સ્વતંત્રતા પર્વ પર કરદાતાઓને આપવામાં આવે આ સ્વતંત્રતા!!!

Spread the love
Reading Time: 5 minutes

સ્વતંત્રતા પર્વ પર કરદાતાઓને આપવામાં આવે આ સ્વતંત્રતા!!!

સ્વતંત્રતા પર્વ ઉપર આજે એક ખાસ લેખ લખી રહ્યો છું. આ પર્વને અનુરૂપ આ લેખમાં કરદાતાને ખરી રીતે સ્વતંત્રતા મળી રહે તે સુનીશ્ચિત કરવા અમુક સૂચનો આપવા પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશના બે મહત્વના ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) તથા ઇન્કમ ટેક્સ કાયદાઓ હેઠળ કરદાતાઓને પડતી તકલીફો રજૂ કરવા આ પ્રયાસ છે. સરકાર ગમે તેટલું કરે તો પણ કોઈ પણ કાયદામાં અમુક ત્રુટિઓ-ખામીઓ રહી જ જતી હોય છે. આ ખામીઓ દૂર કરવામાં આવે તો ભારતીય ટેક્સ સિસ્ટમ થોડી વધુ સરળ, થોડી વધુ કરદાતા કેન્દ્રી બની શકે તેમ છે. આ લેખમાં ક્યાં ક્યાં ફેરફારો કરવાથી ટેક્સ સિસ્ટમ વધુ કરદાતા લક્ષી બનશે તે અંગે મારા વિચારો રજૂ કર્યા છે.

જી.એસ.ટી. કાયદો

જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવાની સ્વતંત્રતા

જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવાઓ હાલના સંજોગોમાં ખૂબ મુશ્કેલ બની ગયો છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરીના અનેક કૌભાંડો બહાર આવ્યા છે. આ કૌભાંડોના કારણે દરેક નવા નોંધણી દાખલાની અરજીને શંકાની નજરે જોવામાં આવે છે. આ કારણે ખૂબ મોટા પ્રમાણમા જી.એસ.ટી. ની અરજી ના મંજૂર થઈ હોવાના સમાચાર જમીની સ્તરે મળી રહે છે. એક તરફ સરકારી આવક વધારવાની કવાયત કરવામાં આવતી હોય છે તો તેની સામે જી.એસ.ટી. નંબર ના આપવાની આ નીતિ આવક માં વધારો કરવાના બદલે ઘટાડો કરે છે. અનેક કરદાતાઓ જી.એસ.ટી. નંબર જરૂરી હોવા છતાં, જી.એસ.ટી. નિયમોમાં જણાવેલ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં જી.એસ.ટી. નંબર મેળવી શકતા નથી. આ સ્વતંત્રતા પર્વ પર કરદાતાઓને જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવામાં સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

જી.એસ.ટી. હેઠળ CGST-SGST ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ એક બીજા સામે લઈ શકે તેની સ્વતંત્રતા

“સિમલેસ ક્રેડિટ” ના મુખ્ય હેતુ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. માં હાલ જી.એસ.ટી. ક્રેડિટ મેળવવી ખૂબ અઘરી બની ગઈ છે. કરદાતા પાસે SGST ની ક્રેડિટ હોવા છતાં, CGST “કેશ” માં ભરવા જવાબદારી આવતી હોય છે. આ પ્રકારે કરદાતા પાસે ક્રેડિટ હોવા છતાં તેઓ “કેશ” માં ટેક્સ ભરવા જવાબદાર બને તે અયોગ્ય ગણી શકાય. ખરેખર કરદાતાને SGST માંથી CGST ની રકમ ભરવા છૂટ આપવામાં આવે અને ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય દ્વારા આ અંગે કોઈ પદ્ધતિ વિકસાવી સરકારી ધોરણે એક બીજા સાથેના એકાઉન્ટ સરભર કરવા જોઈએ. કરદાતા પોતાની પાસેની ક્રેડિટ કોઈ પણ ટેક્સ ભરવા વાપરી શકે તે અંગેની સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

એક રાજ્યની CGST ક્રેડિટ અન્ય રાજ્યના CGST ભરવા સામે ઉપયોગ કરી શકે તેની સ્વતંત્રતા

જી.એસ.ટી. નો USP (યુનિક સેલ્સ પ્રપોઝીશન) “વન નેશન, વન માર્કેટ, વન ટેક્સ” હતો. આ USP હેઠળ સમગ્ર દેશમાં એક પ્રકારનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. કોઈ કરદાતા પાસે એક થી વધારે રાજ્યોમાં જી.એસ.ટી. નંબર ધરાવતા હોય અને જ્યારે એક રાજ્યમાં CGST ક્રેડિટ પડી હોય ત્યારે અન્ય રાજ્યમાં ભરવાં પત્ર CGST સામે એ બાદ મળવી જોઈએ. આમ છતાં અત્યાર સુધી, આ પ્રકારે આવા બહુ રાજ્ય ધંધા ચલાવતા કરદાતાઓ આ રીતે ક્રેડિટનો વપરાશ કરી શકતા નથી. SGST બાબતે વિચારીએ તો આ કદાચ શક્ય નથી કે વધુ અઘરું છે કારણ કે SGST ટેક્સ એ જે તે રાજ્ય પાસે રહે છે. જ્યારે CGST તો કેન્દ્ર સરકારનો ટેક્સ છે. આવા સંજોગોમાં CGST ની ક્રેડિટ ની આપલે એક રાજ્ય થી અન્ય રાજ્યમાં થઈ શકે તે અંગે કરદાતાઓને સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

MRP બેઇઝ સેસ હોય ત્યારે “સેસ” આઉટપુટ અને ઈન્પુટમાં દર્શાવવાથી મળે સ્વતંત્રતા

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કોઈ રાજ્યની આવકમાં જી.એસ.ટી. લાગુ થવાને કારણે ઘટ આવે તો તે સરભર કરવા “કંપેનસેશન સેસ” લાગુ કરવામાં આવ્યો છે. આ સેસ ઉઘરાવવામાં હાલ મોટાભાગે MRP મુજબ સેસ ઉત્પાદન સમયે ઉઘરાવવામાં આવી રહ્યો હોય, આ ટેક્સને “વન પોઈન્ટ ટેક્સેશન” માં લઈ જવો જરૂરી છે. દરેક સ્તરે આઉટપુટ ટેક્સ તરીકે દર્શાવી તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાની પદ્ધતિ માંથી કરદાતાને સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

“કેશ લેજર” નું રિફંડ કોઈ પણ જાતના પુરાવા માંગ્યા વગર આપવામાં આવે તે અંગે સ્વતંત્રતા

કરદાતાનું “કેશ લેજર” એ કરદાતાનું કરંટ ખાતું જ ગણી શકાય. કરદાતાના આ ખાતામાં રકમ જમા હોય અને આ રકમ કરદાતા દ્વારા રિફંડ સ્વરૂપે માંગવામાં આવે તો તેમાં ઓનલાઈન રિફંડ અરજી કરવા સિવાય કોઈ વધારાના પુરાવાઓ ના માંગવામાં આવે તે અંગે કરદાતાને સ્વતંત્રતા મળે તે જરૂરી છે. હાલ, એ બાબત સાચી છે કે “કેશ લેજર” નું રિફંડ સામાન્ય રીતે ખૂબ ઓછા પુરાવા માંગી સામાન્ય રીતે મોટા ભાગના અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવતું હોય છે. પરંતુ આ પ્રકારે “કેશ લેજર” માં ઓનલાઈન અરજી સિવાય કોઈ વિધિ કરવાની ના રહે તો જ ખરેખર “કેશ લેજર” કરંટ ખાતા જેવુ કામ આપી શકે તેમ ગણી શકાય.

“કોમન વર્કિંગ ડે કોન્સેપ્ટ” કરદાતાઓને પણ મળે તે અંગેની સ્વતંત્રતા

જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારી દ્વારા કોઈ કામ પુર્ણ કરવા મુદત આપવામાં આવેલ છે આ મુદતની ગણતરી કરવામાં “કોમન વર્કિંગ ડે” એટ્લે કે એવા દિવસો જ ગણવામાં આવે છે જે દિવસોમાં સેન્ટરલ જી.એસ.ટી. અને સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ચાલુ હોય. બન્નેમાંથી એક પણ ખાતામાં રજા હોય તેવા સંજોગોમાં આ દિવસને અધિકારીની કામ પૂર્ણ કરવાની મુદ્દતમાં ગણવામાં આવતો નથી. પરંતુ કરદાતાને આ પ્રકારે કોઈ લાભ આપવામાં આવતો નથી. કરદાતાઓને પણ જે દિવસો તહેવારની રજા હોય, રવિવાર હોય તેવા દિવસો જો મુદ્દતનો છેલ્લો દિવસ પડતો હોય તો તેમાં સ્વયંભુ વધારો થવાની સ્વતંત્રતા મળે તે જરૂરી છે. હમણાં પાછલી 11 તારીખે જ્યારે GSTR 1 ભરવાની છેલ્લી તારીખ હતી અને જી.એસ.ટી. પોર્ટલ સરખી રીતે ચાલતું ના હતું, તેવા સંજોગોમાં પણ કરદાતાઓને મુદત વધારાનો લાભ આપવામાં આવ્યો ના હતો.

 

જી.એસ.ટી. ના નોટિફિકેશન સાથે સરળ ભાષામાં ટ્રેડ નોટિસ બહાર પાડવામાં આવે તે અંગે સ્વતંત્રતા

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી સૌથી ચર્ચાસ્પદ બાબત કોઈ ગણી શકાય તો તે છે ખૂબ “ટેકનિકલ” ભાષામાં બહાર પાડવામાં આવતા નોટિફિકેશન. કરદાતાની વાત કે સામાન્ય વ્યક્તિની વાત તો દૂર રહી, ટેક્સ પ્રોફેશનલ્સ અને અધિકારીઓ પણ આ નોટિફિકેશનના અર્થઘટન કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. જ્યારે એવું માનવમાં આવતું હોય કે “Everybody is presumed to know law” એટ્લે કે દરેક વ્યક્તિ કાયદાને જાણે છે, તેવું વિધિ દ્વારા માની લેવામાં આવતું હોય ત્યારે જરૂર છે આ પ્રકારના “ટેકનિકલ નોટિફિકેશન” બાદ સરળ ભાષામાં “ટ્રેડ નોટિસ” બહાર પાડવામાં આવે. કરદાતાને જી.એસ.ટી. કાયદો સરળ રીતે સમજાવવામાં આવે તે સ્વતંત્રતા પણ જરૂરી છે.

 

ઇન્કમ ટેક્સ કાયદા

દરેક આકારણી આદેશ કલમ 68/69 માં ના કરવામાં આવે તે અંગેની સ્વતંત્રતા

ઇન્કમ ટેક્સ કાયદાની વાત કરીએ તો જ્યારથી નોટબંધી લાગુ થઈ હતી ત્યારબાદ કરવામાં આવેલ મોટાભાગની (લગભગ તમામ)  આકારણીમાં જો કોઈ રકમ ઉમેરવામાં આવે છે તે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 68 કે 69 હેઠળ જ ઉમેરવામાં આવે છે. આમ, આ કલમ હેઠળ ઉમેરો થવાથી કરદાતાની આકારણીમાં જે રકમનો ઉમેરો કરવામાં આવેલ હોય ત્યારે લગભગ તેટલી જ રકમ જેટલું માંગણું ઊભું થઈ જતું હોય છે. આવા અનેક આકારણી આદેશ થયેલ છે જેમાં કરદાતાની આકારણીમાં ખોટી રીતે મોટી રકમ ઉમેરવામાં આવેલ હોય અને અપીલમાં આ રકમ દૂર કરી આપવામાં આવેલ હોય. પરંતુ આ આકારણી આદેશ પસાર થયાથી અપીલ આદેશ કરદાતાની તરફેણમાં આવે ત્યાં સુધી ખૂબ યાતના કરદાતાએ ભોગવવી પડતી હોય છે. આ સ્વતંત્ર દિને આશા રાખીએ કે આ બાબતે આકારણી અધિકારીને યોગ્ય સૂચના આપવામાં આવે. દરેક આકારણી આદેશમાં ઉમેરો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 68/69 હેઠળ ના થાય તેની પણ કરદાતાને સ્વતંત્રતા મળી રહે.

મોટી ડિમાન્ડ વાળા આકારણી આદેશમાં 20% ભરવા જેવો આગ્રહ ના રાખવામા આવે તે અંગેની સ્વતંત્રતા

એક વાર કરદાતા વિરુદ્ધ કોઈ આદેશ પસાર કરી આપવામાં આવે છે ત્યારબાદ ગમે તેટલી મોટી ડિમાન્ડ હોય, કરદાતાને 20% ટેક્સ ભરવા આગ્રહ કરવામાં આવતો હોય છે. કેસના તથ્યો જોયા વગર જ આ રકમ ભરવા આગ્રહ કરવામાં આવતા કરદાતા ખૂબ મુશ્કેલી અનુભવતા હોય છે. આવા સમયે કરદાતા સામે તેના રિટર્નમાં દર્શાવેલ આવકથી ખૂબ ઊંચી રકમની આકારણી થયેલ હોય તેવા કિસ્સામાં ખૂબ ઓછી/ન્યૂનતમ રકમ સ્વીકારી સ્ટે મેળવવાની સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

ઇન્કમ ટેક્સ રિટર્નના ફોર્મ્સ ભરવા પૂરતો સમય મળે તેની સ્વતંત્રતા

ઓડિટ લાગુ ના હોય તેવા કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જે તે વર્ષ પછીના 31 જુલાઇ સુધીનો સમય મળતો હોય છે. આમ તો 01 એપ્રિલ થી 31 જુલાઇ એટ્લે કે ચાર મહિના જેટલો સમય કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા આપવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવતું હોય છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર રિટર્ન ભરવાની સગવડ સામાન્ય રીતે મોડી શરૂ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત હાલ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં AIS તથા TIS ખૂબ જરૂરી હોય, આ વિગતો ઇન્કમ ટેક્સ પોર્ટલમાં જૂનના પહેલા અઠવાડીયા સુધીમાં અપડેટ થતી હોય છે. આમ, કરદાતા માટે આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા વ્યાવહારિક રીતે બે મહિનાથી પણ ઓછો સમય રહેતો હોય છે. જો આ મુદત ચૂકી જવામાં આવે તો “લેઇટ ફી” ના રૂપકડા નામ સાથે ની પેનટલી તો ઊભી જ છે. ઓડિટ સિવાયના કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ઓગસ્ટ કરી આપવામાં આવે તેવી સ્વતંત્રતા પણ કરદાતાઓ માટે જરૂરી છે.

અને છેલ્લે

આપણે સૌ કરદાતાઑ માટે…..ઉપરની તમામ સ્વતંત્રતા એ મારા તમારા જેવા કરદાતાઓના હક્ક માટે જરૂરી છે પરંતુ દરેક હક્ક એ ફરજ પણ સાથે લઈ આવે છે. આપણાં સૌ માટે એ જરૂરી છે કે આપના દેશના વિકાસમાં આપણું યોગદાન આપીએ. આ માટે આપણે સૌ આપણો ટેક્સ યોગ્ય રીતે અને સમયસર ભરીએ.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 14 ઓગસ્ટ 2023 ના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!