જી.એસ.ટી. અધિકારી ગમે ત્યારે વેપારીને ત્યાં ત્રાટકી શકે છે જેવા મીડિયા અહેવાલો બાબતે CBIC દ્વારા કરવામાં આવ્યો મહત્વનો ખુલાસો

Spread the love
Reading Time: < 1 minute

અધિકારી દ્વારા કરદાતાને રિટર્નમાં તફાવતનું કારણ પુછવામાં આવશે, સંતોષકારક જવાબ નહીં હોય ત્યારે જ કરવામાં આવશે કાર્યવાહી

13.01.2022: 01.01.2022 થી જી.એસ.ટી. કાયદાની કલમ 75 હેઠળ સુધારો કરવામાં આવ્યો છે. આ કલમમાં ખુલાસો દાખલ કરવામાં આવ્યો છે. આ ખુલાસા પ્રમાણે કરદાતા દ્વારા ફાઇલ કરવામાં આવેલ GSTR 1 (વેચાણ રજીસ્ટર)માં દર્શાવવામાં આવેલ પરંતુ GSTR 3B માં ટેક્સના ભરવામાં આવ્યો હોય તેવા વેચાણ માટે જી.એસ.ટી. અધિકારી “રિકવરી” (વસૂલાત) હાથ ધરી શકે છે. વિવિધ મીડિયા દ્વારા આ સુધારા બાબતે એવા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે આ સુધારા પછી જી.એસ.ટી. અધિકારી વેપારીને ત્યાં કોઈ પણ જાણ કર્યા વગર તપાસ હાથ ધરી શકશે. આ પ્રકારના મીડિયા અહેવાલોથી વેપારી આલમમાં ભયનો માહોલ ઊભો થયો હતો. આ બાબતે સ્પષ્ટતા કરતાં જી.એસ.ટી. નું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમસ (CBIC) દ્વારા પરિપત્ર 01/2022 તા. 07.01.2022 બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે GSTR 1 માં હોય પરંતુ GSTR 3B માં દર્શાવવામાં આવેલ ના હોય તેવા “સેલ્ફ એસેમેંટ ટેક્સ” માટે અધિકારીને કાર્યવાહી કરવા સતા ચોક્કસ આપવામાં આવી છે. પરંતુ આ સત્તાનો ઉપયોગ કરતાં પહેલા અધિકારી દ્વારા શક્ય હોય ત્યાં સુધી વેપારીને ખુલાસો કરવાની તક આપવાની રહેશે. કરદાતા દ્વારા કરવામાં આવેલ ખુલાસો ધ્યાને લઈ આ રિકવરીની સત્તાનો ઉપયોગ કરવો કે નહીં તેનો નિર્ણય અધિકારી દ્વારા લેવામાં અવશે. આ ખુલાસો બહાર પાડવામાં આવતા મીડિયા અહેવાલોથી ઊભો થયેલ ભયનો માહોલ ઓછો થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ સાથે નિષ્ણાંતો એ પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે કે આ પરિપત્રમાં “The Officer May Send A Communication” શબ્દો દ્વારા જે વિકલ્પ અધિકારીને આપવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આ પ્રકારની ગંભીર કાર્યવાહીમાં કરદાતાને ફરજિયાત સાંભળવાની તથા ખુલાસા કરવાની તક આપવામાં આવે તે જરૂરી છે. આ અંગે વિવિધ વેપારી સંગઠનો રજૂઆત કરે તે જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!