જી.એસ.ટી. @ 5 : થોડા હે થોડે કી ઝરૂરત હે!!

Spread the love
Reading Time: 5 minutes

તા. 01.07.2022: 01 જુલાઇ 2017 ના રોજ રાત્રિના 12 કલાકે સંસદ ભવનના સેન્ટરલ હૉલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા નાણાંમંત્રી અરુણ જેટલી સહિત દેશભરના સાંસદોની હાજરીમાં જી.એસ.ટી. એટલેકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ભારતીય ટેક્સ પ્રણાલીમાં જી.એસ.ટી. કાયદો આમૂલ પરીવર્તન તરીકે ગણવામાં આવી રહ્યો હતો. “વન નેશન વન ટેક્સ વન માર્કેટ” એ જી.એસ.ટી. કાયદાની “પંચ લાઇન” અથવા તો “USP” પણ ગણી શકાય. આજે આ જી.એસ.ટી. કાયદો લાગુ થયાને 5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે જી.એસ.ટી. ની છઠ્ઠી વર્ષગાંઠ નિમિતે આ લેખમાં જમીની સ્તરે શું પરિસ્થિતી છે તે જાણવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

  1. મોટા પ્રમાણમાં “ટેકનિકલ ગલિચ” સાથે શરૂઆત બાદ પોર્ટલમાં મહદ્દ અંશે સુધારો:

01.07.2017 થી લાગુ થયેલ જી.એસ.ટી. હેઠળ કરદાતાઓએ શરૂઆતના દિવસોમાં જી.એસ.ટી. પોર્ટલના કારણે ખૂબ તકલીફો વેઠી હતી. માઈગ્રેશનથી લઈ કંપોઝીશનની અરજીમાં, GSTR 1 થી માંડીને GSTR 3 ભરવામાં જી.એસ.ટી. પોર્ટલ દ્વારા કરદાતાઓની અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સની ખરા અર્થમાં પરીક્ષા લીધી હતી. જી.એસ.ટી. લાગુ થયાના લગભગ 1 વર્ષ સુધી પોર્ટલ દ્વારા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સન માટે ખૂબ પરેશાની ઊભી કરેલ હતી. કોઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી તે ફોર્મ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરવવામાં ના આવ્યું હોય, ફોર્મ જ્યારે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું હોય ત્યારે ટૂંકી મુદતમાં આ ફોર્મ ભરવા કરદાતાને જણાવવામાં આવ્યું હોય તેવા અનેક દાખલા સામે આવ્યા હતા. પરંતુ આજે પાંચ વર્ષ પછી સ્થિતિ મહદ્દઅંશે સારી છે. નાના મોટા ટેકનિકલ પ્રોબ્લેમને બાદ કરતાં જી.એસ.ટી. પોર્ટલ સારી રીતે કાર્યરત છે. પણ હા ટેક્સ પ્રોફેશનલ્સ જુલાઇ 2017 આસપાસના ગાળામાં જી.એસ.ટી. પોર્ટલ ઉપરની ટેકનિકલ ક્ષતિઓના કારણે પોતે ભોગવેલ યાતના ક્યારેય ભૂલી શકશે નહીં તે ચોક્કસ છે. સરકાર જેને “ટીથીંગ ટ્રબલ” ગણી રહી હતી તે “ટીથીંગ ટ્ર્બલ” એ કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સના દાંત ખાંટા કરી નાખ્યા હતા.

  1. અસંખ્ય નોટિફિકેશન-સર્ક્યુલર-ઓર્ડર્સ:

જી.એસ.ટી. કાયદો 01 જુલાઇ 2017 થી લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે જ નિષ્ણાંતો માની રહ્યા હતા કે જી.એસ.ટી. કાયદો ઉતાવળમાં, જોઈએ તેવી તૈયારી વગર લાગુ કરી આપવામાં આવ્યો છે અને આ કારણે જી.એસ.ટી. માં કરદાતાઓને અનેક તકલીફો પડી શકે છે. વાસ્તવમાં એજ પરિસ્થિતી ઊભી થઈ હતી. કાયદામાં રહેલી ત્રુટિઑ સુધારવા અનેક નોટિફિકેશન, સર્ક્યુલર તથા રીમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર બહાર પાડવાની ફરજ પડી હતી. જી.એસ.ટી. પોર્ટલની ખામીના કારણે જી.એસ.ટી. હેઠળની મુદતોમાં અનેકવાર વધારો કરવામાં આવ્યો હતો. આ મુદતોમાં વધારો કરવા સમયે દર વખતે માત્ર કરદાતાના હિતમાં મુદત વધારવામાં આવેલ છે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ હકીકત એ હતી કે આ મોટાભાગની મુદતો જી.એસ.ટી. પોર્ટલના લાભાર્થે વધારવામાં આવી હતી. કાયદા તથા નિયમોમાં રહી ગયેલી ત્રુટિઑ ના કારણે અનેક નોટિફીકેશન બહાર પાડવાની જરૂર ઊભી થઈ હતી. આ નોટિફિકેશનની ભાષા પણ એટલી મુશ્કેલ રહેતી હોય છે કે સામાન્ય કરદાતા તો શું, નિષ્ણાંત ટેક્સ પ્રોફેશનલ્સ પણ અર્થઘટનમાં થાપ ખાઈ જતાં હોય છે!! આટલા મોટા પ્રમાણમા બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશન, સર્ક્યુલરના કારણે “ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ” તરીકે જે જી.એસ.ટી. લાગુ કરવાનો હતો તે “બેડ એન્ડ કોમ્પ્લેક્ષ ટેક્સ” બની ગયો હતો. આજે પાંચ વર્ષે આ બાબતની સ્થિતિની વાત કરીએ તો જી.એસ.ટી. હેઠળ નોટિફિકેશન, સર્ક્યુલર વગેરેની સંખ્યામાં ચોક્કસ ઘટાડો આવ્યો છે પરંતુ આજે પણ નોટિફિકેશનની ભાષા આજે પણ એટલીજ ટેકનિકલ છે. આ પ્રકારે ટેકનિકલ ભાષામાં જ્યાં નોટિફિકેશન બહાર પાડવામાં આવતા હોય ત્યારે સ્થાનિક ભાષામાં આ અંગે “ટ્રેડ નોટિસ” બહાર પાડવી પણ જરૂરી છે. કાયદાથી ઉપરવટ જઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવતા હોવાની ફરિયાદ પણ સતત ઉઠી જ રહી છે!!

  1. જી.એસ.ટી. રિટર્નમાં સદંતર બદલાવ

જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો ત્યારે સામાન્ય રીતે કરદાતાએ GSTR 1, GSTR 2 તથા GSTR 3 જેવા ત્રણ અલગ અલગ ફોર્મમાં પોતાના રિટર્ન ભરવાના થતાં હતા. આ ત્રણે ફોર્મ ભરવાની મુદત પણ અલગ અલગ હતી. જી.એસ.ટી. રિટર્નની આ પદ્ધતિ બહાર પડતાંની સાથેજ નિષ્ણાંતો માની રહ્યા હતા કે રિટર્ન ભરવાની આ પદ્ધતિ જમીની સ્તરે લાગુ કરવી શક્ય બનશે નહીં. પોર્ટલની ખામીના કારણે શરૂઆતમાં GSTR 2 અને GSTR 3 ને મુલતવી રાખી GSTR 1 તથા તેની સાથે “સમરી રિટર્ન” તરીકે GSTR 3B નામનું ફોર્મ (જે ફોર્મ રિટર્ન નથી તેવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ તેને વિધિવત રીતે રિટર્નનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું) લાગુ કરવામાં આવ્યું હતું. હંગામી ધોરણે લાગુ કરવામાં આવેલ GSTR 3B નું ફોર્મ આજે પાંચ વર્ષ બાદ પણ ચાલુ છે. લાંબા સમય સુધી GSTR 2 અને GSTR 3 દ્વારા રિટર્નની આ પદ્ધતિની ને જડતાંથી પકડી રાખ્યા બાદ આખરે 2022 ના બજેટમાં રિટર્ન ભરવાની આ પદ્ધતિને વિધિવત અલવિદા કહી દેવામાં આવી છે. હાલ, કરદાતાઓ GSTR 1 દ્વારા પોતાનું વેચાણ અને GSTR 3B દ્વારા પોતાના વેચાણ તથા આઉટપુટ ટેક્સ તથા ઈન્પુટ ટેક્સ ક્રેડિટની વિગતો દર્શાવી રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. GSTR 2A, GSTR 2B જેવા નાના પણ ભયંકર ફોર્મ દ્વારા GSTR 2 ની ભરપાઈ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી કરદાતાઓની રિટર્ન રિવાઈઝ (રિટર્નમાં સુધારો) કરવાની સગવડ આપવાની માંગણી માન્ય રાખવામા આવી નથી!!!

  1. સિમલેસ ક્રેડિટ” નો મુખ્ય ઉદ્દેશ નથી રહ્યો યાદ!!

“સિમલેસ ક્રેડિટ” ના મુખ્ય ઉદેશ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. કાયદાની આજે પાંચ વર્ષ બાદ જો સૌથી ગંભીર ક્ષતિ ગણાય તો તે ક્ષતિ એ ગણી શકાય કે આજે પાંચ વર્ષ બાદ જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેવી અત્યંત મુશ્કેલ બનાવી આપવામાં આવી છે. માલ અને સેવાઓ વચ્ચે ઈન્પુટ ક્રેડિટ મળી શકે, આંતર રાજ્ય માલ વિનિમયની ક્રેડિટ મળી શકે અને આ ક્રેડિટના કારણે માલ પર ટેક્સનો બોજો ઘટે અને માલ ગ્રાહકો માટે સસ્તો બને તે હેતુ જી.એસ.ટી. લાગુ કરવાનો મુખ્ય હેતુ હતો. પરંતુ આજે પાંચ વર્ષ પછી જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેવી એ “લોઢાંના ચણા ચાવવા” જેવી મુશ્કેલ બાબત બની ગઈ છે. અવારનવાર પકડવામાં આવતા જી.એસ.ટી. હેઠળના કરચોરીના કૌભાંડના કારણે દિવસેને દિવસે જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવી કરદાતા માટે મુશ્કેલ બનાવવામાં આવી છે. કરચોરોના કરચોરીની સજા હાલ પ્રમાણિક વેપારીઓ ભોગવી રહ્યા હોય તેવું જમીની સ્તરે ફલિત થઈ રહ્યું છે. જી.એસ.ટી.ને સફળ બનાવવા આ ક્ષતિ દૂર કરવી ખૂબ જરૂરી છે. ખરીદનાર વેપારી દ્વારા યોગ્ય જી.એસ.ટી. ચૂકવી ખરીદવામાં આવેલ માલ ઉપર વેચનાર વેપારી વેરો ના ભરે એવી પરિસ્થિતીમાં ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માન્ય ના રાખવામા આવે તે ક્યાંનો ન્યાય??? હા કરચોરીમાં સાંઠગાંઠ સાબિત થઈ તેવા ખરીદનાર વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય કરવામાં આવે તે બારોબાર છે પરંતુ સામાન્ય ધંધાકીય વ્યવહારમાં થતી ખરીદી ઉપર આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય કરવી એ પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી બાબત જ ગણી શકાય. આમ, કહી શકાય કે આજે પાંચ વર્ષ બાદ “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે હેતુ ફલિત થયો નથી.

  1. જી.એસ.ટી. રજીસ્ટ્રેશન: બાજી વધુ બગડી રહી છે!!

જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે સૌથી વધુ પ્રશંશા એ બાબતની કરવામાં આવતી હતી કે જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો વેટ કાયદા કરતાં સરળ છે. ટેક્સ પ્રોફેશનલ્સ એક સુરે આ બાબતના વખાણ કરતાં જોવા મળતા હતા. પરંતુ ધીમે ધીમે, જેમ જેમ જી.એસ.ટી. હેઠળ કરચોરીના કૌભાંડ બહાર આવતા ગયા તેમ તેમ જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવાની વિધિ મુશ્કેલ બનતી ગઈ. આજે જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. જી.એસ.ટી. હેઠળ નવા નોંધણી દાખલાની અરજી કરતાં તમામ કરદાતાને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ શંકાના નજરથી જોઈ રહ્યું છે. ઍક યા બીજા કારણ આપી જી.એસ.ટી. નોંધણીની અરજી નકારવામાં આવતી હોવાની ફરિયાદ સતત ઉઠી રહી છે. જી.એસ.ટી. નોંધણી બાબતે જી.એસ.ટી. શરૂઆતની પરિસ્થિતી કરતાં સ્થિતિ આજે પાંચ વર્ષ બાદ વધુ ખરાબ જણાય આવે છે.

જી.એસ.ટી. લાગુ કરવાની હિમ્મત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા બાહોશ અને હિમ્મતવાન પ્રધાનમંત્રી જ કરી શકે એ ચોકકસ છે. જી.એસ.ટી. લાગુ કરવામાં પડેલ વિવિધ સમસ્યાઓનો દ્રઢતાથી સામનો કરી, જી.એસ.ટી. લાગુ કરવા અડગ રહી 01 જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ કરવો એ પ્રધાનમંત્રીએના મક્કમ મનોબળનો પુરાવો છે. સૈદ્ધાંતિક રીતે જી.એસ.ટી. લાગુ કરવો દેશના તથા વેપારના હિતમાં છે તે બાબતે કોઈ બે મત નથી. પરંતું જી.એસ.ટી. જોઈએ તેવો “સ્મૂથલી” લાગુ થઈ શક્યો નથી એ પણ હકીકત છે. આજે પાંચ વર્ષ પછી પણ ઘણી બાબતો એવી છે જેમાં ફેરફારને અવકાશ છે. આવી બાબતોમાં સૌથી વધુ જરૂર છે તો તે છે કરદાતા પ્રત્યેના વલણના બદલાવની જ્યાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા દરેક વેપારી/કરદાતાને શંકાની નજરે જોવામાં આવે છે!! અંતે જી.એસ.ટી. વિષે એટલું જ કહી શકાય છે કે “થોડા હે.. થોડે કી ઝરૂરત હે!!!”

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 27.06.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

Epaper Vyapar Bhoomi Dt.27-6-2022 (1)

error: Content is protected !!