ વ્યવહારો
  2. તમામ વ્યક્તિઑ માટે પ્રતિબંધિત રોકડ વ્યવહારો

ધંધાકીય એકમ માટે વર્જિત રોકડ વ્યવહારો:

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક ખાસ પ્રકારના વ્યવહારો  રોકડમાં કરવા ઉપર ધંધાકીય એકમ માટે વર્જિત કરવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 40A(3) હેઠળ 10000/- (દસ હજાર) ઉપરના કોઈ પણ ખર્ચની ચુકવણી કોઈ એક વ્યક્તિને, એક દિવસમાં રોકડમાં કરવાની મનાઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો ધંધાકીય એકમ 10000/- થી વધુનો કોઈ પણ ખર્ચ રોકડમાં કરી શકે નહીં. અત્રે એ બાબત સમજવી પણ જરૂરી છે કે આ ખર્ચની વ્યાખ્યામાં ધંધાકીય એકમની માલની ખરીદીનો પણ સમાવેશ થઈ જાય છે.

આ નિયમમાં છે કોઈ અપવાદ?

ઉપર જણાવેલ નિયમમાં અમુક આપવાદો આપવામાં આવેલ છે. કોઈ માલના ટ્રાન્સપોર્ટ માટેનો કોઈ ખર્ચ જ્યારે કોઈ ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવતો હોય ત્યારે 10000/- ની આ મર્યાદા 35000/- સુધીની ગણવાની રહે છે. અન્ય અપવાદની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 44AD, 44ADA, 44AE જેવી વિશિષ્ટ જોગવાઈ હેઠળ પોતાની આવક દર્શાવતા નાના કરદાતાઓ માટે રોકડ અંગેનો આ નિયમ લાગુ પડતો નથી. આ ઉપરાંત કરદાતા દ્વારા એમ સાબિત કરવામાં આવે કે અનિવાર્ય સંજોગોના કારણે તેઓએ ફરજિયાત આ ખર્ચ રોકડમાં કરવો જરૂરી હતો, ત્યારે આકારણી અધિકારી પાસે વ્યવહારની યોગ્યતાના આધારે આ ખર્ચ રોકડમાં હોવા છતાં મંજૂર કરવાની સત્તા હોય છે. આ તકે એ જાણવું જરૂરી છે કે આ નિયમ માત્ર ધંધાને લગતા રોજબરોજના ખર્ચને જ નહીં પરંતુ કોઈ મિલ્કત ખરીદવા, બાંધકામ કરવામાં પળ લાગુ પડતો હોય છે.

આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યારે શું પરિણામ આવે?

ઉપર જણાવેલ રોકડ અંગેની જોગવાઈનો ભંગ કરવામાં આવે તો કરદાતા દ્વારા કરવામાં આવેલ ખર્ચ નામંજૂર થતો હોય છે. ઉદાહરણ તરીકે કોઈ ધંધાકીય એકમ દ્વારા 100000/- (એક લાખ) ની ખરીદી કરવામાં આવી છે, જેની ચુકવણી બેંકિંગ વ્યવહારો દ્વારા નહીં પણ રોકડમાં કરવામાં આવી છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમને ખર્ચ તરીકે 1 લાખ બાદ મળશે નહીં. આમ, રોકડમાં વ્યવહાર વર્જિત હોવા છતાં ધંધાકીય એકમ દ્વારા આ વ્યવહાર રોકડમાં કરવામાં આવ્યા હોય ત્યારે ધંધાકીય એકમનો નફો 100000/- જેટલો વધી જતો હોય છે. આમ, તેઓની ટેક્સ ભરવાની જવાબદારી પણ આ એક લાખની રકમ ઉપર આવતી હોય છે. કોઈ મિલ્કત ખરીદી, બાંધકામ સંદર્ભે જો આ મર્યાદા ઉપર કોઈ ખર્ચ રોકડમાં કરવામાં આવ્યો હોય તો કરદાતાને આ મિલ્કત, બાંધકામ સંદર્ભે ઘસરાનો લાભ આપવામાં આવતો નથી.

તમામ વ્યક્તિઓ માટે વર્જિત રોકડ વ્યવહારો:

રોકડમાં લોન કે ડિપોઝિટ તથા અન્ય રકમ લેવા ઉપર પાબંદી

ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269SS હેઠળ કોઈ પણ વ્યક્તિ 20,000 (20 હજાર) કે તેથી વધુ રકમની લોન, ડિપોઝિટ કે અન્ય નિયત કરેલ રકમ રોકડમાં લઈ શકતા નથી. આ નિયત કરેલ રકમ એટ્લે કોઈ પણ સ્થાવર મિલકતના વેચાણ સંદર્ભે એડવાન્સ તરીકે લેવામાં આવતી રકમનો સમાવેશ થાય છે. આમ, કોઈ પણ વ્યક્તિ કોઈ દ્વારા કોઈ લોન કે ડિપોઝિટ કે મિલ્કત પેટે એડવાન્સ 19,999/- ની રકમ સુધી જ રોકડમાં લેવાની પરવાનગી આપવામાં આવેલ છે. 20,000 કે તેથી ઉપરની કોઈ પણ લોન, ડિપોઝિટ કે મિલ્કત પેટે એડવાન્સ રોકડ દ્વારા લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ નિયમમાં છે કોઈ અપવાદ?

હા, આ નિયમ સરકાર પાસેથી લેવામાં આવેલ કે સરકારને આપવામાં આવેલ લોન, ડિપોઝિટ ને લાગુ પડતો નથી. આ ઉપરાંત બેન્કો પાસેથી લોન લેવામાં આવે ત્યારે આ નિયમ લાગુ પડતો નથી. આ બેન્કમાં પોસ્ટ ઓફિસ બેન્ક, સહકારી બેન્ક સહિત તમામ બેન્કોનો સમાવેશ થઈ જાય છે. હા, સહકારી ક્રેડિટ સોસાયટીનો સમાવેશ આ નિયમના અપવાદમાં કરવામાં આવ્યો નથી. આમ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને આ નિયમ લાગુ પડે છે અને 20000 કે તેથી ઉપરની લોન કે ડિપોઝીટ રોકડમાં લેવી વર્જિત છે. આ ઉપરાંત જ્યારે લોન કે ડિપોઝિટ અથવા મિલ્કત પેટે એડવાન્સ લેનાર તથા આપનાર બન્ને માત્ર ખેતીનીજ આવક ધરાવતા હોય અને અન્ય કોઈ આવક ધરાવતા ના હોય તેવા સંજોગોમાં આ નિયમ તેઓને લાગુ પડશે નહીં. એક બાબત યાદ રાખવી જરૂરી છે કે કોઈ પણ ખેડૂત હોય તેઓને આજના જમણામાં ખેતી ઉપરાંત બેન્ક વ્યાજની આવક તો હોય જ છે. આમ, મોટા ભાગના ખેડૂતો આ અપવાદથી બહાર નીકળી જતાં હોય છે.

આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યારે શું પરિણામ આવે?

આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યાર વ્યક્તિ ઉપર જેટલી રકમ રોકડમાં લેવામાં આવી છે તેટલી રકમનો દંડ થઈ શકે છે.

રોકડમાં લોન કે ડિપોઝિટ તથા અન્ય રકમની પરત ચૂકવની ઉપર પાબંદી

ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269SS હેઠળ કોઈ પણ વ્યક્તિ 20,000 (20 હજાર) કે તેથી વધુ રકમની લોન, ડિપોઝિટ કે અન્ય નિયત કરેલ રકમ રોકડમાં ચૂકવી શકતા નથી. આ નિયત કરેલ રકમ એટ્લે કોઈ પણ સ્થાવર મિલકતના વેચાણ સંદર્ભે એડવાન્સ તરીકે લીધે રકમ પરત ચૂકવવામાં આવતી રકમનો સમાવેશ થાય છે. આમ, કોઈ પણ વ્યક્તિ કોઈ દ્વારા કોઈ લોન કે ડિપોઝિટ કે મિલ્કત પેટે એડવાન્સ 19,999/- ની રકમ સુધી જ રોકડમાં પરત ચૂકવવાની પરવાનગી આપવામાં આવેલ છે. 20,000 કે તેથી ઉપરની કોઈ પણ લોન, ડિપોઝિટ કે મિલ્કત પેટે એડવાન્સ રોકડ દ્વારા પરત ચૂકવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રકમ વ્યાજ સાથે પણ જો 20000/- કે તેથી વધુ હોય તો આ નિયમ લાગુ પડી જતો હોય છે.

આ નિયમમાં છે કોઈ અપવાદ?

હા, આ નિયમ સરકાર પાસેથી લેવામાં આવેલ કે સરકારને પરત ચૂકવવામાં આવેલ લોન, ડિપોઝિટ પરત કરવાને લાગુ પડતો નથી. આ ઉપરાંત બેન્કો પાસેથી લીધેલ લોન પરત કરવામાં આવે ત્યારે લાગુ પડતો નથી. આ બેન્કમાં પોસ્ટ ઓફિસ બેન્ક, સહકારી બેન્ક સહિત તમામ બેન્કોનો સમાવેશ થઈ જાય છે. હા, સહકારી ક્રેડિટ સોસાયટીનો સમાવેશ આ નિયમના અપવાદમાં કરવામાં આવ્યો નથી. આમ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને આ નિયમ લાગુ પડે છે અને 20000 કે તેથી ઉપરની લોન કે ડિપોઝીટ રોકડમાં પરત કરવી વર્જિત છે.

આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યારે શું પરિણામ આવે?

આ જોગવાઈનો ભંગ કરવામાં આવે ત્યાર વ્યક્તિ ઉપર જેટલી રકમની લોનની ચુકવણી રોકડમાં કરવામાં આવી હોય તેટલી રકમનો દંડ થઈ શકે છે.

આજે આ લેખમાં રોકડમાં ચૂકવવામાં આવતા ધંધાકીય ખર્ચ, લેવામાં આવતી લોન તથા પરત કરવામાં આવતી લોન સંદર્ભે નિયમોની ચર્ચા કરી છે. આગામી અંકમાં રોકડ સંદર્ભે ખૂબ મહત્વની જોગવાઈ અંગે ચર્ચા કરવામાં આવશે. આ લેખ અંગે આપના કોઈ પ્રશ્ન હોય તો આપ adv.bhavyapopat@gmail.com પર મોકલી શકો છો.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 09.10.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે)

 

error: Content is protected !!